નેપાળના નવા વડાપ્રધાન પુષ્પકુમાર દહલ પ્રચંડ ભારતની સાથે સંબંધોને વધુ મજબૂત કરવાના સંકેત આપી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં વડાપ્રધાનનો પદભાર સંભાળી લેનાર પ્રચંડે આ વખતે નેપાળી પીએમની પ્રથમ ભારત યાત્રાની પંરપરાને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રચંડના પૂરોગામી પીએમ શેર બહાદુર દેઉબા અને કે.પી. શર્મા ઓલી વડાપ્રધાનપદને સંભાળી લીધા બાદ પરંપરાને જાળવી રાખીને પોતાની પ્રથમ વિદેશ યાત્રા પર ભારત આવ્યા હતા.
શક્યતા એવી પણ છે કે પ્રચંડ એપ્રિલના બીજા સપ્તાહમાં ભારત આવી શકે છે. આના માટે પ્રચંડે ચીન તરફથી 28મી માર્ચે હેનાનમાં આયોજિત બોઆઓ ફોરમની બેઠકથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. 2008માં જ્યારે પ્રચંડ પ્રથમ વખત નેપાળના વડાપ્રધાન બન્યા હતા ત્યારે પહેલીવાર વિદેશયાત્રા પર ભારત નહીં આવીને ચીન યાત્રા પર પહોંચ્યા હતા. એ વખતે પ્રચંડે ચીનમાં આયોજિત ઓલિમ્પિક રમતોના ઉદઘાટનમાં હાજરી આપી હતી.
વડાપ્રધાન પ્રચંડના ભારત પ્રત્યેના વલણમાં નરમાઈનાં બે મોટાં કારણ
1 સત્તામાં લાંબી ઇનિંગ્સ માટે ભારતને નારાજ કરી શકાય નહીં નેપાળના રાજકીય નિરીક્ષણ કમલદેવ ભટ્ટારાયે ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પ્રચંડ સારી રીતે જાણે છે કે લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સત્તામાં રહેવા માટે ભારતને નારાજ કરી શકાય નહીં. ચીનથી પહેલાં ભારતની યાત્રા પર જઇને પ્રચંડ સ્પષ્ટ રીતે સંદેશ આપવા ઇચ્છે છે કે તેઓ ચીનના બિલકુલ સમર્થક નથી. તેઓ ભારતની સાથે મળીને કામ કરવા માટે ઇચ્છુક છે. ભટ્ટારાઇનું કહેવું છે કે, પ્રચંડ જેવા કોમ્યુનિસ્ટ નેતાના નેતૃત્વવાળી સરકારને ચીન સમર્થક તરીકે જોવામાં આવે છે, પરંતુ પ્રચંડની આ વખતની સરકાર મોટા ભાગે પ્રો ઇન્ડિયા અને પ્રો વેસ્ટ તરીકે છે.
2 ભારત સમર્થક નેપાળી કોંગ્રેસની સાથે ગઠબંધન છે જેથી વલણ બદલાયું
પ્રચંડે બે મહિના પહેલાં કે.પી. શર્મા ઓલીની સાથે બંનેલા કોમ્યુનિસ્ટ પાર્ટીઓના ગઠબંધનને તોડી દેવાની જાહેરાત કરી હતી. હાલની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દહલની પાર્ટીએ નેપાળી કોંગ્રેસના ઉમેદવાર રામચંદ્ર પૌડેલને સમર્થન આપ્યું હતું. પ્રચંડની પાર્ટી અને નેપાળી કોંગ્રેસે ઓલી તરફથી મેદાનમાં ઉતારવામાં આવેલા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર સુવાસ નેમ્બાંગને હરાવ્યા હતા. આ ઘટના બાદ પ્રચંડે ઓલીની સાથે ગઠબંધન તોડી લેવાની જાહેરાત કરી હતી. સાથે સાથે નેપાળી કોંગ્રેસ સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા. હવે સત્તામાં પ્રચંડની પાર્ટીની મુખ્ય સાથી પાર્ટી નેપાળી કોંગ્રેસ પાર્ટી હમેશા ભારતની સમર્થક પાર્ટી રહી છે. પ્રચંડ હવે ભારતને ખાસ મહત્ત્વ આપવા ઇચ્છુક છે. આ જ કારણસર તેઓ ભારતની યાત્રા પર પહેલા આવશે. પ્રચંડે વલણ બદલ્યા બાદ તેની સમગ્ર નેપાળમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.
ભારતયાત્રાથી પહેલાં સંસદમાં શક્તિપ્રદર્શન અને કેબિનેટનું વિસ્તરણ કરશે
વડાપ્રધાન પ્રચંડ એપ્રિલમાં ભારતની યાત્રાથી પહેલાં સંસદમાં શક્તિપ્રદર્શન (ફ્લોર ટેસ્ટ) અને કેબિનેટનું વિસ્તરણ કરવા ઇચ્છુક છે. 275 સાંસદોવાળી સંસદમાં નેપાળી કોંગ્રેસના 89 સભ્યો ઉપરાંત પ્રચંડની પાસે અન્ય નાની પાર્ટીઓના 140 સાંસદોનું પણ સ્પષ્ટ સમર્થન છે. જાણકાર લોકોનું કહેવું છે કે, ફ્લોર ટેસ્ટમાં પ્રચંડ 140ના વર્તમાન આંકડાથી વધારે સમર્થન હાંસલ કરી શકે છે. જ્યારે વિપક્ષી કેપી શર્મા ઓલી અને તેમના ગઠબંધનની પાર્ટીઓની પાસે 95 સાંસદો જ છે. સૂત્રો મુજબ પ્રચંડ કેબિનેટમાં નેપાળી કોંગ્રેસને વિદેશમંત્રી પદ મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.