- શિરમોર ગ્રંથરાજ વચનામૃતની નવગજા ગજરાજ પર શોભાયાત્રા
- હૈયે હૈયું દળાય એવો એકતા યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
- દેશ-વિદેશના હજ્જારો હરિભક્તોથી વૃષપુર ગામ નાનું પડ્યું
Divyabhaskar.com
Nov 09, 2019, 10:31 PM ISTબળદિયા: ગુણવંતી ગરવી ગુજરાતમાં સ્વિઝરલેન્ડ તરીકે સુપ્રસિદ્ધ કચ્છ ભુજથી 20 કિલોમીટર દૂર વૃષપુર-બળદીયા ગામ આવેલું છે. વૃષપુર ગામ થોડા વર્ષો પહેલાં સમગ્ર એશિયામાં ખુબ જ સમૃદ્ધિવાન અર્થાત કે ધનવાન ગામ તરીકે સુપ્રસિદ્ધ હતું. આ આદર્શ ગામની અંદર શ્રી સ્વામિનારાયણ ભગવાન પુનઃ શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી રૂપે પ્રગટ થયા હતા. જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીના સિદ્ધાંતોનો પ્રચાર અને પ્રસાર કરનાર - રક્ષણહાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પરમ શિષ્ય અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી મુખવાણી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ તથા શ્રીજી સ્વયં મૂર્તિ અબજીબાપા અમૃત મહોત્સવ દબદબાભેર ઉજવાયો છે.
પાઇપ બેન્ડના 200થી વધારે યુવા સદસ્યોથી સમગ્ર ગામ કર્ણપ્રિય કીર્તનોથી ગૂંજી ઊઠ્યું
મહોત્સવના દ્વિતીય દિને અપરાહ્ન કાળ પછી વૃષપુર - બળદીયા ગામમાં પાંચ નવગજા ગજરાજો અને અનેક વિવિધ ફલોટ્સ પર ભવ્ય અને દિવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરયાત્રાથી બળદિયા ગામ દેશ-વિદેશના અનેક સત્સંગી હરિભક્તોથી નાનું પડવા લાગ્યું. પાંચ પાંચ વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડના 200થી વધારે યુવા સદસ્યોથી સમગ્ર ગામ કર્ણપ્રિય કીર્તનોથી ગૂંજી ઊઠયું હતું. સાડા ત્રણ કિલોમીટર લાંબી નગરયાત્રા જોઈને વૃષપુર વાસીઓ અચરજમાં ગરકાવ થઇ ગયા હતા.
સમગ્ર વિશ્વમાં વસતા શ્રી સ્વામિનારાયણ ગાદીના સત્સંગી હરિભક્તોથી હૈયે હૈયું દળાય એવી ભવ્ય અને દિવ્ય નગરયાત્રા દીસતી હતી. વિવિધ ભાષા અને વિવિધ ગણવેશમાં શોભતી આ વિશ્વ મંગલ નગરયાત્રામાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે સમગ્ર વૃષપુર ગામમાં અભયદાન - દર્શન આપી અને અનેકને મોક્ષભાગી બનાવ્યા હતા. શિરમોર ગ્રંથરાજ વચનામૃત દ્વિશતાબ્દી તથા શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપશ્રી શતામૃત મહોત્સવ દરમિયાન યોજાયેલ આ ભવ્ય અને દિવ્ય નગરયાત્રા વૃષપુર - બળદિયામાં અપૂર્વદ્રષ્ટ નગરયાત્રા બની રહી હતી.