રિષભ શેટ્ટી હાલમાં પોતાની ફિલ્મ 'કાંતારા'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રિષભને જ્યારે પૂછવામાં આવ્યું કે તે બોલિવૂડમાં કામ કરવાનું પસંદ કરશે કે નહીં? જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તે કન્નડ ઇન્ડસ્ટ્રીમાં જ રહેવું માગશે, કારણ કે આજે તે સ્થાને છે તે માત્રને માત્ર કન્નડ ઇન્ડસ્ટ્રીને કારણે છે. જોકે, રિષભે એમ કહ્યું હતું કે જો હિંદી બેલ્ટમાં તેની ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો તો તે પોતાની ફિલ્મને હિંદીમાં ડબ કરશે.
'કન્નડ ઇન્ડસ્ટ્રીને કારણે આજે આ સ્થાને છું'
રિષભ શેટ્ટીએ પોતાની ફિલ્મના ફ્યૂચર અંગે વાત કરતા કહ્યું હતું, 'કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ મને એક્ટર, રાઇટર તથા ડિરેક્ટર બનવા માટે પ્લેટફોર્મ આપ્યું. આજે હું જે સ્થાને છું અને મારી ફિલ્મ 'કાંતારા'ના જેટલા પણ વખાણ થયા તે માત્ર કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કારણે છે. જો મારી કન્નડ ફિલ્મને હિંદી કે અન્ય રાજ્યોની ઓડિયન્સને ગમશે તો હું ડબિંગ વર્ઝન લઈને આવીશ. આજે સિનેમામાં લેંગ્વેજ બેરિયર નથી. કન્નડ સિનેમા મારી કર્મભૂમિ છે અને હું અહીંયા જ કામ કરતો રહીશ.'
'કાંતારા'ને કારણે રાતોરાત લોકપ્રિય થયો
ઉલ્લેખનીય છે કે રિષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા' 30 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ છેલ્લા બે મહિનાથી કમાણી કરી રહી છે. શરૂઆતના દિવસોમાં ફિલ્મની કમાણી ઘણી જ સ્લો હતી, પરંતુ વર્ડ ઑફ માઉથને કારણે ફિલ્મની કમાણીમાં તેજી આવી હતી.
આ ફિલ્મ કન્નડમાં બની હતી અને ફિલ્મને સારો રિસ્પોન્સ મળતા મેકર્સે 14 ઓક્ટોબરના રોજ ફિલ્મને હિંદી, તમિળ તથા તેલુગુમાં રિલીઝ કરી હતી. આ ફિલ્મથી રિષભ શેટ્ટી રાતોરાત સ્ટાર બની ગયો હતો.
'કાંતારા'એ 400 કરોડથી વધુની કમાણી કરી
કન્નડમાં બનેલી 'કાંતારા'એ વર્લ્ડવાઇડ 400 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મે કર્ણાટકમાં જ 170 કરોડથી વધુની કમાણી કરી છે. માત્ર 18 કરોડમાં બનેલી આ ફિલ્મની કમાણીથી ટ્રેડ પંડિતોને પણ નવાઈ લાગી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.