ભારતે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સમજૂતી (IWT)માં સમીક્ષા મામલે પાકિસ્તાનને નોટિસ ફટકારી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, આ નોટિસ 25 જાન્યુઆરીએ સિંધુ જળ સાથે જોડાયેલા કમિશનર્સને પાઠવવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની વારંવારની વિનંતી પર વિશ્વ બેંકે હાલમાં ન્યુટ્રલ એક્સપર્ટ અને કોર્ટ ઓફ આર્બિટ્રેશન પ્રક્રિયા પર કાર્યવાહી શરૂ કરી છે. IWTની કોઈપણ જોગવાઈઓ હેઠળ આ મુદ્દાઓ પર કોઈપણ સમાંતર વિચારણાને આવરી લેવામાં આવી નથી.
IWTમાં સંશોધન બાબતે પાઠવવામાં આવેલી ભારતની આ નોટિસ દ્વારા પાકિસ્તાનને IWTના ભૌતિક ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર સરકાર સાથે વાતચીત કરવા માટેની તક આપવામાં આવી છે.
શું છે સિંધુ જળ સમજૂતી
સિંધુ જળ સમજૂતી પાણીના વિભાજન બાબતની એ વ્યવસ્થા છે, જેના પર 19 સપ્ટેમ્બર 1960ના રોજ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને કરાચીમાં હસ્તાક્ષર કર્યા હતા. એમાં છ નદી બિયાસ, રાવી, સતલુજ, સિંધુ, ચિનાબ અને જેલમનાં પાણીના વિતરણ અને ઉપયોગ કરવાના અધિકારોનો સમાવેશ થાય છે. વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી કરી હતી.
આ નદીઓના કુલ 16.8 કરોડ એકર-ફૂટમાંથી ભારતનો હિસ્સો 3.3 કરોડ એકર-ફૂટ છે, જે લગભગ 20 ટકા છે. બીજી તરફ, પશ્ચિમની નદીઓ સિંધુ (ઈન્ડસ), ચિનાબ અને જેલમનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું છે. જોકે ભારતને આ નદીઓનાં પાણીનો ખેતી, ઘરેલું વપરાશ માટે ઉપયોગ કરવાનો અધિકાર છે. આ સાથે ભારત અમુક માપદંડોની અંદર હાઈડ્રોઈલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ પણ બનાવી શકે છે.
ઈન્ડસ કમિશનને જાણો
ઈન્ડસ વોટર સંધિ (સિંધુ જળ સમજૂતી) હેઠળ કાયમી સિંધુ કમિશન પર 1960માં ભારત અને પાકિસ્તાને હસ્તાક્ષર કર્યા હતા. આ કમિશન હેઠળ દેશોમાં કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી. તેઓ સરકારના પ્રતિનિધિ તરીકે કામ કરે છે. આ સંધિને કારણે બંને દેશના કમિશનરોને વર્ષમાં એકવાર મળવાનું હોય છે. તેમની બેઠક એક વર્ષ ભારતમાં અને એક વર્ષ પાકિસ્તાનમાં મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.