બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર અને હોસ્ટ અન્નુ કપૂરને ગુરુવારે હાર્ટ-એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હવે સ્થિર હોવાનું કહેવાય છે. ડૉક્ટર કહે છે કે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અન્નુ કપૂર ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેમણે પોતાના 40 વર્ષના કરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.
ચેસ્ટ પ્રોબ્લેમને કારણે એડમિટ કરાયા હતા
જાણકારી પ્રમાણે અન્નુ કપૂરને ગુરુવારે સવારે સર ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સર ગંગારામ હોસ્પિટલના અધ્યક્ષ ડૉ. અજય સ્વરૂપના જણાવ્યા પ્રમાણે અન્નુ કપૂરને ચેસ્ટ પ્રોબ્લેમના કારણે એડમિટ કરવામાં આવ્યા હતા. તેમના કાર્ડિયોલોજીમાં ડૉ. સુશાંત વટ્ટલના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
અન્નુ કપૂર વિશે...
અન્નુ કપૂરનો જન્મ 20 ફેબ્રુઆરી 1956ના રોજ ભોપાલમાં થયો હતો. તેમનું જન્મ વખતે નામ અનિલ કપૂર હતું. અભિનેતા હોવા ઉપરાંત, તેઓ ગાયક, દિગ્દર્શક, રેડિયો જોકી અને ટીવી હોસ્ટ પણ રહી ચૂક્યા છે. તેમણે 100થી વધુ ફિલ્મો તેમજ ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. એક અભિનેતા, ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને ગાયક તરીકેની તેમની કારકિર્દી 40 વર્ષથી વધુ લાંબી છે. અભિનય ઉપરાંત, અન્નુ 'સુહાના સફર વિથ અન્નુ કપૂર' નામનો રેડિયો શો પણ કરે છે, જે 92.7 BIG FM પર પ્રસારિત થાય છે. તેમણે પોતાની કારકિર્દીમાં નેશનલ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ અને ટીવી એકેડેમી એવોર્ડ જીત્યા છે.
'અંતાક્ષરી' શો હોસ્ટ કર્યો
અન્નુ કપૂરે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'કાલા પથ્થર'થી બોલિવૂડમાં પગ મૂક્યો હતો, પરંતુ આ ફિલ્મમાં તેમને ક્રેડિટ નહોતી મળી. ઘણી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમને ફિલ્મ 'ઉત્સવ'થી ઓળખ મળી હતી. આ પછી તેમણે પાછું વળીને જોયું નથી અને 'તેઝાબ', 'મિસ્ટર ઈન્ડિયા', 'રામ લખન', 'સાત ખૂન માફ' સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ટીવીની વાત કરીએ તો અન્નુ કપૂરે 'અંતાક્ષરી' શો હોસ્ટ કર્યો હતો અને તે ખૂબ જ સફળ રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.