એક્ટ્રેસ નૂપુર અલંકારના જીજાજી કૌશલ અગ્રવાલ અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં ફસાયા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નૂપુરે કહ્યું હતું કે કૌશલ અગ્રવાલ સાથે છેલ્લે 17 ઓગસ્ટે વાત થઈ હતી. ત્યારબાદ કોઈ સંપર્ક થયો નથી.
ઇન્ડિયન એમ્બેસીનો ઇમેલથી સંપર્ક કરવાનો પ્રયાસ
નૂપુરે કહ્યું હતું, 'મારી નાની બહેન જીજ્ઞાસા ઘણી જ ડરી ગઈ છે. અમે બધા તેને હિંમત આપી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે કૌશલ જ્યાં પણ હશે ત્યાં સલામત હશે. અમે માત્ર તેના એક ફોનની રાહ જોઈએ છીએ. અફઘાનિસ્તાનની સ્થિતિ ઘણી જ ખરાબ છે. મારા જીજાજી ત્યાં ફસાયા છે. હાલમાં અમે ઇન્ડિયન એમ્બેસીનો ઇમેલથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ છીએ.'
17 ઓગસ્ટે વીડિયો કોલ પર વાત થઈ હતી
નૂપુર અલંકારે વધુમાં કહ્યું હતું, '17 ઓગસ્ટે સાંજે કૌશલ સાથે વીડિયો કોલ પર વાત થઈ હતી. તે પોતાની ઓફિસની બારીમાંથી તાલિબાન તથા અફઘાન મિલેટ્રી વચ્ચેની લડાઈ જોતો હતો. જોકે, તેણે એમ કહ્યું હતું કે તે સલામત છે. જોકે, હવે તેનો સંપર્ક થઈ શક્યો નથી અને તેથી જ બધા ટેન્શનમાં છે.'
15 ઓગસ્ટે કાબુલથી ભારત આવવાના હતા
વાતચીતમાં નૂપુરે કહ્યું હતું કે કૌશલ ડ્રાયફ્રૂટ્સના મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલો છે. નૂપુરે જણાવ્યું હતું, 'લૉકડાઉનમાં કૌશલે કાબુલથી અંજીર તથા ખજૂરના બિઝનેસનું કામ મળ્યું હતું. અમે તેને કાબુલ જવાની ના પાડી હતી, કારણ કે તે જગ્યા સલામત નથી. જોકે, કૌશલ માન્ય નહીં. ભારતમાં લૉકડાઉન હોવાથી તેનું કામ બરોબર ચાલતું નહોતું. આથી તેને કાબુલથી ઑફર આવી અને તેણે તરત જ હા પાડી દીધી. 16 જુલાઈના રોજ તે કાબુલ ગયો હતો અને પછી કંદહાર ગયો હતો. 15 ઓગસ્ટે ભારત આવવાનો હતો. જોકે, આ દરમિયાન તાલિબાને પૂરી રીતે અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો. અમે બસ પ્રાર્થના કરીએ છીએ કે કૌશલનો જલદીથી સંપર્ક થાય.'
કંદહારમાં વીજળી-પાણી નથી
નૂપુર અલંકાર સાથેના વીડિયો કોલ પર કૌશલે અફઘાનિસ્તાનની સ્થિતિ વર્ણવી હતી. નૂપુરે કહ્યું હતું, 'વીડિયો કોલમાં કૌશલની દાઢી વધેલી હતી. તેણે એવું કહ્યું હતું કે અહીંયા શેવિંગ કરવાની પરમિશન નથી. 3 દિવસમાં માત્ર એકવાર સ્નાન કરી શકાય છે. પાણી તેટલું જ છે. રાત્રે વીજળી હોતી નથી. તે કારની બેટરીથી મોબાઈલ ચાર્જ કરીને વાત કરતો હતો. તે કંદહારથી કાબુલ જઈ શકતો નથી. છેલ્લે આ જ વાતચીત કરી હતી. પહેલાં તે એકદમ હસતા હસતા વાત કરતો હતો, અને એક મહિનામાં જ તેના અવાજમાં ડર જોવા મળ્યો હતો.' ઉલ્લેખનીય છે કે 50 વર્ષીય કૌશલ અગ્રવાલ મુંબઈના કાંદિવલીમાં રહે છે. પત્ની જીજ્ઞાસા ઉપરાંત તેને જોડિયા બાળકો છે.
ઉલ્લેખનીય છે કે નૂપુરે ‘સ્વરાગિની’, ‘ઈસ પ્યાર કો ક્યા નામ દૂ’, ‘દીયા ઔર બાતી હમ’, ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ તથા ‘ઘર કી લક્ષ્મી બેટિયાં’ જેવી ટીવી સિરિયલ્સમાં કામ કર્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.