હાથરસ કેસ, જેમાં 14 સપ્ટેમ્બર 2020ના રોજ એક દલિત યુવતી પર એટેક થયો, ઉચ્ચ જાતિના 4 છોકરા પર ગેંગરેપનો આરોપ લાગ્યો હતો, યુવતીનું મોત થયું, હોબાળો થયો, રાહુલ-પ્રિયંકા ગાંધી સહિત ઘણા મોટા નેતા પીડિત પરિવારને મળ્યા, પીડિતોને 25 લાખની સરકારી મદદ મળી.
પછી અઢી વર્ષમાં 35 સાક્ષી અને 70 સુનાવણી પછી 2 માર્ચ, 2023એ ચુકાદો આવ્યો. કેસ કોર્ટમાં ન ટક્યો. ત્રણ આરોપી નિર્દોષ જાહેર થયા, એક પર બિનઈરાદાપૂર્વકની હત્યાનો આરોપ સાબિત થયો. તેને આજીવન કેદની સજા મળી. રેપ અથવા ગેંગરેપનો આરોપ કોર્ટમાં સાબિત થઈ ન શક્યો.
આ બે તારીખ વચ્ચે ઘણી કહાનીઓ, પાત્રો, સમસ્યાઓ, પ્રતિબંધો અને 3 પ્રશ્ન છે
પહેલો સવાલઃ કોર્ટે યુવતીએ મર્યા પહેલાં આપેલું નિવેદન કેમ ન સ્વીકાર્યું?
બીજો સવાલ: પીડિત છોકરી પર બળાત્કાર થયો કે ગેંગરેપ?
ત્રીજો સવાલ: કોર્ટે હત્યાના આરોપમાંથી આરોપીઓને કેમ નિર્દોષ છોડ્યા?
આ સવાલો સાથે હું હાથરસના ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બુલગઢી ગામ પહોંચ્યો. આ ગામ દિલ્હીથી લગભગ 200 કિમી દૂર અને યુપીની રાજધાની લખનઉથી લગભગ 400 કિમી દૂર છે. મેં યુવતીના પરિવાર, તેમના વકીલ અને આરોપીઓના વકીલ સાથે પણ વાત કરી. આરોપી યુવકોના ઘરે ગયો. ત્યાં જે પણ મળ્યું તેને એક-એક કરી જણાવીશ.
મહિલાઓએ આરોપીના ઘરને તાળું માર્યું, દૂરથી કહ્યું- કોઈની સાથે વાત નહીં કરે
હાથરસથી આગ્રા રોડ પર બુલગઢી ગામ ચંદપા પોલીસ સ્ટેશનથી લગભગ બે કિમી દૂર છે. ગામમાં પ્રવેશતાં પહેલાં આરોપીઓ, એટલે કે સંદીપ, રવિ અને રામુનાં ઘર આવે છે. તેમનો પરિવાર આજે પણ અહીં રહે છે. બધાં ઘરો એક લાઇનમાં બનેલાં છે. તેની પાસે એક જ દરવાજો છે. એના પર એક સાંકળ લટકેલી છે, જેમાં એક તાળું છે. ચંદપા પોલીસ સ્ટેશનની પોલીસ ઘરની સામે મેદાનમાં બેઠી છે. જિલ્લા પ્રશાસનને લાગ્યું કે કોર્ટના નિર્ણય બાદ વાતાવરણ બગડે નહીં, એથી પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મેં એક આરોપીના ઘરે કોઈને બોલાવવાનો પ્રયાસ કર્યો, એક મહિલાએ દૂરથી આવીને કહ્યું, 'ઘરે કોઈ નથી, અમે વાત કરીશું નહીં.'
ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું કે પરિવારના સભ્યો મીડિયાથી નારાજ છે, તેથી તેઓ બહાર નથી આવતા. લાંબો સમય રાહ જોયા પછી પણ ગેટ બંધ રહ્યો, જેથી હું પીડિત યુવતીના ઘર તરફ ગયો.
પીડિત યુવતીનું ઘર આરોપીના ઘરથી માત્ર 10 ડગલાં દૂર છે
આરોપીના ઘરથી લગભગ 10 ડગલાંના અંતરે એક મોટો સા હાટા (દીવાલોથી ઘેરાયેલો ખુલ્લો ભાગ) છે. પીડિતાના પરિવારનું ઘર તેની સાથે જોડાયેલું છે. સીઆરપીએફના જવાનો ગેટ પર તહેનાત છે, જેમની જવાબદારી પરિવારને સુરક્ષા આપવાની છે.
જવાનોએ રજિસ્ટરમાં નામ, સરનામું અને મોબાઈલ નંબર લખ્યો અને પીડિત પરિવારને મારા આવવાની સૂચના આપી. થોડીવાર પછી પીડિતાનો ભાઈ મને મળવા બહાર આવ્યો. મેટલ-ડિટેક્ટરથી પસાર થયા પછી એક સાંકડી ગલીમાંથી થઈને હું ઘરની સામે પહોંચ્યો. જમણા હાથ પર CRPF જવાનોએ એક બંકર બનાવ્યું હતું. ડાબી બાજુએ માથે ઓઢેલી એક સ્ત્રી ભેંસોને ચારો ખવડાવી રહી હતી.
ઘરમાં મોટું આંગણું છે. એક ભાગમાં વરંડા અને પછી રૂમ બનાવવામાં આવ્યા છે. પરિવારના સભ્યો ફોન પર સતત વાત કરી રહ્યા હતા. CRPFએ ટેરેસ પર બંકર પણ બનાવ્યું છે. હું આવતાંની સાથે જ કેટલાક જવાનો બાજુમાં ઊભા હતા. હવે મારી વાત પીડિતાના નાના ભાઈથી શરૂ થાય છે.
ઉદાસ અવાજમાં તે કહે છે, 'આ ચુકાદાથી અમે ખુશ નથી. ચુકાદો આરોપીના પક્ષમાં આવ્યો છે. કોર્ટે અમારો પક્ષ સાંભળ્યો નહીં. અમારા વકીલ દર તારીખે આવતા હતા, જજમેન્ટમાં એનો પણ ઉલ્લેખ નથી. આરોપી પક્ષના વકીલ અને CBI વકીલના આધારે ચુકાદો આપવામાં આવ્યો છે. અમે ઉપરની કોર્ટમાં અપીલ કરીશું.'
મેં પૂછ્યું- 'પણ મેડિકલ ટેસ્ટમાં બળાત્કારની પુષ્ટિ તો થઈ નથી?
ભાઈએ જવાબ આપ્યો- 'ઘટના 14 સપ્ટેમ્બરે થઈ હતી, મેડિકલ 22 સપ્ટેમ્બરે થયું હતું. એ કિસ્સામાં એની પુષ્ટિ કેવી રીતે થાય? પોલીસ-પ્રશાસનની આ બેદરકારી સામે આવી છે. જ્યારે બહેને પોતાનું નિવેદન આપ્યું ત્યારે તેનો મેડિકલ ટેસ્ટ કેમ ન કરાવ્યો?
કોર્ટે મરતાં પહેલાં આપેલા નિવેદનને સ્વીકાર્યું નહીં, જેના પર ભાઈએ કહ્યું- 'જ્યારે બહેન સંપૂર્ણ હોશમાં હતી ત્યારે તેણે નિવેદન આપ્યું હતું અને ચાર આરોપીનાં નામ પણ લીધાં હતાં. આમ છતાં તેમનું નિવેદન સ્વીકારવામાં આવ્યું નહોતું. હવે જે નિર્ણય આવ્યો છે એ ચાર્જશીટથી અલગ આવ્યો છે. આ કેવો ન્યાય છે, જ્યાં પીડિતાનો કોઈ ઉલ્લેખ જ ન હોય.
અમને પહેલાં પણ ડરાવવામાં આવ્યા, આગળ પણ ધમકાવશે
યુવતીના ભાઈએ કહ્યું હતું કે 'આ ચુકાદા પછી ગુંડાઓની હિંમત વધી ગઈ છે. હવે કાલે તે કોઈ બીજાની બહેન-દીકરી સાથે આવું કરશે. ત્રણેય લોકો છૂટી ગયા છે, હવે વાતાવરણ ખરાબ કરશે, ડરાવશે, ધમકાવશે. પહેલાં પણ અમને ધમકાવ્યા હતા. દિલ્હીથી આવનારી અમારી વકીલને પણ ધમકી આપી હતી. અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું'
શરૂઆતમાં ઘણા નેતાઓ આવ્યા, હવે કોઈ વાત કરવા પણ તૈયાર નથી
પીડિત યુવતીનો ભાઈ કહે છે- 'જ્યારે ઘટના બની ત્યારે ઘણા નેતાઓ અમારા ઘરે આવ્યા હતા. ચુકાદા પછી અમારી સાથે કોઈએ વાત પણ કરી નથી. ઘટના સમયે જે સપોર્ટમાં હતા તે જ મદદે આવ્યા. હું તો એટલું જ કહીશ કે જેઓ ત્યારે અમારી સાથે હતા તેમણે ઊભા રહેવું જોઈએ. ગામના લોકો પણ અમારી સાથે નથી.
બહેનનાં અસ્થિ હજુ પણ ઘરમાં રાખવામાં આવ્યાં છે, અમે અગાઉ પણ કહેતા આવ્યા છીએ કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અસ્થિ વિસર્જન કરીશું નહીં. અમે અઢી વર્ષથી પીડા સહન કરી રહ્યા છીએ, પરંતુ જોવા માટે કોઈ નથી આવ્યું. કમાણી વગેરે બધું બંધ છે. જે વળતર મળ્યું એમાંથી ઘર અને કોર્ટનો ખર્ચ ચાલે છે.
ગામના મોટા ભાગના લોકો કંઈ કહેવા તૈયાર નથી
ભાઈ સાથે વાત કર્યા પછી મેં પીડિત યુવતીની ભાભી અથવા અન્ય પરિવારના સભ્યો સાથે વાત કરવાનું કહ્યું, પરંતુ તેમણે વાત કરી નહીં. પછી ગામનું વાતાવરણ જાણવા હું ત્યાંથી નીકળી ગયો. ગામમાં લગભગ 100 મીટર દૂર એક પરિવાર ઘરની બહાર બેઠો હતો. મેં તેમને પૂછ્યું કે આ મામલે તેમનું શું કહેવું છે. તેમણે કહ્યું, કંઈ નહીં કહીએ, તમે તો જતા રહેશો, અમારે અહીં જ રહેવાનું છે.
હું થોડે આગળ ગયો તો મને પ્લેટફોર્મ પર કેટલાક લોકો જોવા મળ્યા, તેમાં જિતેન્દ્ર પચૌરી પણ હતો. જ્યારે તેને નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'કોર્ટનો નિર્ણય સંપૂર્ણ રીતે યોગ્ય છે. આખા ગામને ખબર હતી કે છોકરી પર બળાત્કાર થયો નથી.'
ત્યાં કેટલીક સ્ત્રીઓ પણ હતી, જ્યારે હું તેમની તરફ વળ્યો તો તેમણે માથું હલાવ્યું, જેનો અર્થ એ થયો કે તેઓ વાત કરશે નહીં. આગળ એક રસ્તે ઓમકાર સિંહ સિસોદિયાને મળ્યો. કહ્યું, 'બિલકુલ સાચો નિર્ણય આવ્યો છે. ત્રણેય આરોપી નિર્દોષ હતા. આ કેસમાં કંઈ હતું જ નહીં. અમારા ગામમાં કોઈ દલિત-ઠાકુર નથી. દરેકની બહેન-દીકરીને સમાન સન્માન મળે છે.'
ઘરના દરવાજા પાસે બેઠેલા જિતેન્દ્ર કુમાર કહે છે- 'જે છોકરો ફસાયેલો છે. તે ખોટી રીતે ફસાઈ ગયો છે, પણ ઠીક છે, તેને પણ છોડવામાં આવશે. પીડિત પરિવારની સુરક્ષા માટે સીઆરપીએફ તહેનાત કરીને સરકારે ખૂબ જ સારું કર્યું છે. આ કારણે રમખાણો નહીં થાય. કેટલાક નેતાઓ આવીને તોફાનો કરવા માગતા હતા, હવે તેઓ આમાં સફળ નહીં થાય.
પીડિત પરિવાર વતી દિલ્હી સ્થિત વકીલ સીમા કુશવાહા અને મહિપાલ સિંહ નિમોત્રાએ કેસ લડ્યો હતો. કોર્ટના નિર્ણયથી બંને નિરાશ છે. સીમા કુશવાહા કહે છે, “શરૂઆતમાં પોલીસે યોગ્ય રીતે તપાસ કરી ન હતી, તેથી જ આરોપી ટ્રાયલ કોર્ટમાં દોષિત સાબિત થઈ શક્યા નહોતા.” મેં પીડિતા અને આરોપીના વકીલને મારા ત્રણેય પ્રશ્નો પૂછ્યા, વાંચો તેમણે શું કહ્યું...
પહેલો સવાલ- કોર્ટે યુવતીએ મર્યા પહેલાં આપેલું નિવેદન કેમ ન માન્યું?
પીડિત પક્ષ તરફથી સીમા કુશવાહા કહે છે, 'આ મામલે પીડિતાએ ઘણી વખત નિવેદન દાખલ કરાવ્યું હતું. મર્યા પહેલાં પણ નિવેદન આપ્યું હતું, જેમાં 4 યુવક પર રેપનો આરોપ હતો. કોર્ટે આને ડાઈંગ ડિક્લેરેશન(મોત પહેલાંનું નિવેદન) ન માન્યું'
પીડિતાના ડાઈંગ ડિક્લેરેશનને જે રીતે સામેલ કરવું જોઈતું હતું એ રીતે સામેલ કરવામાં ન આવ્યું. પીડિતાએ એમાં ચાર છોકરાનાં નામ લીધાં હતાં. ડાઈંગ ડિક્લેરેશનને ન સ્વીકારવાને કારણે કોર્ટે ગેંગરેપનો આરોપ ફગાવી દીધો હતો. આ મામલે 5 અલગ-અલગ કેસ ટાંકીને કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું- 'તપાસમાં પીડિતા પર બળાત્કાર થયો હોવાનું સાબિત થયું નથી, તેથી આરોપી રવિ, રામુ અને લવકુશને કલમ 376, 376A, 376D, 302 અને SC-ST એક્ટ હેઠળના આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે. એ જ સમયે મુખ્ય આરોપી સંદીપ કલમ 376, 376A, 376D હેઠળના આરોપોમાંથી મુક્ત છે.
આ મામલે આરોપી પક્ષના વકીલ મુન્ના સિંહ પુંડિર કહે છે, '14 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર 2020 સુધી પીડિતાએ ઘણી વખત નિવેદન બદલ્યાં. ડાઈંગ ડિક્લેરેશન પણ શંકાસ્પદ છે. જે કાગળ પર નિવેદન લેવામાં આવ્યું છે એની ભાષાશૈલી પર પણ શંકા છે. લખાણ પણ શંકાના દાયરામાં છે.'
બીજો સવાલ: શું પીડિતા સાથે રેપ થયો કે ગેંગરેપ?
પીડિત પક્ષનાં વકીલ સીમા કુશવાહા કહે છે, 'ડાઈંગ ડિક્લેરેશન સ્વીકાર ન કરવાને કારણે જ કોર્ટે ગેંગરેપનો આરોપ ફગાવી દીધો. મેડિકલ રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટમાં આ સંકેત મળી રહ્યા હતા કે પીડિતા સાથે રેપ થયો હશે, પરંતુ કોર્ટે ન માન્યું કે રેપ થયો છે. પીડિતાએ ડાઈંગ ડિક્લેરેશનમાં આરોપીઓનાં નામ લીધાં છે, આનાથી મોટો પુરાવો શું હોય.'
કોર્ટે આ મામલે કહ્યું છે કે રેપનો આરોપ સાબિત નથી થયો, આ કારણથી ચારેય આરોપીને રેપ અને ગેંગરેપના આરોપથી મુક્ત કરવામાં આવ્યા છે. આરોપી પક્ષના વકીલ મુન્ના સિંહ પુંડિર જજમેન્ટમાં અલીગઢ મેડિકલ કોલેજના ડો.એમએફ હુદા, પ્રોફેસર એન્ડ ચેરમેનનું નિવેદન સામે રાખે છે. તેઓ કહે છે કે માની લઈએ કે મેડિકલ મોડું પડ્યું, પરંતુ પીડિતાને યુરિન માટે નળી લગાવવામાં આવી, ત્યારે પણ રેપની પુષ્ટિ થઈ જાત.
આનો જવાબ તપાસવા માટે 167 પાનાંનું જજમેન્ટ અમે વાંચ્યું. એમાં ડો.એમએફ હુદાએ કહ્યું છે કે 'પીડિતાને 14 સપ્ટેમ્બર 2020એ નળી લગાવવામાં આવી હતી. યુરેથા દ્વારા નળી લગાવવામાં આવી હશે, ત્યારે તેના ગુપ્તાંગની તપાસ કરવામાં આવી હશે. એ સિવાય નળી લગાવવી શક્ય નથી. ત્યાર બાદ પ્રાઈવેટ પાર્ટમાં કોઈ ઈજા કે જાતીય હુમલાના કોઈ નિશાન મળ્યા ન હતા. જો આવા જાતીય હુમલાના કોઈ ચિહ્નો જોવા મળ્યાં હોત તો એ ચોક્કસપણે નોંધવામાં આવ્યું હોત.'
ત્રીજો પ્રશ્નઃ કોર્ટે હત્યાના આરોપમાંથી આરોપીઓને કેમ નિર્દોષ છોડ્યા?
પીડિત પક્ષના વકીલ મહિપાલ સિંહ નિમોત્રાનું કહેવું છે કે આ કેસમાં ઘણા સંજોગોવશાત્ પુરાવા હતા. કોર્ટે એને સ્વીકાર્યા નહોતા, જેના કારણે કોર્ટે હત્યાના કેસમાં પણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. એ જ સમયે, સીમા કુશવાહા કહે છે, 'CBIએ પૂરતા પુરાવા એકત્રિત કર્યા હતા, પરંતુ શરૂઆતથી જ આ કેસમાં પોલીસની બેદરકારી જોવા મળી હતી. હકીકતો સાથે છેડછાડ કરવામાં આવી છે. આ જ કારણ છે કે આ કેસમાં પણ સીબીઆઈએ પોલીસ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ શરૂઆતમાં તપાસ કરનાર સબ-ઈન્સ્પેક્ટર સામે ચાર્જશીટ આપી છે.
કોર્ટે આ નિર્ણયમાં કહ્યું છે કે પીડિતા ઘટનાના 8 દિવસ સુધી વાત કરતી રહી, તેથી એવું કહી શકાય નહીં કે આરોપીનો હેતુ પીડિતાની હત્યા કરવાનો હતો, તેથી આરોપી સંદીપનો ગુનો કલમ 304 (બિનઈરાદાપૂર્વકની હત્યા) હેઠળ આવે છે અને કલમ 302 (હત્યા) હેઠળ નહીં. આ જ કારણ છે કે હત્યાના આરોપમાંથી ચારેય આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.