બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ 13' સાથે ફરી એકવાર ટીવી પર આવી રહ્યા છે. આ સિઝનમાં એક ફેરફાર જોવા મળશે. 13મી સિઝનમાં લાઇવ ઓડિયન્સ પણ હશે. કોરોનાકાળ પહેલાં લાઇવ ઓડિયન્સ રિયાલિટી શોમાં જોવા મળતી હતી. 'કેબીસી 12'માં કોરોનાના ડરથી લાઇવ ઓડિયન્સ જોવા મળતી નથી. જોકે, હવે ચેનલે આ સિઝનમાં ફરી એકવાર સ્ટૂડિયોમાં લાઇવ ઓડિયન્સની સાથે શૂટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
'ઓડિયન્સ પોલ' ફરી એકવાર શોના ફોર્મેટમાં સામેલ
શો સાથે જોડાયેલા નિકટના સૂત્રોનામતે, 'ચેનલે 50% ઓડિયન્સ સાથે શૂટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સૌથી પોપ્યુલર સેગમેન્ટ સ્પર્ધકોની 'ઓડિયન્સ પોલ' લાઇફલાઇન ફરી એકવાર શોના ફોર્મેટમાં સામેલ થઈ છે. આ ઉપરાંત ત્રણ લાઇફલાઇન 50:50, એક્સપર્ટને પૂછો તથા પ્રશ્ન બદલો આ એમની એમ જ છે. સરકારી નિયમનું પાલન કરીને મેકર્સ કોરોનાના દરેક પ્રોટોકોલ સાથે શૂટિંગ કરશે. કોરોના ટેસ્ટ બાદ જ ઓડિયન્સ શોમાં આવવા દેવામાં આવશે.
'ધ કપિલ શર્મા શો'માં પણ ઓડિયન્સ જોવા મળશે
માત્ર 'કૌન બનેગા કરોડપતિ'માં જ નહીં, પરંતુ 'ધ કપિલ શર્મા'માં પણ ઓડિયન્સને બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ શોમાં 50% ઓડિયન્સ જોવા મળશે. ગઈ સિઝનમાં શોમાં ઓડિયન્સના કટ આઉટ્સ મૂકવામાં આવ્યા હતા.
'કેબીસી'નો પહેલો એપિસોડ 23 ઓગસ્ટે
'કેબીસી 13'ની વાત કરીએ તો આ સિઝનમાં 70-75 એપિસોડ ટેલિકાસ્ટ થશે. આ સિઝન ત્રણ મહિના સુધી ચાલશે. શો 23 ઓગસ્ટથી શરૂ થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.