કોરોના સંક્રમણની ઝડપ અટક્યા પછી બ્રિટન અને ફ્રાન્સ સહિત યુરોપના અનેક દેશ અનલોક થઈ ચૂક્યા છે, જોકે આ દરમિયાન બ્રિટનમાં ફરી કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં બ્રિટનમાં 12 ટકા કેસ વધ્યા છે. જોકે સારી વાત છે કે મૃત્યુ 43 ટકા ઘટી ગયાં છે. કોરોનાના કેસ વધતાં જર્મનીએ બ્રિટિશ યાત્રીઓ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંત બ્રિટિશ પ્રવાસીઓના પહોંચ્યા પછી જર્મનીનાં કેટલાંક શહેરોમાં કેફે, રેસ્ટોરાં અને બિયર ગાર્ડન પણ બંધ કરી દેવાયાં છે. હકીકતમાં બ્રિટનમાં ‘ટ્રિપલ મ્યૂટેશન’વાળા નવા વેરિયન્ટના કેસ સામે આવવા લાગ્યા છે. બ્રિટિશ ડોક્ટરોનો દાવો છે કે વાયરસનો આ વેરિયન્ટ અગાઉ કરતાં વધુ લોકોને બીમાર પાડી રહ્યો છે. બ્રિટિશ આરોગ્ય સચિવ મેટ હેનકોકે આ માહિતી આપતાં જણાવ્યું કે, ટ્રિપલ મ્યૂટેન્ટ વાયરસ વેરિયન્ટની શોધ સૌથી પહેલા યોર્કશાયરમાં થઈ છે. નવા સ્ટ્રેનનું નામ વીયુઆઈ-21એમઆઈ-01 છે. તેની તપાસ થઈ રહી છે. આ વેરિયન્ટ એપ્રિલમાં જોવા મળ્યો હતો. યોર્કશાયર અને હંબરમાં અત્યાર સુધી નવા 49 કેસ નોંધાયા છે.
બ્રિટિશ યાત્રીઓ પહોંચતાં જર્મનીનાં કેફે, રેસ્ટોરાં, બાર બંધ
એરલાઈન્સ, ટ્રેન અને બસ કંપનીઓ માત્ર જર્મન નાગરિકોને જ પાછા લાવી શકશે
નવા સંક્રમણને કારણે જર્મનીએ પોતાનાં નાગરિકો સિવાય બ્રિટનથી આવતા તમામ યાત્રીઓ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે, જે રવિવારથી લાગુ થયો છે. એરલાઈન્સ, રેલવે અને બસ કંપનીઓ માત્ર જર્મન નાગરિકોને જ દેશમાં લાવી શકશે. જર્મનીમાં આગમનના બે સપ્તાહ ક્વોરેન્ટાઈનમાં પસાર કરવા પડશે. જર્મનીના આરોગ્ય મંત્રી જેન્સ સ્પેને જણાવ્યું કે, આ પગલું બ્રિટન માટે કપરું છે, પરંતુ જર્મનીમાં નવા વેરિયન્ટના ઝડપી ફેલાવાને રોકવા આ જરૂરી છે.
બ્રિટન પોતાના સીવેજમાં કોરોના વાયરસની હાજરી ચકાસી રહ્યું છે, તપાસ વધારી
આ બાજુ બ્રિટન પોતાને ત્યાં વાઈરસની હાજરી માટે સીવેજ તપાસી રહ્યું છે. વિજ્ઞાનીઓએ સીવેજમાં નવા વેરિયન્ટની હાજરીને જાણવા માટે ટેસ્ટિંગ પણ વધાર્યું છે, જેથી બે તૃતિયાંશ વસતીને કવર કરી શકાય. બ્રિટિશ સરકારે સીવેજની તપાસ માટે એક્જર્ટરમાં એક નવી પ્રયોગશાળા બનાવી છે. અહીં બ્રિટનના લગભગ 500 જુદા-જુદા સ્થળોએથી ગંદા પાણીને સેમ્પલ લાવવામાં આવી રહ્યા છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે, સીવેજ વાઈરસ મળતાં તેનો સામનો કરવામાં સરળતા રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.