7 ડિસેમ્બર 2022ના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે જે દલિતો મુસ્લિમ અને ખ્રિસ્તી બન્યા છે તેમને અનામતનો લાભ મળવો જોઈએ નહીં. આ સાથે સરકારે રંગનાથ મિશ્રા કમિશનના રિપોર્ટને પણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે, જેમાં ધર્મ બદલનારા તમામ દલિતો માટે અનામતનું સૂચન કરવામાં આવ્યું હતું.
આવી સ્થિતિમાં આજે ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ છીએ કે માત્ર ખ્રિસ્તી અને મુસ્લિમ બનેલા દલિતોને જ અનામતનો લાભ કેમ નથી મળતો, કેન્દ્ર સરકારનો આયોગની રચના કરવાનો હેતુ શું છે?
આવો આખો મામલો એક કિસ્સા પરથી સમજીએ...
'યુ અકબર અલી' તામિલનાડુનો રહેવાસી છે. તેણે 26 મે 2008ના રોજ પોતાનો ધર્મ હિન્દુમાંથી બદલીને મુસ્લિમ કર્યો. તેમના પરિવારમાં બાકીના બધા લોકો હજુ પણ હિન્દુ ધર્મનું પાલન કરે છે.
તામિલનાડુ પબ્લિક સર્વિસ કમિશને ગ્રુપ-2ની નોકરીઓ માટે 10 ઓગસ્ટ 2018ના રોજ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ માટે બે તબક્કામાં લેખિત પરીક્ષા લેવાની હતી. અકબર અલીએ પ્રીલિમ અને મુખ્ય બંને પરીક્ષામાં સફળતા મેળવી, પરંતુ તેનું નામ અંતિમ યાદીમાં આવ્યું ન હતું.
અકબર અલીને ખબર પડી કે તેમને પછાત વર્ગના મુસ્લિમ માનીને અનામતનો લાભ આપવામાં આવ્યો નથી. તેમને જનરલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા, જેને કારણે કેટલાક ઓછા માર્કસને કારણે તેનું નામ અંતિમ યાદીમાં આવ્યું ન હતું.
આ પછી તેઓ પોતાની ફરિયાદ લઈને મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યા. આ મામલામાં હાઈકોર્ટની મદુરાઈ બેંચના જસ્ટિસ જીઆર સ્વામીનાથને પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે - 'કોઈ વ્યક્તિ ધર્મપરિવર્તન પછી પોતાની જાતિને સાથે રાખી શકે નહીં'.
આ સાથે કોર્ટે કહ્યું હતું કે ધર્મપરિવર્તન કરનારાઓને અનામતનો લાભ આપવાનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે. આવી સ્થિતિમાં પંચ દ્વારા લેવાયેલો નિર્ણય વર્તમાન પરિસ્થિતિમાં યોગ્ય છે.
હવે કેન્દ્ર સરકારે ધર્મ બદલીને મુસ્લિમ અને ખ્રિસ્તી બનેલા દલિતોને અનામત મળવું જોઈએ કે નહીં એની તપાસ કરવા માટે એક પંચની રચના કરી છે. એવામાં જાણીએ કે…
પ્રશ્ન 1: કેન્દ્ર સરકારે આ કમિશન ક્યારે અને કયા હેતુ માટે બનાવ્યું છે?
જવાબ: 6 ઓક્ટોબર 2022ના રોજ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલકૃષ્ણનની અધ્યક્ષતામાં એક આયોગની રચના કરી છે. આ કમિશનમાં કુલ 3 સભ્ય છે.
પૂર્વ ચીફ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણન
નિવૃત્ત IAS અધિકારી રવીન્દર કુમાર જૈન
યુજીસીના સભ્ય પ્રોફેસર સુષમા યાદવ
આ કમિશન બનાવવા પાછળ કેન્દ્ર સરકારનો હેતુ એ છે કે હવે આ કમિશન પોતાના રિપોર્ટમાં સરકારને સૂચન કરશે કે ધર્માંતરણ બાદ દલિત મુસ્લિમ અને ખ્રિસ્તીઓને અનુસૂચિત જાતિ તરીકે અનામતનો લાભ મળવો જોઈએ કે નહીં.
પ્રશ્ન 2: મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અનામતનો લાભ કેમ નથી મળતો?
જવાબ: સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશને ખ્રિસ્તી કે મુસ્લિમ બની ગયેલા દલિતોને અનામત ન આપવા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ મામલો 2004થી કોર્ટમાં છે.
બંધારણની કલમ 341 હેઠળ, રાષ્ટ્રપતિના આદેશ પર 1950માં, હિન્દુઓમાં અસ્પૃશ્ય ગણાતી ઘણી જાતિઓને અનુસૂચિત જાતિનો દરજ્જો મળ્યો, જે આજે દલિત તરીકે ઓળખાય છે. 1956માં રાષ્ટ્રપતિના આ આદેશમાં સુધારો કરીને શીખ દલિતોને પણ તેમાં ઉમેરવામાં આવ્યા હતા.
1990માં વીપી સિંહ સરકારે ફરી એકવાર આદેશમાં ફેરફાર કરીને બૌદ્ધોને સામેલ કર્યા. આ સરકારી આદેશમાં લખવામાં આવ્યું છે કે હિન્દુ, શીખ અને બૌદ્ધ સિવાય અન્ય ધર્મના લોકોને અનુસૂચિત જાતિના સભ્ય તરીકે ગણવામાં આવશે નહીં.
આ સરકારી આદેશ છે, જેને કારણે દેશમાં ધર્મ બદલીને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારાઓને અનુસૂચિત જાતિનો દરજ્જો મળી શકતો નથી, જેને કારણે તેઓ અનામતનો લાભ પણ લઈ શકતા નથી.
પ્રશ્ન 3: જેઓ ઇસ્લામ સ્વીકારે છે અને ખ્રિસ્તી બને છે તેમને અનામત આપવા અંગે સરકારનું શું વલણ છે?
જવાબ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે દલિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અનુસૂચિત જાતિનો દરજ્જો ન આપવા માટે 3 દલીલ આપી છે...
રાષ્ટ્રપતિના આદેશ 1950, 1955 અને 1990 મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અનુસૂચિત જાતિ તરીકે ગણીને અનામતના લાભો આપવાની મંજૂરી આપતા નથી.
કલમ 25ની પેટાકલમ 2(b)માં હિન્દુ શબ્દમાં શીખ, જૈન અને બૌદ્ધનો પણ સમાવેશ થાય છે. તેથી આ 3 ધર્મો સિવાય, અન્ય કોઈપણ ધર્મના લોકોને અનુસૂચિત જાતિમાં સામેલ કરી શકાય નહીં.
મુસ્લિમો અને ખ્રિસ્તીઓમાં જ્ઞાતિ ભેદભાવ અને અસ્પૃશ્યતા નથી તેથી તેમને અનુસૂચિત જાતિમાં સમાવી શકાય નહીં.
જોકે સરકારની આ દલીલોનો વિરોધ કરનારાઓ કલમ 25ની કલમ 2(b)માં મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મોને પણ સામેલ કરવા માટે સુધારાની માગ કરી રહ્યા છે, સાથે જ તેમણે કહ્યું હતું કે જો હિંદુ શબ્દમાં શીખ, જૈન અને બૌદ્ધનો સમાવેશ થાય છે તો...
1950ના સુધારામાં શીખોને અને 1990ના સુધારામાં બૌદ્ધોને શા માટે સામેલ કરવામાં આવ્યા?
1990ના સુધારા સુધી ભારતમાં બૌદ્ધ ધર્મના લોકોને અનુસૂચિત જાતિનો દરજ્જો કેમ આપવામાં આવ્યો ન હતો?
જો આવું જ છે તો જૈનોને હજુ પણ અનુસૂચિત જાતિનો દરજ્જો કેમ નથી મળ્યો?
પ્રશ્ન 4: જે રંગનાથ મિશ્રા સમિતનો સરકારે વિરોધ કર્યો, તેનું શું કહેવું છે?
જવાબઃ ઓક્ટોબર 2004ના રોજ સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંગનાથ મિશ્રાના નેતૃત્વમાં એક કમિશનની રચના કરી હતી. આ કમિશનને દેશમાં ભાષા અને ધર્મના આધારે લઘુમતીઓ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
રંગનાથ મિશ્રા પંચે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે-
1950માં રાષ્ટ્રપતિએ કલમ 341 હેઠળ વટહુકમ બહાર પાડ્યો હતો, પેરા 3માં, દલિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અનુસૂચિત જાતિના દાયરામાંથી બાકાત રાખ્યા હતા, એ ગેરબંધારણીય હતું. એનો અંત આવવો જોઈએ. આ માટે કોઈ બંધારણીય સુધારાની જરૂર નથી. આ કામ એક્ઝિક્યુટિવ ઓર્ડરથી પણ થઈ શકે છે.
ચાલો હવે જાણીએ રંગનાથ મિશ્રા કમિશન સાથે જોડાયેલી ખાસ વાતો એક ગ્રાફિક્સમાં…
પ્રશ્ન 5: શું આ વોટ બેંકનું રાજકારણ છે?
જવાબઃ ઓલ ઈન્ડિયા પસમંદા મુસ્લિમ મહાજના પ્રમુખ અને પૂર્વ સાંસદ અલી અનવર અન્સારીએ કહ્યું કે સચ્ચર કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે મુસ્લિમોમાં જાતિ ભેદભાવ છે. આ ધર્મમાં પણ દલિતો સાથે ભેદભાવ છે. એ જ સમયે, રંગનાથ મિશ્રા સમિતિએ તેના અહેવાલમાં કહ્યું હતું કે દલિત મુસ્લિમો માટે પણ અનામત હોવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે સરકારને લાગ્યું કે સુપ્રીમ કોર્ટ મુસ્લિમ અને ખ્રિસ્તી દલિતોના પક્ષમાં ચુકાદો આપી શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્રએ એક અલગ કમિશનની રચના કરી અને કહ્યું હતું કે આ મામલે આ કમિશન જ આગળ નિર્ણય કરશે.
વિચારવા જેવી વાત એ છે કે એક તરફ સરકારે આની તપાસ માટે કમિશનની રચના કરી છે અને બીજી તરફ સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ પણ કહ્યું છે કે મુસ્લિમ અને ખ્રિસ્તી દલિતોને કાયદેસર રીતે અનામત મળી શકે નહીં. આવી સ્થિતિમાં એવું લાગે છે કે આયોગ ફક્ત બહાનું શોધી રહ્યું છે અને કેન્દ્ર સરકારનો ઇરાદો મુસ્લિમ અને ખ્રિસ્તી દલિતોને તેમના અધિકારો આપવાના પક્ષમાં નથી. વધુમાં અલી અનવર કહે છે કે એવું લાગે છે કે આ બધું સરકારની વોટબેંકની રાજનીતિ છે.
પ્રશ્ન 6: મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મમાં જોડાનારાઓને અનામત ન આપવાની દલીલ કેટલી સાચી છે?
જવાબ: દિલ્હી યુનિવર્સિટીના કાયદાના પ્રોફેસર સીમા સિંહે કહ્યું હતું કે ધર્માંતરિત મુસ્લિમો અને ખ્રિસ્તીઓને અનામત ન આપવાનો નિર્ણય એકદમ યોગ્ય છે. આઝાદી પછી મોટા ભાગના હિંદુ દલિતોએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે. આવી સ્થિતિમાં આ કારણોસર તેમને અનામત ન આપવું જોઈએ…
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.