ભારે વિરોધ, ‘બોયકોટ’ના ટ્રેન્ડ પછી અચાનક વિવાદ પર ઠંડું પાણી રેડાઈ ગયું અને શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાન’ દેશભરનાં થિયેટરોમાં રંગેચંગે રિલીઝ થઈ ગઈ છે. કોરોનાકાળ પછીનું સૌથી વધુ બમ્પર ઓપનિંગ મળી રહ્યું છે અને 10 હજારથી વધુ સ્ક્રીન પર ફિલ્મ જોવાઈ રહી છે. વિવાદના ગોકીરામાં ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં ગાઢ રીતે વણાઈ ગયેલા પઠાન યાને કે પઠાણ શબ્દ પર ભાગ્યે જ કોઇએ ફોકસ કર્યું. શાહરુખ ખાન પોતાને ગૌરવભેર પઠાણ ગણાવે છે. ઇન ફેક્ટ, બોલિવૂડના ત્રણેય મોટા ‘ખાન’ સ્ટાર શાહરુખ, સલમાન અને આમિર પઠાણ છે. ઇવન સૈફ અલી ખાન પણ તેના ક્રિકેટર પિતા મન્સુર અલી ખાન પટૌડી પાસેથી મળેલો પઠાણ વારસો ધરાવે છે.
પઠાણો ક્યાંથી આવ્યા?
ભારતની વાયવ્ય સરહદે પાકિસ્તાન પછી આવેલા અફઘાનિસ્તાન ‘પખ્તુન’ કે ‘પશ્તુન’ યાને કે પઠાણોનું મૂળ વતન હોવાનું કહેવાય છે. અલબત્ત, તેમનો ઉદભવ કઈ રીતે થયો તે વિશે ઇતિહાસકારોમાં પણ મતમતાંતરો પ્રવર્તે છે. આપણા સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદમાં ભારતની વાયવ્ય બાજુએ ‘પખ્તા’ (કે ‘પક્થા’) નામની કોમ રહેતી હોવાનો ઉલ્લેખ છે. ભૌગોલિક રીતે પઠાણો હાલના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, ઇરાન, ઇઝરાયેલ, અલ્જિરિયા, આલ્બેનિયા અને હવે તો સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે.
ઇસ્લામિક સ્કોલરો નોંધે છે કે લેજન્ડરી કૈસ અબ્દુલ રશીદ પખ્તુનો એટલે કે પઠાણોના ફાઉન્ડિંગ ફાધર છે. એમના ત્રણ દીકરા સરબાન, બૈતાન, ઘરગસ્ત હતા. ઉપરાંત એક દીકરો કરલાની ઓરમુર બરાકી એમણે દત્તક લીધો હતો. આ ચારેય સંતાનોનાં નામ પરથી મુખ્ય પઠાણી કોમ સરબાની, બૈતાની, ઘરગસ્તી અને કરલાની પઠાણ તરીકે ઓળખાઈ. પઠાણોમાં ટ્રાઇબ યાને કે કબીલાની પ્રથા છે, જે મુખ્ય કબીલાઓનાં ફાંટા-પેટા ફાંટામાંથી વિકસ્યાં છે. આજની તારીખે 350થી 400 પઠાણ કબીલા સમગ્ર વિશ્વમાં પથરાયેલા છે. આમાંથી અમુક કબીલાઓનાં નામ જાણીએ તો આપણને તેમનું મૂળ તરત જ પરખાઈ આવે. જેમ કે...
કબીલાઓમાં વહેંચાયેલા પઠાણો
આ અઢળક કબીલાઓ વળી પાછા અનેક શાખ અને એવી કેટલીયે શાખો ઝેર-એ-શાખોમાં વહેંચાયેલી હોય છે. બાય ધ વે, ‘ઝઈ’ એટલે દીકરા માટેના પર્શિયન શબ્દ ‘ઝ્વે’નું અપભ્રંશ છે. જ્યારે ઘણા કબીલાઓનાં નામની પાછળ લાગતો ‘ખેલ’ મૂળે અરેબિક શબ્દ છે જે સમૂહ, ખાનદાન કે કબીલા માટે વપરાય છે.
ભારતમાં પઠાણોની એન્ટ્રી
ભારતમાં લગભગ દસમી સદીથી પશ્તુન કબીલાઓની એન્ટ્રી શરૂ થઈ. આ પશ્તુન કબીલાઓ દિલ્હી સલ્તનતની અલગ અલગ સેનાઓમાં સામેલ થઇને પહેલાં ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયા. મેરઠ શહેર ઉત્તર ભારતમાં પશ્તુનો એટલે કે પઠાણોની સૌથી જૂની વસાહત ગણવામાં આવે છે, જે લગભગ આઠસો વર્ષથી ત્યાં વસે છે. સુલતાન ફિરોઝ શાહ તુઘલક પંજાબના કસૂરથી ઇબ્રાહિમખેલ પશ્તુનોને બુલંદશહેરમાં લઈ આવ્યો. એ પછી પશ્તુન લોદી સામ્રાજ્યનો ઉદય થયો. એ પછી મુઘલ સલ્તનતમાં સૈનિકો તરીકે પશ્તુનોની એન્ટ્રી શરૂ થઈ. એ રીતે જ્યાં જ્યાં મુઘલ સામ્રાજ્ય ફેલાયું ત્યાં તમામ સ્થળે પઠાણો પણ પહોંચ્યા. ગુજરાતમાં પઠાણોની એન્ટ્રી મધ્યયુગથી શરૂ થઈ. પાછળથી જૂનાગઢમાં બાબી પઠાણ અને પાલનપુરમાં ઝાલોરી પઠાણની સલ્તનતો સ્થપાઈ હતી. આજે પણ ગુજરાતમાં જે પઠાણો વસે છે તેમાં બાબી, સામ, ખાનઝાદા, યુસુફઝઈ, લોહાની, મંડોરી, સુલેમાની, સુરત-તુર્ક, મિયા, ઝદરાન, બંગસ, દુરાની, ઉમરખેલ, આફ્રિદી, બાચા, શમાખેલ, તિરાવિયાન, બુનેરી, સ્વાતી, પેશાવરી પઠાણોનો સમાવેશ થાય છે. સમગ્ર ભારતમાં આજે સોથી પણ વધુ પઠાન કબીલાઓ વસવાટ કરે છે. મૂળે પઠાણોની માતૃભાષા પશ્તો છે. ભારતમાં પઠાણોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ‘ઓલ ઇન્ડિયા પખ્તુન જિરગા-એ-હિન્દ’ છે, જેની અધ્યક્ષા યાસ્મિન નિગાર ખાન છે. યાસ્મિન ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ભારત રત્ન ખાન અબ્દુલ ગફાર ખાનનાં પૌત્રી છે. તેમના કહેવા પ્રમાણે ભારતમાં 32 લાખ પઠાણો રહે છે.
ખાણીપણી, પહેરવેશ, ભાષા અને સિનેમામાં પઠાણોની ભૂમિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.