બાબા નિત્યાનંદ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. અમુક વર્ષ પહેલા તેમના પર ભારતમાં રેપ અને યોન શોષણનાં આઝેપ લાગ્યા હતા, જે પછી પોલીસ તેની શોધખોળમાં છે પરંતુ, તેઓએ 3 વર્ષ પહેલા જ પોતાનું અલગ દ્વીપ ખરીદીને એક નવો દેશ વસાવી લીધો છે, જેનું નામ ‘કૈલાસા’ રાખવામાં આવ્યું છે. અહીં નિત્યાનંદની સરકાર ચાલે છે અને તેની સેના પણ છે.
હાલમાં જ તેઓએ સંયુક્ત રાષ્ટ્રની જિનિવા મીટિંગમાં પોતાના દેશનાં પ્રતિનિધિ (કથિત સ્થાયી રાજદૂત) તરીકે વિજયપ્રિયા નિત્યાનંદને મોકલ્યા હતા. આ મુદ્દા પર UN તરફથી સ્પષ્ટતા આવી ચૂકી છે. UNએ કહ્યું કે, વિજયપ્રિયા નિત્યાનંદે NGO પ્રતિનિધિ તરીકે પબ્લિક મીટિંગમાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં વિજયપ્રિયાનું નિવેદન અપ્રસ્તુત છે. નિત્યાનંદનાં પ્રતિનિધિ વિજયપ્રિયા નિત્યાનંદ (જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા-યુએસકેનાં રાજદૂત હોવાનો દાવો કરે છે) એ જણાવ્યું હતું કે તેમના નિવેદનને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યું છે.
આ ઘટના પછી બાબા નિત્યાનંદ, શિષ્યા વિજયપ્રિયા નિત્યાનંદ અને કૈલાશા આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયુ છે.
જાણો કોણ છે UNમાં સામેલ થનારી વિજયપ્રિયા?
સોશિયલ મીડિયા પ્રોફાઈલ મુજબ સ્પષ્ટ અંગ્રેજી બોલનારી વિજયપ્રિયાએ વર્ષ 2014માં કેનેડાનાં મેનિટોબા વિશ્વ વિદ્યાલયમાંથી માઈક્રોબાયોલોજી વિષયમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.
તે અંગ્રેજી, ફ્રેન્ચ અને ક્રિયોલની ભાષાઓ જાણે છે. કોલેજમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે તેઓને સન્માન પણ મળી ચૂક્યુ છે અને વર્ષ 2013-14માં ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએશન સ્કોલરશિપ પણ મળી હતી.
કૈલાસાનો હિંદુ રાષ્ટ્ર હોવાનો દાવો
આશ્ચર્યની વાત એ છે કે, બાબા નિત્યાનંદે પોતાના દેશ ‘કૈલાસા’ને અસલી હિંદુ રાષ્ટ્ર હોવાનો દાવો કર્યો છે. તેની પોતાની વેબસાઈટ છે અને વિશ્વભરમાં તેના લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે.
ઈક્વાડોરની નજીક હાજર આ દ્વીપ દેશનું અંતર ભારતથી અંદાજે 17 હજાર કિલોમીટર દૂર છે. જો કે, કૈલાસા વેબસાઈટનો એવો દાવો પણ છે કે, વિશ્વમાં તેના દેશનું નાગરિકત્વ ધરાવતા અંદાજે 2 કરોડ જેટલા લોકો છે પરંતુ, UNમાં સામેલ થવાનો દાવો કરનારી વિજયપ્રિયા નિત્યાનંદે કહ્યું કે, ‘અહીંની વસ્તી 20 લાખ છે. વિજયપ્રિયાનો દાવો છે કે, 150 દેશોમાં કૈલાસાનાં દૂતવાસ છે.’
વિશેષ વાત તો એ છે કે, આ દેશનો પોતાનો ધ્વજ, સંવિધાન, કરન્સી, પાસપોર્ટ અને રાષ્ટ્રિય પ્રતિક ચિહ્ન પણ છે. સંસ્કૃત, અંગ્રેજી અને તમિલ ભાષાને અહી રાજભાષા તરીકે માન્યતા આપવામાં આવી છે. અહીં હિંદુશાસ્ત્ર અને મનોસ્મૃતિથી કાયદો ચલાવવા માટેનો દાવો કરવામાં આવે છે. જો કે, હજુ સુધી આ દેશને કોઈએ પણ માન્યતા આપી નથી.
જેલ ભોગવી ચૂકેલા રામ રહિમે પોતાનું શહેર વસાવ્યુ, ચલાવી પોતાની કરન્સી
ડેરા સચ્ચા સૌદાનાં બાબા રામ રહિમનું નામ તો તમે જરુર સાંભળ્યું હશે. દેશમાં જ રહીને પોતાની એક અલગ કરન્સી ચલાવવી ભલે ગેરકાયદેસર છે પરંતુ, તેમછતાં તેઓએ પોતાની પ્લાસ્ટિક મુદ્રાનો પ્રચાર જોરશોરથી કર્યો.
જે પણ વ્યક્તિ સિરસાનાં ડેરામાં આવતા હતા, તેણે દરેક પ્રકારનું કામ અને વ્યવસાય માટે આ જ પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરવો પડતો. તેના ડેરામાં ફાઈવ સ્ટાર હોટેલ, સિનેમા, સ્કૂલ અને કોલેજ હતી. આ કારણોસર ડેરા સચ્ચા સૌદા MSG નામથી પોતાનું એક અલગ શહેર બનાવવા ઈચ્છતા હતા પરંતુ, કાનૂનની નજરે ચડ્યા પછી રામ રહીમનાં કારનામાઓ પર શિકંજો કસવામાં આવ્યો.
રજનીશ ઓશોની પણ હતી પોતાની દુનિયા, લકઝરી લાઈફ જીવવા માટે પ્રખ્યાત હતા
મધ્યપ્રદેશમાં જન્મેલા રજનીશ ભારતમાં જ્ઞાન મળ્યું એવો દાવો કરતા હતા. ‘સંભોગથી સમાધિ સુધી’ દર્શન આપનારા ઓશઓ નોકરી છોડીને ભારતથી અમેરિકા ચાલ્યા ગયા. વર્ષ 1981થી 1985ની વચ્ચે અમેરિકી પ્રાંત ઓરેગોનમાં તેઓએ 65 હજાર એકરમાં આશ્રમની સ્થાપના કરી હતી.
મોંઘી ઘડિયાળો, રોલ્સ રોયસ કારો, ડિઝાઈનર કપડાઓનાં કારણે તે હંમેશા ચર્ચામાં રહેતા. ઓરેગોનમા ઓશોનાં શિષ્યોએ તેના આશ્રમને રજનીશપુરમ નામથી એક શહેર તરીકે રજિસ્ટર્ડ કરાવવાની ઈચ્છા રાખી પરંતુ, સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો. તે પછી વર્ષ 1985માં તે ભારત પરત ફર્યા અને 5 વર્ષ પછી ઓશોનું નિધન થયું. બીજા બધા બાબાઓની જેમ અનેક કારનામા પણ દેશ અને વિશ્વમાં ચર્ચાનો વિષય બની રહ્યા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.