રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. આજથી એટલે કે 13 એપ્રિલથી બંનેના પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ રહ્યા છે. સૌ પહેલા રણબીર કપૂરના વાસ્તુ અપાર્ટમેન્ટમાં ગણેશજીની પૂજા થઈ હતી. મહેંદી સેરેમનીમાં પંજાબી લોકગીતો વાગ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કરન જોહરે આલિયાને સૌ પહેલાં મહેંદી મૂકી હતી. આ સમયે કરન જોહર ભાવુક થઈ ગયો હતો.
14 એપ્રિલે લગ્ન
નીતુ સિંહ તથા રિદ્ધિમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રણબીર તથા આલિયાના લગ્ન આવતીકાલ એટલે કે 14 એપ્રિલના રોજ છે. આ લગ્ન વાસ્તુમાં યોજાશે.
સોનાનું બુકે ગિફ્ટમાં મળ્યું
સુરતના જ્વેલરે આલિયા તથા રણબીરને ગિફ્ટમાં કેરેટ ગોલ્ડ પ્લેટેડ બુકે ગિફ્ટમાં આપ્યું છે. વીડિયોમાં ગિફ્ટ લાવનાર વ્યક્તિએ કહ્યું હતું, 'અમે સુરતથી આવીએ છીએ. રણબીરજી તથા આલિયાજી માટે આ ગિફ્ટ છે. આ ગોલ્ડ પ્લેટેડ રોઝ બુકે છે. આ સોનાના વરખમાંથી બનાવવામાં આવ્યું છે. આ 100 ટકા રિયલ છે. આ વ્યક્તિએ પોતાનું નામ રોનક હોવાનું કહ્યું હતું.' વધુમાં તેણે કહ્યું હતું કે ડી.ખુશાલદાસ જ્વેલર્સે આ ગિફ્ટ મોકલી છે.
રિશી કપૂરને યાદ કરીને નીતુ સિંહ રડી પડી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાની મહેંદી સેરેમનીમાં નીતુએ પોતાની મહેંદી સેરેમની યાદ કરી હતી. આ દરમિયાન નીતુ સિંહ એકદમ ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી.
આલિયાની મહેંદી ડિઝાઇનની ખાસ વાત
આલિયા ભટ્ટની મહેંદી ડિઝાઇનમાં આઠનું કનેક્શન છે. આલિયાએ ઓર્ગેનિક મહેંદી મૂકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાએ પોતાની મહેંદી ડિઝાઇનમાં ઇનફિનિટી ડિઝાઇન મૂકાવી હતી. આ આઠ નંબર સાથે જોડાયેલું છે.
કોણ કોણ આવ્યું હતું?
રણબીરના વાસ્તુ અપાર્ટમેન્ટમાં સૌ પહેલાં નીતુ સિંહ-કપૂરની દીકરી રિદ્ધિમા, દૌહિત્રી સમારા તથા જમાઈ ભરત સાહની સાથે આવ્યા હતા. ત્યાર બાદ રણબીરની ફોઈ રીમા જૈન આવ્યાં હતાં. કરીના કપૂર, કરિશ્મા કપૂર, આરતી શેટ્ટી, અરમાન જૈન-અનીસા જૈન પણ આવ્યાં હતાં. ગણેશજીની પૂજા માટે નીતુ કપૂરે ગ્રીન ચિનકારી ડ્રેસ પહેર્યો હતો, જ્યારે મહેંદી સેરેમનીમાં નીતુ સિંહ-કપૂરે મલ્ટી કલર્ડ સાડી પહેરી હતી. મહેશ ભટ્ટ દીકરી પૂજા તથા રાહુલ સાથે આવ્યા હતા.
બિલ્ડિંગમાં ટાઇટ સિક્યોરિટી
રણબીર-આલિયાના પ્રી-વેડિંગ ફંક્શન હોવાથી વાસ્તુ બિલ્ડિંગની સિક્યોરિટી એકદમ ટાઇટ જોવા મળી હતી. આલિયાના સિક્યોરિટી હેડ યુસુફભાઈની સિક્યોરિટી એજન્સીના ખભા પર સુરક્ષાની જવાબદારી છે. 200થી વધુ બાઉન્સર્સ સુરક્ષા માટે ફાળવવામાં આવ્યા છે. ફોટો અને વીડિયો લીક ના થાય એ માટે સ્ટાફ મેમ્બર્સના મોબાઇલ પર સ્ટિકર લગાવવામાં આવ્યાં છે.
આ દરમિયાન DCP મંજુનાથ સિંગે કહ્યું હતું, 'અમને કપૂર પરિવારે આ પ્રાઇવેટ સેરેમની અંગે માહિતી આપી હતી અને તેથી જ કેટલાક કોન્સ્ટેબલ ત્યાં મૂકવામાં આવ્યા છે. આ પ્રાઇવેટ સેરેમની છે, પરંતુ મીડિયા તથા સેલેબ્સ સામેલ છે, તેથી કપૂર પરિવારે વિનંતી કરી હતી કે ત્યાં પોલીસ વ્યવસ્થા કરવામાં આવે.'
બંગલો, RK સ્ટુડિયો દુલ્હનની જેમ સજાવાયા
આલિયા-રણબીરના લગ્ન હોવાથી ક્રિશ્નારાજ બંગલો, RK સ્ટુડિયો તથા વાસ્તુ અપાર્ટમેન્ટને લાઇટિંગથી ડેકોરેટ કરવામાં આવ્યા છે. રણબીર કપૂર મુંબઈના પાલી હિલ સ્થિત વાસ્તુ અપાર્ટમેન્ટમાં રહે છે. વાસ્તુ અપાર્ટમેન્ટમાં સામાન આવવા લાગ્યો છે. ફોટો કે વીડિયો લીક ના થાય એ માટે વાસ્તુ અપાર્ટમેન્ટને સફેદ કપડાંથી ઢાંકી દેવામાં આવ્યો છે.
આલિયાની ગર્લ ગેંગને કેટલા રૂપિયા આપશે?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આલિયાની ગર્લ ગેંગ લગ્નમાં રણબીરનાં જૂતાં ચોરશે. રણબીર કપૂર જૂતાં ચોરનાર સાળીઓને એક લાખ રૂપિયા આપશે.
અલગથી સંગીત સેરેમની યોજાશે નહીં
રણબીર-આલિયાના નિકટના મિત્રોએ દાવો કર્યો છે કે પ્રી-વેડિંગ ફંક્શનમાં અલગથી સંગીત સેરેમની યોજવામાં આવશે નહીં, પરંતુ મહેંદી સેરેમનીની સાથે જ ડાન્સ ફંક્શન યોજાશે.
સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ રાખ્યા નથી
અન્ય એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રણબીર-આલિયાએ સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ તથા ફોટોગ્રાફર્સને હાયર કર્યા નથી. જેમને સેલિબ્રિટી વેડિંગનો અનુભવ નથી તેમને જ હાયર કરવામાં આવ્યા છે. મંડપ માટે ફીમેલ સેટ ડિઝાઇનરને ઓન બોર્ડ લેવામાં આવી છે
આલિયા-રણબીર લગ્નમાં સાત વચનની આપ-લે નહીં કરે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પરંપરાગત સાત વચનની આપ-લે લગ્ન દરમિયાન કરશે નહીં. તેમણે એકબીજા માટે સ્પેશિયલ વચનો લખીને રાખ્યાં છે અને તેઓ લગ્નમાં આ વચનો એકબીજાને આપશે.
43 વર્ષ પહેલાં આજે જ ઋષિ-નીતુએ સગાઈ કરી હતી
13 એપ્રિલ, 1979ના રોજ ઋષિ તથા નીતુએ સગાઈ કરી હતી. નીતુ સિંહે આ અંગેની પોસ્ટ પણ શૅર કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.