મનુષ્ય હજારો વર્ષોથી બીજનું સેવન કરતો આવ્યો છે. બીજમાં સ્વાસ્થ્યનાં અનોખાં રહસ્યો છુપાયેલાં છે. આ નાના દેખાતાં બીજ ઘણી રીતે અનાજ, કઠોળ અને ડ્રાયફ્રૂટ કરતાં વધુ શક્તિશાળી છે. જેને ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી, પુષ્કળ વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. આ જ કારણે લગભગ 10 હજાર વર્ષોથી આ બીજનો ઉપયોગ ભોજનથી લઈને ધાર્મિક પરંપરાઓમાં કરવામાં આવે છે.
વેદથી લઈને વિદેશી સભ્યતાઓ સુધી બીજના ગુણગાન ગાવામાં આવે છે. ઘણી સંસ્કૃતિઓમાં લોકોએ બીજમાં અલૌકિક શક્તિ જોઈ છે, જ્યારે કેટલાકને તેમાં ઘણા રોગોનો ઈલાજ મળ્યો છે. ન્યુટ્રિશનિસ્ટ નિધિ અગ્રવાલ કહે છે કે 'જો આ બીજને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે શરીરને સ્વસ્થ રહેવાની સાથે-સાથે અને રોગોથી બચવામાં ઘણી મદદ કરશે.'
આજે જાણો આવાં 11 'બીજ' મંત્રો જે તમારું મજબૂત રક્ષણાત્મક કવચ બનશે, તમને રોગોથી બચાવશે...
શાકાહારીઓ માટે માછલીથી બેસ્ટ વિકલ્પ છે અળસી
અળસીની ખેતી ભારતમાંથી શરૂ થઈ અને પછી હજારો વર્ષથી તેની ખેતી આખી દુનિયામાં શરૂ થઈ. પુરાતત્વવિદોને બેબીલોનમાં 3 હજાર વર્ષ જૂનાં અળસીનાં બીજ મળ્યાં હતાં. ભારતમાં અથર્વવેદ, ચરકસંહિતાથી સુશ્રુતસંહિતા સુધીના ગંથોમાં અળસીનો સારવારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માછલીમાં જોવા મળતાં ઓમેગા-3 ફેટી એસિડ્સ ઉપરાંત અળસીમાં ઓમેગા-6, એન્ટિઑક્સિડન્ટ્સ, ફાઇબર, પ્રોટીન સહિતનાં ઘણાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.
યોદ્ધાઓ તકમરિયાંનાં બીજ ખાઈને પોતાની શક્તિ વધારતા
મનુષ્ય છેલ્લાં 5500 વર્ષથી તકમરિયાંનું સેવન કરે છે. પ્રાચીન માયા સંસ્કૃતિમાં તકમરિયાંનો ઉપયોગ દવાઓ, તેલ, સૌંદર્ય પ્રસાધનો અને ધાર્મિક વિધિઓમાં અર્પણ તરીકે થતો હતો. ઘણી પ્રાચીન સંસ્કૃતિઓમાં લોકો માનતા હતા કે, તકમરિયાંનાં બીજ ખાવાથી તેમને અલૌકિક શક્તિઓ મળે છે. યોદ્ધાઓ તેમની શક્તિ વધારવા માટે આ બીજ ખાતા હતા. તકમરિયાંનાં બીજમાં કેલરી, પ્રોટીન, મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, ઓમેગા-3, ફાઈબર, થાઈમીન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, એન્ટિઓક્સિડેન્ટ્સ, ફોસ્ફરસ હોય છે.
ભાંગથી શિવજીનો અભિષેક થાય છે પરંતુ, ભાંગનાં બીજમાંથી બને છે દવાઓ
પ્રાચીન સમયથી ભગવાન શિવને ગાંજો ચઢાવવામાં આવે છે. ગાંજાનાં બીજ અને પાંદડાનો ઉપયોગ દવામાં થાય છે. એવું માનવામાં આવે છે કે ભાંગની ઉત્પત્તિ ચીનમાં થઈ હતી, જ્યાંથી તે દવા તરીકે બાકીના વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે છે. ચીની સમ્રાટ શેનોંગના 4,000 વર્ષ જૂના દસ્તાવેજોમાં પણ ભાંગનાં બીજના ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, ઝિંક, વિટામિન-બી-1 અને વિટામિન-ઈ અને અનેક પ્રકારનાં મિનરલ્સ મળી આવે છે.
મેક્સિકોમાં 7.5 હજાર વર્ષ જૂનાં કદ્દુનાં બીજ મળી આવ્યાં છે
પુરાતત્વવિદોને મેક્સિકોમાં 7.5 હજાર વર્ષ જૂના કદ્દુના બીજ મળ્યાં છે. વિશ્વભરની સંસ્કૃતિઓમાં કોળું તેમજ તેનાં બીજ ખાવાની પરંપરા છે. કેટલાકે તેમાંથી દવાઓ બનાવી તો ક્યાંક આ બીજ નાસ્તાનો ભાગ બની ગયા છે. એક કોળામાં લગભગ 500 બીજ હોય છે અને દરેક બીજ પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ, પ્રોટીન, ફોલેટ, ફાઈબર, ઝિંક સહિત અનેક પ્રકારનાં વિટામિન અને મિનરલ્સ હોય છે.
સૂર્યમુખી 300 વર્ષ પહેલાં રશિયામાં જોવા મળ્યા હતા
17મી સદીમાં રશિયાના સમ્રાટ પીટર ધ ગ્રેટે નેધરલેન્ડ્સમાં સૌપ્રથમ સૂર્યમુખી જોયા. સમ્રાટને આ ફૂલો એટલાં ગમ્યાં કે, તે તેને પોતાની સાથે રશિયા લઈ ગયાં હતાં. જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારે આ ફૂલો તેમના વિરોધનું પ્રતીક બની ગયાં. યુદ્ધનો વિરોધ કરી રહેલા લોકો સૂર્યમુખી લઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા. એન્ટિઓક્સિડેન્ટ્સ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક સહિત અનેક પ્રકારનાં વિટામિન મળી આવે છે.
આફ્રિકન તરબૂચ 1300 વર્ષ પહેલાં ભારતમાં પહોંચ્યું હતું
તરબૂચનો ઉદભવ મૂળ આફ્રિકામાં થયો હતો. આ પછી પ્રાચીન ઇજિપ્ત અને બાકીના વિશ્વમાં જોવા મળ્યું છે. પરંતુ, ભારતે તરબૂચ માટે હજારો વર્ષ રાહ જોવી પડી હતી. ભારતીયોએ 7મી સદીમાં પ્રથમ વખત તેનો સ્વાદ ચાખ્યો હતો. તરબૂચ 300 વર્ષ પછી ચીન અને યુરોપ પહોંચ્યાં હતાં. ઝીંક, નિયાસિન, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ મળી આવે છે.
ઇજિપ્ત અને રોમમાં ખસખસમાંથી તેલ, કેક અને વાઇન બનાવવામાં આવતાં હતાં.
સુમેરિયન, ઇજિપ્ત, ગ્રીસ, રોમથી લઈને દરેક પ્રાચીન સામ્રાજ્ય સુધી ખસખસ અત્યંત મૂલ્યવાન માનવામાં આવતું હતું. ખસખસની ખેતી તેલ, કેક અને વાઇન માટે કરવામાં આવતી હતી. ખસખસ અને અફીણ એક જ છોડમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ ખસખસ વ્યસનકારક નથી. કેલરી, પ્રોટીન, ચરબી, ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન, ઝિંક, વિટામિન-ઈથી ભરપૂર.
દાડમનો ઇતિહાસ 8 હજાર વર્ષ જૂનો છે
લગભગ 8 હજાર વર્ષ પહેલાં ઈરાનની આસપાસ દાડમની શોધ કરવામાં આવી હતી. જ્યારે તેમના ગુણો વિશે જાણવા મળ્યું તો તેને સમ્રાટોના ભોજનમાં સામેલ કરવામાં આવ્યું. રોમથી ભારત સુધી દાડમના દાણામાંથી દવાઓ અને વિવિધ વાનગીઓ બનાવવામાં આવતી હતી. દાડમના દાણામાં ફોલેટ, ફાઈબર, એન્ટિઓક્સિડેન્ટ, પ્રોટીન, પોટેશિયમ અને અનેક વિટામિન્સથી ભરપૂર હોય છે.
પ્રસૂતિ પછી અસેરિયા ખવડાવવાથી માતાને ફાયદો થાય
અસેરિયાને ચામસૂર અને ચંદ્રસૂર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ખેતી પ્રાચીન ઇજિપ્તમાં શરૂ થઈ અને ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં જોવા મળ્યું હતું. પ્રસૂતિ પછી તેનાં બીજને ઘીમાં તળીને માતાને સાકર સાથે ખવડાવવાથી નબળાઈ દૂર થાય છે. અસેરિયામાં પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન એ અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે.
રાજગરો 500 વર્ષ પહેલાં આર્જેન્ટિનાથી ભારત પહોંચ્યો હતો
રાજગરો ફક્ત ઉપવાસમાં નથી ખાવામાં આવતો, પરંતુ ફાયદાકારક પણ છે. આર્જેન્ટિનામાં 8 હજાર વર્ષ જૂના રાજગરાનાં બીજ મળી આવ્યાં છે. એવું માનવામાં આવે છે કે રાજગરો 500 વર્ષ પહેલાં આફ્રિકા થઈને ભારત પહોંચ્યો હતો. વિટામિન-A, B-6, B-12, D અને E ઉપરાંત તેમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને સોડિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે.
તુતનખામેનની કબરમાંથી કાળીજીરી મળી આવી
સદીઓ પહેલાં ભારતમાં આવેલી કાળીજીરી દવાથી લઈને અથાણાં સુધીની દરેક વસ્તુનો આવશ્યક ભાગ બની ગઇ છે. રોમમાં તેને દરેક રોગની દવા માનવામાં આવતી હતી. ઈજિપ્તમાં સમ્રાટોની કબરોમાં પણ કાળીજીરી રાખવામાં આવતી હતી. તુતનખામેનની કબરમાં પણ કાળીજીરી મળી આવી હતી. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, આયર્નથી ભરપૂર કાળીજીરીમાં ડાયાબિટીકના ગુણ હોય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.