આધુનિક સમયમાં દરેક વ્યવસાયમાં નવી પદ્ધતિ અને નવા અવસરોને લીધે પરિવર્તન આવી રહ્યું છે. ખેતીએ અનાદિકાળથી માનવજાતનો મુખ્ય વ્યવસાય રહ્યો છે, પરંતુ સમયની સાથે એમાં પણ આજે અનેક પરિવર્તનો થયાં છે. આજે ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે વધુ ઉત્પાદન, સારું આર્થિક વળતર અને પ્રકૃતિનું પણ જતન થાય એવી પ્રાકૃતિક ખેતીની નવી પદ્ધતિઓ તરફ વળ્યા છે, એમાં સફળ પણ થઈ રહ્યા છે. ત્યારે પાટણનાં તનવીબેન પટેલ મધમાખીનો ઉછેર કરી રહ્યાં છે. તેમણે પ્રથમ વર્ષે મધમાખીનાં 100 બોક્સ સાથે 5 લાખની આવક મેળવી હતી, જેથી હવે તેઓ 300 બોક્સ રાખીને મધમાખીના ઉછેરનું એક્સપાન્સ કરવાની સાથે આગામી સમયમાં હજાર બોક્સ સાથે મધ એકઠું કરવાનું આયોજન કરી રહ્યાં છે.
વૈજ્ઞાનિક ઢબે મધમાખીનો ઉછેર
તનવીબેને વર્ષ 2021માં મધમાખી પાલનની શરૂઆત કરી હતી. સૌપ્રથમ તેમણે મધમાખીનાં 100 બોક્સ મગાવ્યાં હતાં, જેને તેમણે ખેતરોમાં જ્યાં સરસવ અને અજમાનો પાક હોય ત્યાં ગોઠવ્યાં હતાં. આ બોક્સમાં રહેલી મધમાખીઓનું વૈજ્ઞાનિક ઢબે પાલન અને એની યોગ્ય સારસંભાળ દ્વારા તનવીબેને સારા પ્રમાણમાં મધ મેળવ્યું હતું અને સારીએવી આવક મેળવી હતી.
સ્વીટ ક્રાંતિના સહભાગી બન્યાં
તનવીબેને મધમાખી પાલનની પ્રેરણા વિશે વાત કરતાં કહ્યું હતું કે વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ડીસા આવ્યા હતા. ત્યારે તેમણે ખેડૂતોને મધમાખી પાલન કરીને ‘સ્વીટ ક્રાંતિ’ માટે આહવાન કર્યું હતું, જેના થકી ખેડૂત સારી આવક પણ મેળવી શકે છે. ત્યાર પછી તનવીબેને એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું. મધમાખી પાલન અંગેની વિગતવાર માહિતી મેળવીને તાલીમ લીધી અને ગુજરાત સરકારના બાગાયત વિભાગનો સંપર્ક કરીને મળતી સહાયની જાણકારી મેળવી.
પ્રથમ વર્ષે સફળતા મળી
શરૂઆતમાં તાલીમ મેળવ્યા બાદ તનવીબેને 100 બોક્સથી મધમાખીના ઉછેરની શરૂઆત કરી હતી, જેમાં તેમને સારીએવી સફળતા મળી હતી. બોક્સ સહિતનો પ્રથમ વર્ષનો ખર્ચ સહિતની મહેનત નીકળી ગઈ હતી, જેથી તેઓ હાલમાં બીજાં નવાં 300 મધમાખીના બોક્સ લાવ્યાં છે. આ મધમાખીનાં બોક્સ પાટણનાં આજુબાજુનાં ખેતરોમાં જ્યાં સરસવનાં ફૂલ હોય ત્યાં ગોઠવ્યાં છે.
અલગ અલગ ફ્લેવર્સના મધ બનાવે છે
મધ અનેક ઔષધીય ગુણો ધરાવતું હોવાથી બજારમાં એની ખૂબ જ માગ રહે છે, સાથે જ અલગ અલગ ફ્લેવર્સનાં મધ પણ બજારમાં વેચાતા હોવાથી તનવીબેન એ પણ માર્કેટમાં પૂરાં પાડે છે. અત્યારે તેમના દ્વારા ઉત્પાદિત થતું શુદ્ધ ઓર્ગેનિક મધ તેઓ પાટણ અને આસપાસના વિસ્તારોમાં પેકિંગ કરીને વેચે છે. મધમાખી પાલનની કામગીરીમાં તનવીબેનને જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ તથા નાયબ બાગાયત નિયામક મુકેશ ગલવાડિયા પૂરતું માર્ગદર્શન કરે છે.
સબસિડી મળે છે
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મધમાખીના પાલન માટે બોક્સ પર 55% સબસિડી ખેડૂતને આપવામાં આવે છે. આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરતાં મહિલા ખેડૂત તનવીબેન પોતાની સાથે અન્ય 4થી 5 લોકોને દૈનિક ધોરણે રોજગારી પૂરી પાડી રહ્યા છે.
નવો રાહ ચીંધ્યો
ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તેમની આવક બમણી થાય એ માટે સતત પ્રોત્સાહન આપતા રહે છે. એક મહિલા ખેડૂત તરીકે તનવીબેન પટેલ મધમાખી પાલન કરીને સ્ત્રી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પરંપરાગત ખેતી સાથે નવી પદ્ધતિથી ખેતી કરવા માગતા ખેડૂતોને નવી રાહ ચીંધી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.