રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની તારીખ ઑફિશિયલી કન્ફર્મ થઈ ગઈ છે. બંને 17 એપ્રિલના રોજ ચેમ્બુર સ્થિત RK હાઉસમાં લગ્ન કરશે. પ્રી વેડિંગ ફંક્શન 14 એપ્રિલથી શરૂ થશે. રિસેપ્શન 18 એપ્રિલના રોજ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાશે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આલિયા ભટ્ટના કાકા તથા રાઇટર-એક્ટર રોબિન ભટ્ટે લગ્નની પુષ્ટિ કરી છે.
RK હાઉસમાં લગ્ન યોજાશે
રોબિન ભટ્ટે કહ્યું હતું, 'લગ્નમાં ક્લોઝ ફેમિલી તથા ફ્રેન્ડ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નના ફંક્શન ચારથી પાંચ દિવસ ચાલશે. બંને પંજાબી વિધિથી લગ્ન કરશે. લગ્ન RK હાઉસમાં યોજાશે. લગ્નમાં કેટલા લોકો આવશે, તે તો મને ખ્યાલ નથી, કારણ કે હું જ ગેસ્ટ છું. 17મીએ લગ્ન યોજાશે. જોકે, હજી સુધી લગ્નના ડ્રેસ કોડ અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.'
ભટ્ટ સાહેબે કહ્યું હતું, ભાઈ તૈયાર રહેજે
વધુમાં રોબિને કહ્યું હતું, 'લગ્ન આ મહિનામાં યોજાશે તેનો નિર્ણય થોડાં દિવસ પહેલાં જ લેવામાં આવ્યો હતો. ભટ્ટ સાહેબ તથા સોની રાઝદાને એપ્રિલની શરૂઆતમાં કહ્યું હતું કે ભાઈ 17-18 એ લગ્ન છે તો તૈયાર રહેજો.'
રણબીરે બેંક્વેટ હોલ બુક કરાવ્યો
રણબીર-આલિયાના પ્રી વેડિંગ ફંક્શન પાલી હિલ સ્થિત આવેલી વાસ્તુ બિલ્ડિંગમાં યોજાશે. રણબીર કપૂરે સાતથી આઠ દિવસ માટે બિલ્ડિંગનો બેંક્વેટ હોલ બુક કરાવ્યો છે. નોંધનીય છે કે રણબીર આ જ બિલ્ડિંગના સાતમા માળે રહે છે. આલિયાએ પણ આ જ બિલ્ડિંગમાં પાંચમા માળે ફ્લેટ ખરીદ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વાસ્તુ બિલ્ડિંગમાં આવેલા હોલમાં એક સમયે આરામથી 40-50 માણસો બેસી શકે છે. જોકે, રણબીરે એસોસિયેશનને વિશ્વાસ અપાવ્યો છે કે એક સમયે હોલમાં 15થી વધુ માણસો હાજર રહેશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.