ધોળકાના ખારાકૂવા વિસ્તારમાં રહેતા નરેશકુમાર અંબાલાલ મોદી (ઉ.વર્ષ 67)ના ઘરે ચોરીની ઘટના બની છે. પોલીસ ફરિયાદ પ્રમાણે સોના-ચાંદીના ઘરેણાં સહિત આશરે 67,500 રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો છે.
ખારાકૂવા વિસ્તારમાં રહેતા નરેશકુમાર સવારે પેપરના વેચાણ માટે ગયા તે સમયે તેમના ઘરે ચોરીની ઘટના બની હતી. ગત રાત્રિના તેઓ ઘરને લોક મારીને પેપર વેચાણ માટે ગયા હતા ત્યારે સવારના આશરે 5 વાગ્યે તેમના પત્નીએ તેમને ફોન કરીને તમે ઉપરનો દરવાજો બહારથી બંધ કરીને શા માટે ગયા છો, મારે વોશરૂમ જવું છે તેમ કહ્યું હતું.
આ કારણે તેઓ ઘરે પરત ફર્યા હતા પરંતુ તે સમયે મકાનના બારણાનો આગળની જાળીનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. સાથે જ અંદરનો દરવાજો પણ ખુલ્લો હતો. ત્યાર બાદ તપાસ કરતાં નીચેના આગળના રૂમની તિજોરી તૂટેલી હતી તથા અંદરનો સામાન વેરવિખેર હતો. તે સિવાય બીજા અંદરના રૂમની તિજોરીના સામાન અને રૂમ પણ વેરવિખેર હતો. ચોરો સોના-ચાંદીના દાગીના લઈ ગયા હોવાનું જણાયું હતું.
નરેશ ભાઈએ ધોળકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ચોર રાત્રીના સમયગાળા દરમિયાન મકાનમાં લોખંડની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. તેમણે નીચેના માળે વચ્ચેના રૂમની તિજોરીનો નકુચો તોડીને તેમાં રહેલાં સોના-ચાંદીના ઘરેણાં તથા અંદાજે 25 હજારની રોકડ સહિત આશરે 67,500 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.