આપણી આસપાસ કે આપણા ઘરમાં જ એવા ઘણા લોકો હશે, જેઓ ઊઠે કે બેસે છે ત્યારે હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે. ત્યારે આપણે સામાન્ય માનીએ છીએ, પરંતુ આ ચિંતાજનક વાત છે. જો હાડકાંમાંથી અવાજ આવે છે તો એ નબળાં હોવાની નિશાની છે. હાડકાંના અવાજને મેડિકલ ભાષામાં ક્રેપિટ્સ કહેવામાં આવે છે.
જોકે અત્યારસુધીનાં સંશોધનો પરથી ખબર પડે છે કે ઘણી વખત આ અવાજો ઘૂંટણ અથવા હાડકાના રોગથી પીડિત લોકોમાં સમસ્યાની શરૂઆતનો સંકેત બતાવે છે, તેથી જો નજરઅંદાજ કરવામાં આવે તો ભારે પડી શકે છે. ડાયરેક્ટ મેડિકલ કેર દિલ્હીનાં ફિઝિયોથેરપિસ્ટ ખ્યાતિ શર્માના જણાવ્યા અનુસાર, ઘણી વખત આ અવાજ આપણા સાંધાની બહાર સ્થિત સ્નાયુઓના લિગામેંટ્સમાંથી પણ આવે છે, એથી જો નજરઅંદાજ કરવામાં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.
ઘૂંટણમાંથી અવાજ આવવાની સમસ્યા કોને વધારે થાય છે?
ઘૂંટણ અથવા સાંધામાંથી કટ-કટ અવાજની સમસ્યા મોટા ભાગે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. આ સમસ્યાનું કારણ એ છે કે ઘૂંટણની સપાટી સુંવાળી થવાને બદલે ખરબચડી બની જાય છે. આ સમસ્યાને કાર્ટિલેજ નામની બીમારી કહેવાય છે. હાડકાં વચ્ચેના લુબ્રિકેશનના નુકસાનને કારણે અવાજ સંભળાય છે.
ઘૂંટણ અને સાંધા વચ્ચેનું લુબ્રિકેશન ઓછું થવાને કારણે આર્થરાઈટિસ જેવી બીમારીઓ જન્મે છે. ઘૂંટણ, સાંધા કે હાડકાં તૂટવાનો અવાજ આવે ત્યારે પણ ઑસ્ટિયોપોરોસિસની સમસ્યા થઈ શકે છે. આ રોગ સંધિવા સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે. આ બીમારીને જો નજરઅંદાજ કરવામાં આવે તો સાંધા અથવા ઘૂંટણને નુકસાન થઈ શકે છે.
આ રોગ લાંબા સમય સુધી રહેવાને કારણે ચાલવામાં તકલીફ થાય છે. ઘૂંટણ સંબંધિત રોગો અહીંથી જન્મે છે અને આ સ્થિતિને અવગણવાથી ઘૂંટણની સર્જરી પણ કરાવી પડી શકે છે.
હાડકાં કે ઘૂંટણમાં તિરાડ પડવા પાછળ આ કારણો જવાબદાર
મોટા ભાગના લોકોમાં આ બીમારી મોટી ઉંમર પછી જ જોવા મળે છે, પરંતુ ક્યારેક નાની ઉંમરના લોકોને પણ આ બીમારીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનું સૌથી સામાન્ય કારણ વધતી ઉંમર અને વધારે વજન છે.
તો નાની ઉંમરના લોકોમાં આ સમસ્યા વધુ વજનને કારણે પણ થાય છે. વજન વધવાની સાથે સાથે શરીરમાં કેલ્શિયમની કમીને કારણે હાડકાંમાં નબળાઈ આવવાથી અને ઘૂંટણ અને સાંધામાં પણ તિરાડ પડી જાય છે. જો નાની ઉંમરમાં આ સમસ્યાને અવગણવામાં આવે તો ઓસ્ટિઓઆર્થરાઇટિસ જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.
આ સમસ્યાથી બચવાના ઉપાયો
આ સમસ્યાથી બચવા માટે બીએમઆઈ મુજબ, આપણું વજન હોવું જરૂરી છે. બીએમઆઈનો યોગ્ય રેશિયો હોવાને કારણે આ સમસ્યા થવાનું જોખમ ઘટે છે. તો દરરોજ કસરત, સંતુલિત આહાર અને વજનને કંટ્રોલમાં રાખવાથી આ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
આ ઉપરાંત તમે તમારા રોજિંદા આહારમાં કેલ્શિયમથી ભરપૂર કેટલીક ખાદ્ય ચીજોનો સમાવેશ કરીને હાડકાંને મજબૂત બનાવી શકો છો, એ બાદ આ સમસ્યાનું જોખમ ઓછું થઇ જાય છે. ઘૂંટણ અને સાંધામાં તડતડ અવાજને અવગણવાથી સંધિવા જેવી બીમારી થઈ શકે છે.
જો તમને આ પ્રકારની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લો. હાડકાંને મજબૂત કરવા માટે ડાયટમાં કેલ્શિયમથી ભરપૂર પ્રોડ્કટને સામેલ કરો.
ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.