અલવિદા દિલીપ કુમાર:PM મોદીએ સાયરાબાનોને ફોન કર્યો, લતા મંગેશકરે કહ્યું- નાની બહેનને છોડીને જતા રહ્યા; દિગ્ગજોએ ભારે હૈયે શ્રદ્ધાંજલિ પાઠવી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમિતાભ બચ્ચને કહ્યું, જ્યારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખાશે ત્યારે હંમેશાં કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી

બોલિવૂડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારે 98 વર્ષની ઉંમરમાં મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપ કુમારના નિધનથી તેમના ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સને ઘેરો આઘાત લાગ્યો છે. સેલેબ્સ તથા દેશના જાણીતા નેતાઓએ સો.મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અમિતાભ બચ્ચને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'એક સંસ્થા જતી રહી. જ્યારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખાશે ત્યારે હંમેશાં કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી. તેમની આત્માને શાંતિ મળે એ માટે હું દુઆ કરું છું. પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના મળે. ઘણું જ દુઃખ થયું...'

વડાપ્રધાન મોદીએ દિલીપ કુમારે સાયરાબાનો સાથે ફોન પર વાત કરીને તેમને સાંત્વના આપી હતી. તેમણે સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, દિલીપ કુમારજીને ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ હતા. આ જ કારણે તેમના ચાહકો દરેક ઉંમરના હતા. તેમનું નિધન સાંસ્કૃતિક દુનિયા માટે એક મોટો ઝટકો છે.

સલમાન ખાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ઇન્ડિયન સિનેમાના અત્યાર સુધીના તથા ભવિષ્યના બેસ્ટ એક્ટર. દિલીપસાબની આત્માને શાંતિ મળે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે દિલીપ કુમારે પોતાનામાં ભારતના ઈતિહાસને સમાવ્યો છે. બોર્ડર પાર તેમને લોકોએ પ્રેમ કર્યો છે. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દિલીપ કુમારના પરિવાર, મિત્રો, ચાહકો પ્રત્યે સંવેદના છે. ભારતીય સિનેમા માટે દિલીપ કુમારનું યોગદાન હંમેશાં યાદ કરવામાં આવશે.

અજય દેવગને કહ્યું હતું, મેં લિજેન્ડ સાથે અનેક ક્ષણો પસાર કરી છે. કેટલીક અંગત તો કેટલીક સ્ટેજ પર. તેઓ એક સંસ્થા હતા. એક શાનદાર એક્ટર હતા.

અક્ષય કુમારે કહ્યું હતું, અમારા એક્ટર માટે તેઓ અસલી હીરો હતા. દિલીપ સાહેબ પોતાની સાથે ભારતીય સિનેમાનો એક યુગ પોતાની સાથે લઈ ગયા.

લતા મંગેશકરે સો.મીડિયામાં કહ્યું હતું, યુસુફભાઈ આજે પોતાની નાની બહેનને છોડીને જતા રહ્યાં. યુસુફભાઈ શું ગયા...એક યુગનો અંત આવી ગયો. મને કંઈ જ ખબર પડતી નથી. હું ઘણી જ દુઃખી છું. નિઃશબ્દ છું. અનેક વાતો, અનેક યાદો આપીને જતા રહ્યા. યુસુફભાઈ છેલ્લાં ઘણાં વર્ષોથી બીમાર હતા. કોઈને ઓળખી શકતા નહોતા. આ સમયે સાયરાભાભીએ બધું જ છોડીને દિવસ રાત તેમની સેવા કરી છે. તેમના માટે બીજું કંઈ હતું જ નહીં. આવી મહિલાને હું પ્રણામ કરું છું અને યુસુફ ભાઈની શાંતિ માટે દુઆ કરું છું.

શાહિદ કપૂરે કહ્યું હતું, અમે કંઈ નથી પરંતુ દિલીપ સાબના જ વર્ઝન છીએ. દરેક એક્ટરે દિલીપકુમારનો અભ્યાસ કર્યો જ છે. અમને નવાઈ લાગે છે કે તે કેવી રીતે આટલું બધું કરી લેતા. તમે પર્ફેક્ટની એકદમ નજીક હતા. તમે તમારા આધ્યાત્મિક ઘરમાં પરત ફર્યા છો. તમારી સાથે અનેકની પ્રાર્થના છે. અમને આ બધું આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે હંમેશાં જીવિત રહેશો સર. તમે ટાઇમલેસ છો. તમારી આત્માને શાંતિ મળે.

બોલિવૂડ સેલેબ્સે સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી