ચંદ્ર પર ટૂંક સમયમાં જ રેપર, કોરિયોગ્રાફર, ફોટોગ્રાફર, અભિનેતાની એક ટીમ પહોંચવાની છે. જાપાની અરબપતિ યાસૂકા મીજાવાનાં ‘ડિયર મૂન’ મિશન માટે ક્રૂ મેમ્બર ફાઈનલ થઈ ગયા. તેઓએ ચંદ્ર પર જનારા કલાકારોનાં નામની જાહેરાત કરી દીધી છે. યાસૂકાની આ પ્રાઈવેટ પેસેન્જર ઉડાન ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનાં માધ્યમથી પૂરી થશે.
હજુ સુધી ચંદ્ર પર પહોંચવાની કવાયતમાં વૈજ્ઞાનિક, ડૉક્ટર, એન્જિનીયર, નર્સ, પ્રોગ્રામર, કેટરર, મેથેમેટિશિયન જેવા લોકો સામેલ થઈ ચૂક્યા છે પણ આ પહેલીવાર બનશે કે, ચંદ્ર પર કલાકારોનું ગ્રુપ યાત્રા કરશે.
‘ડિયરમૂન’ મિશનનાં ક્રૂમાં કોણ-કોણ સામેલ થયું?
યાસૂકાની ટીમમાં અમેરિકી ડિજે સ્ટિવ આઓકી, સાઉથ કોરિયાનાં ટોપ પોપ રેપર ચોઈ સેઉંગ હ્યૂન, ચેક રિપબ્લિકનાં ડાન્સર-કોરિયોગ્રાફર યેમી એડી, આયરલેન્ડની ફોટોગ્રાફર રિયાનન એડમ, યૂકેનાં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર કરિમ ઈલિયા, અમેરિકી ફિલ્મ નિર્માતા બ્રેંડન હોલ અને ભારતનાં ગુજરાતી કલાકાર દેવ જોશી જેવા કલાકારોનાં નામ ક્રૂમાં સામેલ છે. બેકઅપ ક્રૂમાં તેઓએ યૂએસ ઓલિમ્પિક સ્નોબોર્ડર કેટલિન ફરગિંટન અને જાપાની ડાન્સર મિયૂને પસંદ કરી.
ગુજરાતી એક્ટર દેવ જોશી ‘સોની ટીવી’ પર આવેલી બાળકો માટેની હિટ સિરિયલ ‘બાલ વીર’માં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યો છે. ઇન્સ્ટાગ્રામ પર એક લાંબીલચક પોસ્ટ મૂકીને દેવ જોશીએ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિનો આભાર માન્યો છે અને જીવનમાં એકવાર આવતી આવી અભૂતપૂર્વ ક્ષણ માટે ગૌરવ, આશ્ચર્ય અને આનંદની લાગણી વ્યક્ત કરી છે.
ચંદ્રની યાત્રા માટે 3 લાખ લોકોએ અરજી કરી હતી
જાપાની અરબપતિ યાસુકાએ ચંદ્ર પર જનારા રોકેટની તમામ સીટ વર્ષ 2018માં ખરીદી લીધી હતી. ગયા વર્ષે તેઓએ જાહેરાત કરી હતી કે, તે ચંદ્રયાત્રા માટે 8 લોકોને શોધી રહ્યા છે. આ પછી 3 લાખ જેટલા લોકોએ ચંદ્રયાત્રાનો લાભ લેવા માટે અરજીઓ મોકલી હતી. ચંદ્રયાત્રા માટે સ્ક્રિનીંગ, અસાઈમેન્ટ પછી મેડિકલ ટેસ્ટ અને પછી યાસુકા સાથેનો ઈન્ટરવ્યુ ફાઈનલ કરવામાં આવ્યો હતો.
મેડિકસ તપાસ અને ઈન્ટરવ્યુ પછી ફાઈનલ થયાં નામ
આ ચંદ્રયાત્રા 2023નાં શરુઆતનાં અઠવાડિયામાં થવાની હતી પણ વિશ્વનાં તમામ લોકોને આ યાત્રાનો લાભ આપવા માટે આ ઉડાનને બીજા વર્ષમાં શેડ્યુલ કરવામાં આવી છે. જો કે, અમેરિકી રેગ્યુલેટર્સે હજુ સુધી આ યાત્રા માટે ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપનીનાં સ્ટારશિપ રોકેટને મંજૂરી આપી નથી. આ સ્ટારશિપને પૃથ્વીની આસપાસ ઓર્બિટલ યાત્રા માટે પણ મંજૂરી આપવામાં આવી નથી. ગયા વર્ષે થયેલા ટેસ્ટ લોન્ચ પછી તે ટેક્સાસમાં જ છે.
અત્યાર સુધીમાં ચંદ્ર પર આ યાત્રીઓએ પગ મૂક્યો
અમેરિકાનાં અપોલો-11 મિશનનાં માધ્યમથી 20 જુલાઈ, 1969ના રોજ ચંદ્ર પર પહેલીવાર નીલ આર્મસ્ટ્રોંગ પહોંચ્યા હતા. ત્યારે બજ એલ્ડ્રિન બીજા એવા વ્યક્તિ હતા કે, જેના કદમ ચંદ્ર પર પડ્યા હતા. તે પણ અપોલો-11 મિશનમાં નીલ આર્મસ્ટ્રોંગ સાથે જ હતા. પેટે કૉનરાડ ચંદ્ર પર પગ મૂકનારા ત્રીજા વ્યક્તિ હતા. તે વર્ષ 1969નાં નવેમ્બરમાં અપોલો-12 મિશનનો ભાગ હતો. કૉનરડની સાથે અપોલો-12 ચાલકદળમાં એલન બીન પણ સામેલ હતા. તે ચંદ્ર પર પગ મૂકનારા ચોથા વ્યક્તિ હતા. અપોલો-14 મિશનનો ભાગ રહેલા એલન શેપર્ડે ફેબ્રુઆરી, 1971માં ચંદ્રમાની ધરતી પર પગ મૂક્યો. આ સિવાય એડગર મિશેલ, ડેવિડ સ્કોટ, જેમ્સ ઈરવિન, જૉન યાંગ, ચાર્લ્સ ડ્યૂક, યૂજીન સેરનન, હેરિસન શ્મિટ ચંદ્ર પર પગ મૂકી ચૂક્યા છે. તે તમામ લોકો જુદા-જુદા અપોલો મિશનનાં ભાગ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, અપોલોની તરફથી કુલ 11 મિશન પૂર્ણ થયા, જેમાં 33 અવકાશયાત્રીઓ મોકલવામાં આવ્યા હતા. 33માંથી ફક્ત 27 અંતરિક્ષયાત્રીઓ જ ચંદ્ર સુધી પહોંચ્યા. 27માંથી 12 જ ચંદ્રની સપાટી પર પહોંચી શક્યા અને બાકીના અંતરિક્ષયાત્રીઓએ ફક્ત ચંદ્રની આસપાસ ચકકર લગાવ્યા.
ભારત આવતાં વર્ષે જૂનમાં મોકલશે ચંદ્રયાન-3
વર્ષ 2008માં ભારતે અંતરિક્ષનાં વિશ્વમાં એક અલગ જ સફળતા હાંસલ કરી હતી. જો કે, ભારત એ અમેરિકા, સોવિયેત સંઘ, ચીન પછી ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બન્યો છે. આ વર્ષે 22 ઓક્ટોબરનાં રોજ ઈસરોની તરફથી દેશનું પહેલું ચંદ્રયાન મોકલવામાં આવ્યું હતું, ચંદ્રયાન-1 2009ની 30 ઓગસ્ટ સુધી એક્ટિવ રહ્યું. આ યાનને ચંદ્ર સુધી પહોચવામાં 5 દિવસનો સમય લાગ્યો અને ત્યાં સ્થાપિત થવામાં 15 દિવસનો સમય લાગ્યો. આ યાત્રા સફળ રહી. વર્ષ 2019ની 22 જુલાઈએ ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું.
જો કે, આ મિશન સફળ રહ્યું ન હતું પણ ઈસરો તરફથી આવનાર વર્ષમાં જૂનમાં ચંદ્રયાન-3 મોકલવામાં આવશે. ભારતની તરફથી પહેલા અંતરિક્ષયાત્રીનો રેકોર્ડ રાકેશ શર્માનાં નામ પર હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.