કંગનાનો આજે એટલે કે ગુરુવારે, 23 માર્ચના રોજ 36મો જન્મદિવસ છે. કંગનાના ફેન્સ, ફ્રેન્ડ્સ, તથા ફેમિલી મેમ્બર્સ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. કંગનાએ પણ પોતાના બર્થડે પર સ્પેશિયલ નોટ શૅર કરી છે. કંગનાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. એક્ટ્રેસે વીડિયો દ્વારા તેના પરિવાર, ગુરુ અને ફેન્સનો આભાર માન્યો છે. આ બધા સિવાય તેણે તે લોકોનો પણ આભાર માન્યો છે, જે સતત ટ્રોલ કરતા રહે છે.
બર્થડે પર કહી આ વાત
કંગના એક્ટિંગ ઉપરાંત નિવેદનને કારણે પણ ચર્ચામાં રહે છે. જ્યારે વાત કંગનાના વર્કફ્રન્ટની હોય કે પછી સામાજિક મુદ્દાની હોય, તે હંમેશાં ખૂલીને વાત કરે છે. ઘણીવાર આ જ કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવે છે. કંગના આ પહેલાં પણ કહી ચૂકી છે કે ટ્રોલર્સથી કોઈ ફરખ નથી પડતો, પરંતુ આગળ વધવામાં મદદ થાય છે.
કંગનાએ તેના વિરોધીઓ માટે એક મેસેજ શેર કર્યો છે. તેણે જણાવ્યું હતું કે 'જન્મદિવસના ખાસ દિવસે હું મારાં માતા-પિતાનો આભાર વ્યક્ત કરવા માગું છું. હું મારાં માતા-પિતા, મારા કુળદેવી માતા અંબિકા જી, જેમણે મને જન્મ આપ્યો છે, મારા તમામ ગુરુ શ્રી સદગુરુજી, સ્વામી વિવેકાનંદજી, મારા બધા ફેન્સ, શુભેચ્છકો, મારી સાથે કામ કરનારા, મારા ફેન્સનો આભાર વ્યક્ત કરું છું.
તેણે વધુમાં જણાવ્યું હતું કે 'મારા દુશ્મનો, જેમણે મને આજ સુધી ક્યારેય આરામ કરવા દીધો નથી. મને ગમે તેટલી સફળતા મળી હોય, આમ છતાં મને લડતા શીખવ્યું છે, સંઘર્ષ કરતાં શીખવ્યું છે, હું હંમેશાં તેમની આભારી રહીશ. મિત્રો મારી વિચારધારા ખૂબ જ સરળ છે. હું હંમેશાં માટે દરેકનું સારું જ થાય એવી પ્રાર્થના કરું છું. આ કારણે જો મેં દેશના હિતમાં કંઇક કહ્યું હોય અને તેમને એના માટે દુ:ખ થયું હોય તો એ માટે પણ હું માફી માગું છું. શ્રીકૃષ્ણની કૃપાથી મને ખૂબ જ સારું જીવન મળ્યું છે. મારે કોઈ સાથે કોઈ જ દુશ્મની નથી.
આ સાથે કંગના રનૌતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લોકો તેના વિશે ગમે તેટલું કહે, પરંતુ તે હિંમત હારનારી નથી. લોકોની નકારાત્મક ટિપ્પણીઓને અવગણીને પણ તે તેની મંજિલ સુધી પહોંચી શકે છે.
4 નેશનલ અવૉર્ડ, 5 ફિલ્મફેર અવૉર્ડ અને પદ્મશ્રી વિજેતા કંગના એકમાત્ર એક્ટ્રેસ છે, જેના વિરુદ્ધ દેશની વિવિધ કોર્ટમાં 700 કેસ છે. કંગનાએ ક્યારેય ખાન હીરોઝ એટલે કે સલમાન, શાહરુખ અને આમિર સાથે કામ કર્યું નથી. શાહરુખ સાથે ઝીરો અને સલમાન સાથે સુલતાન બંને ફિલ્મોને કંગનાએ રિજેક્ટ કરી હતી, કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાહરુખ કંગના સાથે ફિલ્મ કરવા માગતો નહોતો. કંગના એકમાત્ર બોલિવૂડ એક્ટ્રેસ છે, જે બોલિવૂડના કોઈ મોટા પ્રોડક્શન હાઉસ સાથે કામ નથી કરતી, તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ બનાવ્યું છે.
કંગનાનાં વિવાસ્પદ નિવેદન
સુશાંતને બોલિવૂડ માફિયાથી જોખમ હતું : કંગના
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કંગનાએ તેના નિવેદનથી નેપોટિઝ્મ પર હુમલો કર્યો. કંગનાએ કહ્યું હતું કે સુશાંતને ધમકાવવામાં આવી રહ્યો હતો બહિષ્કૃત કરવામાં આવ્યો હતો અને તેના જીવને ફિલ્મ માફિયાથી જોખમ છે.
જાવેદ અખ્તરે નોંધાવ્યો હતો માનહાનિનો કેસ
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે જાવેદ અખ્તરે તેને ઘરે બોલાવીને ધમકી આપી હતી. કંગના આ નિવેદન બાદ જાવેદ અખ્તરે, તેમના વકીલ નિરંજન મુંદરગી દ્વારા, 2 નવેમ્બર 2020ના રોજ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે કંગના પર ભારતીય દંડ સંહિતાની કલમ 499 (બદનક્ષી) અને કલમ 500 (બદનક્ષી માટેની સજા) હેઠળ આરોપો લગાવ્યા હતા.
ખેડૂતોને આતંકવાદી કહ્યા
પંજાબમાં કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને કંગનાએ આતંકવાદી કહીને જણાવ્યું હતું કે આ લોકો દેશને બે ભાગમાં વેચી રહ્યા છે. આ બાદ કંગનાના આ નિવેદન પર કર્ણાટકમાં તેમના વિરુદ્ધ ક્રિમિનલ કેસ પણ કરવામાં આવ્યા હતા.
કંગના ઉદ્ધવ ઠાકરની પણ વિરુદ્ધ થઈ હતી
વર્ષ 2020માં BMCએ કંગનાની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું હતું. માહિતી અનુસાર, કંગનાએ આ ઓફિસ 2017માં ખરીદી હતી, પરંતુ BMCના 1979ના રેકોર્ડ અનુસાર, આ ઓફિસ રેસિડેન્શિયલ પ્રોપર્ટી હેઠળ લિસ્ટેડ હતી.
આ ઘટના બાદ કંગનાએ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરને આડેહાથ લીધા હતા, જેને કારણે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
કંગના વિરુદ્ધ 700 કેસ નોંધાયા
કંગનાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે મારી વિરુદ્ધ કુલ 700 કેસ નોંધાયેલા છે, જે મારે એકલા હાથે લડવાના છે. આ કેસ સિવાય પણ આવનારી ફિલ્મ સાથે જોડાયેલી ઘણી બાબતો જોવાની છે, પરંતુ મારામાં આ બધી બાબતોને એકસાથે સંભાળવાની હિંમત નથી. મારું હૃદય ફરીથી તૂટી ગયું છે. તેણે આ ટ્વીટ BMCની ઓફિસ તોડ્યા બાદ કર્યું હતું.
કંગનાએ પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી
કંગનાએ આ તમામ ઘટનાઓ અને ટીકાને આકસ્મિક રીતે લીધી હતી. જ કંગનાના બેબાક નિવેદનને કારણે અનેક પ્રોડક્શન હાઉસની ઘણી ફિલ્મોમાંથી હાથ ધોવાનો વારો આવ્યો હતો. ટોચના કલાકારોએ તેની સાથે ફિલ્મો કરવાની ના પાડી દીધી હતી. જે ઈન્ડસ્ટ્રી પર અનેક કટાક્ષ કર્યા હતા તે એક રીતે અલગ થઈ ગઈ અને પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું. કંગનાએ 2019ની ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી, જેમાં તેણે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મ રિલીઝના એક વર્ષ પછી કંગનાએ પાલી હિલ, મુંબઈમાં તેના નવા પ્રોડક્શન હાઉસ મણિકર્ણિકા ફિલ્મ્સનું ઉદઘાટન કર્યું હતું.
કંગનાનું વર્કફ્રન્ટ
કંગના જલદી જ ફિલ્મ 'ચંદ્રમુખી 2'માં જોવા મળશે. હાલમાં જ એક્ટ્રેસે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે, ત્યાર બાદ એક્ટ્રેસે ફિલ્મના કો-એક્ટર રાઘવ લોરેન્સ માટે એક નોટ પણ લખી છે.
કંગનાની ફિલ્મ 'ઇમર્જન્સી' પણ રિલીઝ થવાની છે. કંગનાએ આ ફિલ્મમાં સ્વર્ગસ્થ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.