જો કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમાર આજે જીવતો હોત તો પોતાનો 49મો જન્મદિવસ સેલિબ્રેટ કરતો હોત. 29 ઓક્ટોબર, 2021ના રોજ પુનીત રાજકુમારનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. એક્ટરના અવસાનના સમાચાર સામે આવ્યા બાદ સરકારે આખા બેંગલુરુમાં કલમ 144 તથા દારૂનું વેચાણ બે દિવસ સુધી બંધ કરી દીધું હતું. ચાહકો મોટી સંખ્યામાં બેંગલુરુમાં આવ્યા હતા. પુનીતના અંતિમ દર્શન માટે લાંબી લાઇન લાગી હતી. 10 ચાહકોના મોત થયા હતા, જેમાંથી કોઈએ સુસાઇડ કર્યું હતું તો કોઈને હાર્ટ અટેક આવ્યો હતો.
કન્નડ સિનેમામાં પુનીત રાજકુમારનો જબરજસ્ત ક્રેઝ હતો. પુનીત કન્નડ સુપરસ્ટાર રાજકુમારનો દીકરો હતો. પુનીતની 14 ફિલ્મ 100 દિવસ સુધી થિયેટરમાં ચાલી હતી. પુનીત રિયલ લાઇફમાં ઘણો જ ઉદાર હતો. તે 26 અનાથાશ્રમ તથા ગરીબ બાળકો માટે 46 ફ્રી સ્કૂલ ચલાવતો હતો. પુનીતે પોતાની આંખો દાન કરી હતી.
મોત બાદ આજે એટલે કે 17 માર્ચના રોજ પુનીત રાજકુમારનો બીજો જન્મદિવસ છે. પુનીતની બર્થ એનિવર્સરી પર એક્ટરની કેટલીક અજાણી વાતો જાણીએ...
છ મહિનાની ઉંમરમાં બિગ સ્ક્રીન પર જોવા મળ્યો
પુનીત રાજકુમારનો જન્મ 17 માર્ચ, 1975ના રોજ સુપરસ્ટાર ડૉ. રાજકુમાર તથા પ્રોડ્યુસર પર્વતમ્મા રાજકુમારના ઘરે થયો હતો. પાંચ ભાઈ-બહેનમાં પુનીત સૌથી નાનો હતો. છ મહિનાની ઉંમરમાં તે ફિલ્મ 'પ્રેમદા કનિકે'માં જોવા મળ્યો હતો. પુનીત પોતાની બહેન પૂર્ણિમા સાથે ફિલ્મના સેટ પર જતો હતો. તેને ફિલ્મમાં કામ કરવું ગમતું અને તેથી જ તેણે નાનપણમાં જ સ્કૂલે જવાનું બંધ કરી દીધું હતું. જોકે, તેણે હોમ ટ્યૂટરની મદદથી અભ્યાસ પૂરો કર્યો હતો. તેણે કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કર્યું હતું. અનેક ફિલ્મમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું.
10 વર્ષની ઉંમરમાં પહેલો નેશનલ અવૉર્ડ
પુનીત રાજકુમાર 10 વર્ષનો હતો ત્યારે તેને પહેલો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. આ અવૉર્ડ ફિલ્મ 'Bettada Hoovu' માટે મળ્યો હતો. આ ફિલ્મમાં તે ચાઇલ્ડ આર્ટિસ્ટ હતો. ફિલ્મને બેસ્ટ કન્નડ ફિલ્મનો નેશનલ અવૉર્ડ, ત્રણ ફિલ્મફેર અવોર્ડ સાુથ તથા બે કર્ણાટક સ્ટેટ ફિલ્મ અવૉર્ડ મળ્યા હતા.
સિંગર ને ટીવી પ્રેઝેન્ટર પણ હતો
પુનીત માત્ર એક્ટર નહોતો, પરંતુ સિંગર ને ટીવી પ્રેઝેન્ટર પણ હતો. ફિલ્મ 'આકસ્મિક'માં તેણે કોસ્ચ્યુમ ડિઝાઇન પણ કર્યા હતા. પુનીતને સ્ટેડીકેમ અંગેની પણ માહિતી હતી. સ્ટેડીકેમનો ઉપયોગ ફિલ્મમાં સ્ટંટ ને કારનો પીછો કરવા જેવા સીનમાં થાય છે. પુનીતે બે ટીવી શો પણ પ્રોડ્યૂસ કર્યા હતા.
બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં પણ આગળ
પુનીત એફસ્ક્વાયર, માલાબાર ગોલ્ડ, મનપ્પુરમનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. આ સાથે તે કર્ણાટક રાજ્ય મિલ્ક ફેડરેશન 'નંદિની'નો પણ બ્રાન્ડ એમ્બેસેડર હતો. આ માટે પુનીત કોઈ જાતની ફી લેતો નહોતો. 2008 તથા 2009માં તે IPLની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો બ્રાન્ડ એમ્બેસેડર હતો.
પુનીતના પિતાનું વીરપ્પને અપહરણ કર્યું હતું
વર્ષ 2000માં ચંદન ચોર વીરપ્પને પુનીતના પિતા રાજકુમારનું અપહરણ કર્યું હતું. આ ઘટના બાદ આખા રાજ્યમાં તણાવની સ્થિતિ ઊભી થઈ હતી. રાજકુમારને છોડાવવા માટે રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા હતા. અંદાજે 108 દિવસ પછી વીરપ્પન ને સરકાર વચ્ચે ડીલ થઈ હતી અને પછી રાજકુમારને છોડવામાં આવ્યા હતા. રાજકુમારને કન્નડ સિનેમાના આઇકોન માનવામાં આવે છે. દાદાસાહેબ ફાળકે અવૉર્ડ મેળવનાર તેઓ પહેલા કન્નડ સ્ટાર હતા. પુનીતે પિતાની જેમ 1994માં જ આંખોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. 2006માં હાર્ટ અટેકને કારણે રાજકુમારનું અવસાન થયું હતું.
14 ફિલ્મ 100 દિવસ સુધી થિયેટરમાં ચાલી
કન્નડ સિનેમામાં એક માત્ર પુનીતની 14 ફિલ્મ અંદાજે 100 દિવસ સુધી થિયેટરમાં ચાલી હતી. કન્નડ સિનેમાનો હાઇએસ્ટ ફી લેનાર એક્ટર હતો. એક ફિલ્મના 2-3 કરોડ રૂપિયા લેતો હતો. બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની ફી 1 કરોડ હતી.
પુનીત અને તેની ઉદારતા
2019માં ઉત્તર કર્ણાટકમાં પૂર આવ્યું હતું. તેણે પાંચ લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા હતા. કોરોના સમયે 50 લાખ રૂપિયા આપ્યા હતા. પુનીત 46 ફ્રી સ્કૂલ, 26 અનાથાશ્રમ, 16 વૃદ્ધાશ્રમ તથા 19 ગૌશાળા ચલાવતો હતો. આ ઉપરાંત અનેક કન્નડ સ્કૂલને આર્થિક મદદ પણ કરતો.
યુવતીઓ માટે આશ્રમ ચલાવતો
પુનીતના સારા કાર્યોમાં માતા સાથ આપતી. તે પોતાની માતા સાથે મળીને મૈસૂરમાં શક્તિધામ નામનો આશ્રમ ચલાવતો હતો. અહીંયા હજારો યુવતીઓના અભ્યાસનો ખર્ચ ઉઠાવતો. આ ચેરિટેબલ સંસ્થા છે. અહીંયા બળાત્કાર પીડિતા, માનવ તસ્કરી વિરુદ્ધ અભિયાન, વેશ્યાવૃત્તિ વિરુદ્ધ કામ કરવામાં આવતા.
સ્કૂલના બાળકો
પુનીત રાજકુમારના અવસાન બાદ બેંગલુરુના સરકારી સ્કૂલના બાળકોએ શ્રદ્ધાંજલિ આપવા માટે પુનીતના નામ પર સેટેલાઇટ બનાવ્યો હતો. તેની માહિતી કર્ણાટક સરકારના મંત્રીએ આપી હતી. 'ઇટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે, બેંગલુરુના એક સરકારી સ્કૂલમાં ભણતા બાળકોએ 1.90 કરોડના ખર્ચે KGS3 સેટેલાઇટ ડેવલપ કર્યો હતો.
46 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકથી અવસાન
દિવસ 29 ઓક્ટોબર 2021. પુનીત રાજકુમાર જિમમાં વર્કઆઉટ કરતો હતો અને અહીંયા તેને બેચેની જેવું લાગ્યું હતું. આ વાતની માહિતી તેની પત્ની અશ્વિનીએ આપી હતી. ત્યારબાદ પરિવાર પુનીતને નજીકની હોસ્પિટલ વિક્રમમાં એડમિટ કર્યો હતો. પુનીતની બીમાર હોવાની વાત સાંભળતા જ ચાહકો હોસ્પિટલની બહાર ભેગા થઈ ગયા હતા. થોડાં સમય બાદ જ ડૉક્ટર્સે પુનીતને મૃત ઘોષિત કર્યો હતો.
તોફાનો ના થાય તે માટે 2 દિવસ દારૂનું વેચાણ બંધ રહ્યું
બેંગલુરુના અનેક થિયેટર આખો દિવસ બંધ રહ્યા હતા. શહેરમાં ફિલ્મના પ્રમોશન અટકાવી દેવામાં આવ્યા હતા. શહેરના અનેક જાણીતા પબ બંધ થઈ ગયા હતા. બેંગલુરુમાં બે રાત દારુનું વેચાણ થયું નહોતું. IT કંપનીઓ સહિત ઘણી કંપનીઓએ પોતાના કર્મચારીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.
30 લાખ લોકોએ ભીની આંખે અંતિમ દર્શન કર્યા
પુનીત રાજકુમારના પાર્થિવદેહ અંતિમ દર્શનાર્થ માટે 2 દિવસ સુધી બેંગલુરુના કાંતીરવા સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો. અંતિમ દર્શનમાં 30 લાખથી વધુ લોકો ભેગા થયા હતા. ચાહકોને કાબૂમાં રાખવા માટે આખા બેંગલુરુમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. પુનીતના અવસાનના બાદ તેના 10 જેટલા ચાહકોના મોત થયા હતા.
ચાહકે મોતને શંકાસ્પદ ગણાવ્યું હતું
એક ચાહકે પોલીસ સ્ટેશનમાં પુનીત રાજકુમારના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. અરુણ નામના વ્યક્તિએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે પુનીત એકદમ સાજો હતો. તેની તબિયત બગડી પછી તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો નહોતો. પોલીસે ફરિયાદ સ્વીકારી હતી અને તપાસ પણ કરી હતી. જોકે, કોઈ મહત્ત્વના પુરાવા મળ્યા નહોતા.
એક લાખ લોકોએ નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો
પુનીત રાજકુમારે આંખોનું દાન કરવાનો સંકલ્પ લીધો હતો. જ્યારે તેનું અવસાન થયું પછી તેની આંખો દાન કરી દેવામાં આવી હતી. ચાહકોએ પણ બેંગલુરુના નારાયણ નેત્રાલયમાં નેત્રદાન કરવાનો સંકલ્પ લીધો હતો અને ચાહકોની સંખ્યા એક લાખે પહોંચી હતી.
1500 લોકોએ હાર્ટ ચેકઅપ કરાવ્યો
પુનીતને જિમમાં વર્કઆઉટ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો. આ વાતની જાણ ચાહકોને થઈ તો 1500 લોકોએ ECG કરાવ્યું હતું, જેમાંથી મોટાભાગના જિમમાં જનારા હતા.
પુનીતને મળેલા સન્માન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.