ઈરાનનાં ખોએ શહેરમાં શનિવારે રાત્રે 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 440 લોકો ઘાયલ થયા છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 કિમી નીચે હતું.
ઈરાનની ન્યૂઝ એજન્સી IRNA મુજબ, ભૂકંપના આંચકા તેજ હતા અને ઈરાનના પશ્ચિમ અજરબૈઝાન ક્ષેત્રમાં અનેક વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ સરકારી હોસ્પિટલોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ.
સોશિયલ મીડિયા પર ભૂકંપના કેટલાક ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં હિમવર્ષા
સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ ભૂંકપ અસરગ્રસ્ત કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ત્યાં તાપમાન 0 ડિગ્રી કરતા પણ નીચું હતું. કેટલાક વિસ્તારોમાં વીજસેવા ઠપ્પ થઈ ગઈ છે. રેસ્ક્યુ ટીમ ભૂકંપવાળા વિસ્તારોમાં સ્થિતિને સામાન્ય કરવા બાબતે કાર્ય કરી રહી છે.
જુલાઈ 2022માં આવ્યો હતો 6ની તીવ્રતાનો ભૂકંપ
2 જુલાઈ 2022માં ઈરાનમાં 6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકાઓ પાડોશી દેશ કતાર અને યુએઈની સાથે ચીન સુધી અનુભવાયા હતા. ભૂકંપમાં 5 લાકોના મોત થયા હતા અને 44 લોકો ઘાયલ થયા હતા.
25 જૂને પણ ભૂકંપ આવ્યો હતો
25 જૂને ઈરાનના દક્ષિણ પ્રાંતમાં 5.6ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ દુર્ઘટનાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈરાની મીડિયાએ આ માહિતી આપી હતી. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સી IRNAએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર હોર્મોઝગન પ્રાંતના કિશ ટાપુથી 22 કિલોમીટર ઉત્તરપૂર્વમાં હતું. તેનું કેન્દ્ર સપાટીથી 22 કિલોમીટર નીચે હતું.
2003માં 26 હજાર લોકોના મોત થયા છે
આ પહેલા પણ ઈરાન ભૂકંપના કારણે તબાહીનો સામનો કરી ચુક્યું છે. 2003માં બામ શહેરમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન 26000 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ભૂકંપ શા માટે આવે છે?
ધરતીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ વધુ અથડાય છે તેને ફોલ્ટ લાઇન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડાવાથી પ્લેટોના ખુણા વળી જાય છે. જ્યારે દબાણ વધુ થવા લાગે છે, ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. તેના તૂટવાને કારણે, અંદરની ઊર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે. આ પછી ભૂકંપ આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.