તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાયાબિટીસના 25% દર્દીઓમાં 10 વર્ષની અંદર જ આંખોની દૃષ્ટિ ઓછી થવાની શરૂઆત થઈ જાય છે. 50% દર્દીઓમાં એની અસર 20 વર્ષમાં દેખાય છે. મોટા ભાગના લોકો તેને વૃદ્ધત્વમાં થતી સમસ્યા તરીકે અવગણે છે, જ્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખીને ઘટતી જતી આંખની રોશનીને કન્ટ્રોલ કરી શકાય છે.
વર્લ્ડ ડાયાબિટીસ ડે દર વર્ષે 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આઈ એન્ડ ગ્લુકોમા એક્સપર્ટ ડો. વિનીતા રામનાની જણાવી રહ્યાં છે કે ડાયાબિટીસના દર્દીઓએ આંખનું ધ્યાન કેવી રીતે રાખવું.
જો તમે ડાયાબિટીસના દર્દી હો તો નીચે જણાવેલાં લક્ષણો તમારામાં તો નથી ને, એનું ધ્યાન રાખોઃ
1. આંખમાં બળતરા
ડાયાબિટીસના મોટા ભાગના દર્દીઓ આંખોમાં ડ્રાયનેસની સમસ્યાથી પીડાતા હોય છે જેને કારણે તેમને આંખમાં દુખાવો, ખૂંચવું, ભારેપણું અને આંસુ આવી શકે છે, તેથી સમયસર સારવાર લેવી ખૂબ જ જરૂરી છે.
2. આંખમાં ચેપ
આવા દર્દીઓમાં આંખમાં ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે. ઉદાહરણ તરીકે, કન્જક્ટિવાઇટિસ (લાલ આંખો), પોપચાં અને કોર્નિયામાં ઇન્ફેક્શન થઈ શકે છે, તેથી બ્લડશુગર કન્ટ્રોલમાં રાખો અને જો આંખોને લગતી કોઈ સમસ્યા હોય તો તબીબી સલાહ લો.
3. મોતિયો
આ ડાયાબિટીસમાં થનારો સૌથી સામાન્ય રોગ છે. આંખના લેન્સ ઉંમર વધવાની સાથે ધૂંધળો થતો જાય છે, જેને મોતિયો અથવા કેટરેક્ટ કહેવાય છે. મોતિયો ડાયાબિટીસના દર્દીઓને ઝડપથી થઈ શકે છે અને એ ઝડપથી વધે પણ છે. તેની સીધી અસર આંખની રોશની પર પડે છે.
ડાયાબિટીસથી પીડિત 65 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં મોતિયો થવાનું જોખમ અન્ય લોકો કરતાં 4 ગણું વધારે હોય છે. મોતિયાની ઘટનામાં ડાયાબિટીસને કન્ટ્રોલમાં લઇને સર્જરીની મદદથી લેન્સ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે.
4. ગ્લુકોમા
એ આંખમાં દબાણ સાથે સંકળાયેલો રોગ છે, જે સામાન્ય રીતે લક્ષણો બતાવતો નથી. લાંબા સમય સુધી વધેલા દબાણને કારણે આંખની નસ એટલે કે ઓપ્ટિક નર્વ પર ખરાબ અસર પડે છે અને જોવામાં તકલીફ થાય છે. જો તેની સારવાર ન કરવામાં આવે તો દર્દી કાયમ માટે આંખની રોશની ગુમાવી શકે છે.
5. ડાયાબિટિક રેટિનોપથી
ડાયાબિટિક રેટિનોપથી એ ડાયાબિટીસ સાથે સંકળાયેલી આંખોનો સૌથી ગંભીર રોગ છે. આમાં પણ રેટિના ટેસ્ટ દ્વારા પ્રારંભિક લક્ષણો ન હોવા છતાં આ વિશે જાણ થઈ જાય છે. જેમ-જેમ રેટિનોપથી વધે તેમ આંખોની રોશની ઓછી થવા લાગે છે. જ્યારે સ્થિતિ વધુ વણસે ત્યારે રોશની સંપૂર્ણ રીતે જઈ શકે છે.
ડાયાબિટીસ ઉપરાંત જો દર્દી બ્લડપ્રેશર, થાઇરોઇડ, કોલેસ્ટરોલ, હાર્ટ અથવા કિડનીની બીમારીથી પીડાતો હોય તો જોખમ વધુ વધે છે. ડાયાબિટીસવાળા દર્દીઓમાં 20%થી 40% લોકોમાં રેટિનોપથી થઈ શકે છે.
6. સતત ચશ્માંના નંબર બદલાતા રહેવા
ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર કંટ્રોલમાં ન હોય ત્યારે ચશ્માંના નંબર બદલાતા રહે છે તેથી સમયાંતરે શુગરનો ટેસ્ટ કરાવતો રહેવો જોઇએ. બહુ વધારે અથવા બહુ ઓછું શુગર લેવલ હોવાથી દર્દીની દૃષ્ટિ અસ્પષ્ટ થઈ શકે છે. જ્યારે શુગર લેવલ ઓછું થાય ત્યારે રોશની પાછી પણ આવી શકે છે.
7. પોપચાં
શુગર વધી હોવાને કારણે આંખ બાંડી શકે છે, જેમાં અચાનક ડબલ દેખાવાની સાથે પોપચાં પણ બંધ થઈ શકે છે. ઘણી વખત નસમાં સોજો આવવાને કારણે આંખની રોશની ઘટી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ આવી રીતે પોતાનું ધ્યાન રાખવું જોઇએ
વર્ષમાં એકવાર આંખની તપાસ કરાવો: જો ડાયાબિટિક રેટિનોપથી શરૂ થઈ ગઈ હોય તો ડોક્ટરની સલાહને અવગણશો નહીં. વર્ષમાં એકવાર આંખની તપાસ કરાવો.
શુગર લેવલ કન્ટ્રોલમાં રાખો: બ્લડ શુગરને નોર્મલ રેન્જમાં જાળવી રાખો. એકવાર તેનું લેવલ વધી જાય પછી આંખોની સાથે અનેક અંગો ડેમેજ થવા લાગે છે. ડોક્ટર પાસેથી દવાઓ, ડાયટ પ્લાન, એક્સર્સાઇઝ અને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવાની સાથે બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ વિશે વાત કરો. HBA1 C લેવલ વર્ષમાં ઓછામાં ઓછો 2 વખત કરાવવો જોઇએ અને તેનું લક્ષ્ય 7% કરતાં ઓછું હોવું જોઈએ.
એક્સર્સાઇઝ કરો, ડાયટમાં ફેરફાર કરો: નિયમિત કસરત, બેલેન્સ ડાયટ, ધૂમ્રપાન અને આલ્કોહોલથી અંતર જાળવવાથી તમે આ જીવલેણ રોગથી બચી શકો છે. આહારમાં લીલાં પાંદડાંવાળા શાક-ભાજીનો સમાવેશ કરો.
સમયસર સારવાર કરાવો: ડાયાબિટીસ અને એનાથી સંબંધિત સમસ્યાઓની સમયસર સારવાર કરાવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, નહીં તો તે શરીરના ઘણા ભાગોમાં એની અસર બતાવવાનું શરૂ કરે છે. આ બાબત હંમેશાં ધ્યાનમાં રાખો.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.