ઈરાન પોતાના પરમાણુ કેન્દ્રને ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાથી બચાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે તેણે પહાડી વિસ્તારમાં ભૂગર્ભમાં પરમાણુ હથિયાર બનાવવાનું કામ શરૂ કર્યું છે. સેટેલાઇટ તસવીરોમાં આ વાત સામે આવી છે.
એપીના અહેવાલ મુજબ ઈરાની કામદારો તસવીરમાં ઝાગ્રોસના પહાડોમાં સુરંગ ખોદતા જોવા મળે છે. આ સ્થળ ઈરાનની ન્યુક્લિયર સાઈટ નતાન્ઝની ખૂબ જ નજીક છે, જેના પર પશ્ચિમી દેશોના સતત હુમલાઓ થઈ રહ્યા છે. આ દેશો નથી ઈચ્છતા કે ઈરાન પરમાણુ શક્તિ પ્રાપ્ત કરે.
ઈરાનની પરમાણુ સુવિધા પૂર્ણ થવી એ એક દુઃસ્વપ્ન સમાન છે
એન્ટિ-એરક્રાફ્ટ બેટરી, ફેન્સિંગ અને ઈરાનના અર્ધલશ્કરી દળના રિવોલ્યુશનરી ગાર્ડ પરમાણુ સુવિધાના રક્ષણ માટે નવા પ્રોજેક્ટનું રક્ષણ કરી રહ્યા છે. આ ટનલ 6 મીટર પહોળી અને 8 મીટર લાંબી છે. એપીના જણાવ્યા અનુસાર, ઈરાન 80 થી 100 મીટરની ઊંડાઈ પર તેની ફેસિલિટી બનાવી રહ્યું છે. યુએસએ ભૂગર્ભ સુવિધા પર હુમલો કરવા માટે GBU-57 બોમ્બ બનાવ્યો હતો. જે ફૂટ્યા વિના જમીનમાં 60 મીટર અંદર જઈ શકે છે. તે ઈરાનની 80 થી 100 મીટરની ઉંડાઈએ બનેલી પરમાણુ સુવિધાને અસર કરશે નહીં.
ઈરાનનું યુરેનિયમ ઉત્પાદન પરમાણુ હથિયાર બનાવવાના સ્તરે પહોંચી રહ્યું છે. આ અંગે અમેરિકન આર્મ્સ કંટ્રોલ એસોસિએશનના અધિકારીએ કહ્યું કે ઈરાનની પરમાણુ સુવિધા પૂર્ણ થવી એ એક દુઃસ્વપ્ન સમાન હશે.
ઈરાનનું પરમાણુ હથિયાર મેળવવાનું સપનું પૂરું ન થાય તે માટે અમેરિકા તેના પર સતત પ્રતિબંધો લાદી રહ્યું છે. તાજેતરમાં, બિડેને ઈરાનના તેલ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ પરના પ્રતિબંધોને વધુ કડક કરવાની જાહેરાત કરી હતી.
બાઈડેન ઈરાન સાથેના પરમાણુ કરારના વચનને પૂર્ણ કરવામાં સક્ષમ નથી
5 વર્ષ પહેલાં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી પોતાને બહાર કાઢી લીધા હતા. આ ડીલ ઓબામાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી. તે દરમિયાન જો બાઈડેન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા છોડ્યા પછી, બાઈડેને વચન આપ્યું હતું કે તે ઈરાન સાથે પરમાણુ કરાર ફરીથી શરૂ કરશે. જોકે, અત્યાર સુધીની વાતચીત નિષ્ફળ સાબિત થઈ છે.
પરમાણુ કરારના અંત પછી, ઈરાને 60 ટકા યુરેનિયમ સમૃદ્ધ બનાવ્યું છે. આ મામલાની તપાસ કરી રહેલા લોકોના જણાવ્યા અનુસાર, ઈરાન હવે પરમાણુ હથિયારો માટે 83.7% શુદ્ધ યુરેનિયમનું ઉત્પાદન કરી રહ્યું છે. શસ્ત્રો બનાવવાની ક્ષમતા માટે 90% શુદ્ધ યુરેનિયમ કણો જરૂરી છે.
ઈરાનના પરમાણુ કેન્દ્ર પર ઈઝરાયેલ-અમેરિકાનો હુમલો
ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવવાથી રોકવા માટે તેના પરમાણુ કેન્દ્ર પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો છે. નતાન્ઝ ન્યુક્લિયર સાઇટ પર સ્ટકનેટ વાયરસથી હુમલો કરવામાં આવ્યો હતો. તે ઈઝરાયેલ અને અમેરિકામાં બનેલો વાયરસ હતો.
આ સાથે જ ઈઝરાયેલ પર ઈરાનના પરમાણુ કાર્યક્રમના એક વૈજ્ઞાનિકની હત્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. જોકે ઈઝરાયેલ સરકારે આ આરોપો પર હજુ સુધી કંઈ કહ્યું નથી. નિષ્ણાતોના મતે, આ કારણોસર જ ઈરાન તેની પરમાણુ ફેસેલિટીને ભૂગર્ભમાં લઈ જઈ રહ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.