લગભગ સાડા 6 ફૂટનું કદ, માથા ઉપર વાદળી રંગની પાઘડી, શરીર ઉપર સફેદ રંગનો બાના અને હાથમાં તલવાર. આ અમૃતપાલ સિંહ છે. વારિસ પંજાબ દે સંગઠનના વડા. અમૃતપાલ પોતાને ગર્વથી ખાલિસ્તાનના સમર્થક જણાવે છે, ખાલિસ્તાન એટલે ખાલસા કે શીખનો અલગ દેશ. એવો દાવો પણ કરે છે કે લોકો ખાલિસ્તાનના સમર્થનમાં છે, સાથે જ પૂછે છે કે- જો હિન્દુ રાષ્ટ્રની માગ પર ડિબેટ થતી નથી, તો ખાલિસ્તાન પર કેમ કરવામાં આવે છે.
અમૃતપાલ સિંહના નેતૃત્વમાં 23 ફેબ્રુઆરીએ હજારો લોકોની ભીડ અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગઈ હતી. તેમણે બેરિકેડિંગ તોડી નાખ્યું અને પોલીસ પર પણ હુમલો કર્યો.
આ ઘટના પછી અમૃતપાલ સિંહનું નામ ચર્ચામાં આવ્યું હતું, પરંતુ કોણ છે અમૃતપાલ, જેને લોકો આગામી જરનૈલ સિંહ ભિંડરાંવાલે કહી રહ્યા છે. આ વાત જાણવા માટે હું જલ્લુપુર ખેડા ગામ પહોંચ્યો. અમૃતપાલ સિંહનું ઘર અમૃતસરથી લગભગ 40 કિમી દૂર આવેલા આ ગામમાં છે.
ગામની સાંકડી શેરીઓમાંથી પસાર થતાં એક કિલ્લેબંધીવાળા ઘરની સામે હું ઊભો રહી ગયો. લગભગ 12 ફૂટ ઊંચી દીવાલો, લોખંડના મજબૂત દરવાજા, ઘરની ટોચ પર શીખ ધર્મના ધ્વજ લહેરાતા, હાથમાં ખંજર, તલવાર અને બંદૂકો સાથે ઘણા નોકરો.
હું ઘરમાં પ્રવેશ્યો અને કહ્યું, 'મારે અમૃતપાલ સિંહજીને મળવું છે.' એક સેવાદારે મને બેસવા કહ્યું. પછી કહ્યું કે અમૃતપાલ સિંહ તૈયાર થઈ રહ્યા છે. લગભગ અડધા કલાક પછી મને ઘરની અંદર પાછળના ભાગે લઇ જવામાં આવ્યો.
ઘર પાસેથી પસાર થતાં મારી નજર દીવાલ પર લટકાયેલી શીખ કટ્ટરપંથી જરનૈલ સિંહ ભિંડરાંવાલેની તસવીર પર પડી. મેં મોબાઈલમાંથી એનો ફોટો લીધો. આ જોઈને એક સેવાદારે થોડા ગુસ્સામાં મને કહ્યું - 'ફોટો ડિલિટ કરો. પરમિશન લીધા વિના ફોટા પાડી શકાય નહીં.’ ફોટા ડિલિટ કર્યા પછી જ મને આગળ જવાની મંજૂરી આપવામાં આવી હતી. હું ઘરની પાછળની બાજુએ પહોંચ્યો, જ્યાં પલંગ અને ખુરસીઓ પહેલેથી જ ગોઠવેલી હતી.
થોડીવાર પછી દરવાજો ખૂલ્યો અને બે સૈનિક રાઈફલ લઈને દોડી આવ્યા. તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું, ત્યાર બાદ અમૃતપાલ સિંહની એન્ટ્રી થઈ. ઉંમર લગભગ 29 વર્ષ અને વ્યક્તિત્વ જરનૈલ સિંહ ભિંડરાંવાલે જેવું જ છે. શરૂઆતમાં તેઓ તેમના ફોન તરફ જોઇને કંઈક વિચારતા રહ્યા. પછી વાતચીત શરૂ થઈ...
સવાલઃ અજનાલામાં હિંસક ટોળું બેરિકેડિંગ તોડીને પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યું, તમે તેનું નેતૃત્વ કરી રહ્યા હતા. લોકો તમારા વિશે જાણવા માગે છે, મને કહો કે તમે કોણ છો?
જવાબઃ જુઓ, પહેલી વાત એ છે કે સંગતને ભીડ કહેવી એ વાજબી નથી. બીજું, ત્યાં બહુ હિંસા નહોતી થઈ, આ બધું માત્ર 8 સેકન્ડ માટે થયું, એ પણ પોલીસના લાઠીચાર્જ પછી. એ પછી શાંતિ જ રહી.
હું ડ્રગ્સ અને પંજાબનો મુદ્દો ઉઠાવું છું, એટલે જ યુવાનો મારી સાથે જોડાઈ રહ્યા છે. અમૃતપાલ સિંહ કંઈક હોય કે ન હોય, એનાથી કોઈ ફરક પડતો નથી. હું માત્ર એક વિચાર રજૂ કરું છું. આ વિચાર મારા પહેલાં પણ હતો અને મારા ગયા પછી પણ રહેશે. ઘણી વખત લોકોને લાગે છે કે આ મારો પોતાનો અભિપ્રાય છે, પરંતુ એવું નથી.
સવાલઃ તમારા સાથીદાર સામે કેસ થયો, એમાં કોઈ પોલીસ ઉપર હુમલો કરશે તો કાયદો અને વ્યવસ્થા નહીં રહે. તમે તમારી સાથે ગુરુ ગ્રંથ સાહિબ પણ લઈ ગયા. શું આ કાયદો અને વ્યવસ્થા માટે પડકાર નથી?
જવાબઃ આ પર્સનલ વિવાદ નથી. અમે ડ્રગ્સ સિન્ડિકેટ વિરુદ્ધ લડાઈ શરૂ કરી છે અને સિન્ડિકેટ ચલાવનાર સરકારમાં બેઠા છે. તેમને આ વાત ગમતી નથી કે યુવાઓ યોગ્ય રસ્તા પર આવે અને પોતાની રાજનૈતિક સમજ મજબૂત કરે. પોલીસે એક ખોટી FIR નોંધી છે અને અમારા સાથીને ટોર્ચર કર્યો છે. કોઈ નિર્દોષ વ્યક્તિનું જેલમાં હોવું એ સૌથી મોટી હિંસા છે.
કોર્ટ જ નક્કી કરશે કે તે નિર્દોષ છે કે નહીં...
જવાબઃ કોર્ટે જ તેને જેલમાંથી મુક્ત કર્યો છે. અમે તેને બળજબરીથી જેલમાંથી બહાર કાઢ્યો નથી. આ આખો મામલો અમને ફસાવવા માટે કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારની નીતિ નિષ્ફળ ગઈ છે. જ્યારે ગુરુ ગ્રંથ સાહિબની વાત આવે છે, આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં આપણે ગુરુ ગ્રંથ સાહિબના આવરણ હેઠળ જઈએ છીએ. આ પહેલી ઘટના નથી. જ્યારે ઈન્દિરા ગાંધી ઈમર્જન્સી લાવ્યાં હતાં ત્યારે સંત કરતાર સિંહે એનો વિરોધ કરવા 37 નગર કીર્તન કાઢ્યા હતા અને તેને ગુરુ ગ્રંથ સાહિબ સાથે બહાર કાઢ્યા હતા.
આ સરકારની નિષ્ફળતા છે કે તપાસ કર્યા વિના જ ખોટી FIR નોંધવામાં આવી. આપણી પોલીસ સિસ્ટમ પણ હજુ જૂના જમાનાની છે, તેમાં ફેરફાર થયો નથી. જેને કસ્ટડીમાં ટોર્ચર કરવામાં આવ્યો, તેને કોણ વળતર આપશે.
સવાલઃ અજનાલા કેસમાં જે થયું એમાં તમે જીતી ગયા અને પોલીસ-પ્રશાસન હારી ગયાં. તેને તમે કઈ રીતે જુઓ છો?
જવાબઃ હું તેને તેમનો પરાજય જ કહીશ, આ પોલિટિકલ સિસ્ટમની હાર છે. પોલીસે ક્યારેય પોલિટિકલ સિસ્ટમનું ટૂલ બનવું જોઈએ નહીં. પોલીસ સ્થાયી છે, સરકાર 5 વર્ષમાં બદલાતી રહે છે.
સવાલઃ તમારું રોજિંદું જીવન કેવું છે, તમે શું કામ કરો છો, દિવસ કઈ રીતે પસાર થાય છે? તમે જે માર્ગ પર છો એમાંથી તમે શું પ્રાપ્ત કરવા માગો છો?
જવાબઃ હું દુબઈથી પાછો ફર્યો છું, ત્યારથી મારો દિવસ સંગતમાં જ પસાર થાય છે. હું ડ્રગ્સનો ભોગ બનેલા યુવાનો સાથે કામ કરું છું. તમે જે લોકોને અહીં કામ કરતા જુઓ છો, જેઓ અમારા ગાર્ડ છે, તેઓ બધા ડ્રગ્સ લેતા હતા, ઇજેક્શનથી હેરોઈન લેતા હતા. આજે તેઓ ડ્રગ્સની જાળમાંથી બહાર આવીને સુખી જીવન જીવે છે. દરરોજ 20-25 પંજાબી યુવાનો અને તેમના પરિવારો અમારી પાસે આવે છે, અહીં રોકાય છે. અમે તેમની સારવાર કરીએ છીએ.
અમારો ઉદ્દેશ પંજાબને નશામુક્ત સમાજ બનાવવાનો છે, લોકોને પાણીની કટોકટી, સ્થળાંતર અને ભાષાની સમસ્યાઓ હલ કરવામાં મદદ કરવાનો છે. પંજાબમાં સાર્વભૌમત્વનો મુદ્દો હંમેશાં રહ્યો છે, આ વાત ક્યારથી ખરાબ થવા લાગી. હિન્દુ રાષ્ટ્રની વાત આવે ત્યારે તો કોઈ ડિબેટ થતી નથી.
પરંતુ તમે અને અમે તો હિન્દુસ્તાની છીએ ને...
જવાબઃ આ જે ટેગલાઇન છે, એને સમજીએ. અમેરિકા એક દેશ છે, પરંતુ સાઉથ અમેરિકાના લોકો પણ અમેરિકન છે, કેનેડાના લોકો પણ અમેરિકન છે. એ પ્રમાણે આપણે કહીએ કે હિન્દુસ્તાની છીએ તો જરૂરી નથી કે આપણે એક જ દેશમાં રહીશું.
હિંદ મહાસાગર ઉપર ભારત, ચીન સહિત ઘણા દેશોનું નિયંત્રણ છે. વિવિધતા સ્વીકારવામાં આવતી નથી, અહીંથી જ વાત શરૂ થાય છે. જો એવું ન કહેવામાં આવ્યું હોત કે શીખો હિંદુઓનો એક ભાગ છે, તો વાત અહીં સુધી ન પહોંચી હોત, દરબાર સાહિબ પર હુમલો ન થયો હોત, ન તો આજે સાર્વભૌમત્વનો પ્રશ્ન ઊભો થયો હોત.
સવાલઃ તમારી સાર્વભૌમત્વની વાત ભારતથી અલગ દેશ બનાવવાની હદ સુધી જાય છે. દેશમાં ઘણાં જૂથો છે, કેટલાક હિંદુ રાષ્ટ્રની માગ કરે છે, કેટલાક કાશ્મીરને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવા માગે છે.
જવાબઃ લોકશાહીમાં સંવાદને ક્યારેય દબાવી ન શકાય. જો શીખોની ખાલિસ્તાનની માગ હોય તો તેને દબાવી શકાય નહીં. અહીં હજુ સુધી કોઈ જનમત સંગ્રહ થયો નથી, તેથી ખબર નહીં કેટલા શીખો આ ઈચ્છે છે. હું લોકમતની માગણી કરતો નથી. પહેલા અમને અમારો પ્રચાર કરવા દેવામાં આવે.
લોકતંત્રમાં અમને એનો અધિકાર છે. આ અંગે વાત થવી જોઈએ, ત્યારે જ લગભગ કોઈ પ્રશ્નનો ઉકેલ મળી શકશે. બની શકે છે કે સરકાર સાબિત કરી દે કે અમે ખોટી વાત કરી રહ્યા છીએ, તો અમે માની જઇશું.
સવાલઃ તમારું બાળપણ ક્યાં વીત્યુ, અભ્યાસ ક્યાં કર્યો, શું કામ કર્યું? એવું શું થયું કે તમે મોડર્ન લાઇફથી શીખ બાનામાં આવી ગયા, ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવવા લાગ્યા?
જવાબઃ મારું બાળપણ જલ્લુપુર ખેડા ગામમાં વીત્યું. અહીં 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો. કપૂરથલામાં મેં મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું. પરંતુ અભ્યાસ પૂર્ણ કરી શક્યો નહીં. એ પછી હું દુબઈ જતો રહ્યો, ત્યાં 10 વર્ષ ફેમિલી બિઝનેસ મેનેજ કર્યો. 2015માં બરગાડીમાં બેઅદબીની ઘટના બની, એ મારા માટે જ નહીં, પરંતુ અનેક શીખ માટે ટ્રિગર પોઇન્ટ હતો.
સવાલ: લોકો કહે છે કે તમે જરનૈલ સિંહ ભિંડરાંવાલે જેવા દેખાવ છો. તેમનો યુવા ફોટો અને તમારો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. શું તમે તેમની પાસેથી જ આ દેખાવ લીધો છે?
જવાબઃ આ ડ્રેસ જરનૈલ સિંહ ભિંડરાંવાલેનો નથી, જે લોકો સંસ્કૃતિને જાણતા નથી તેઓ આવી વાતો કરે છે. કરતાર સિંહ ભિંડરાંવાલે, સંત ગુરબચન સિંહ ભિંડરાંવાલે બધાએ આ બાના પહેર્યું છે. શીખ ધર્મમાં ઉપદેશ આપનાર પાસે આ બાના છે, નિહંગોનું અલગ બાના છે. તમામ તક્સલ (શીખ ધાર્મિક શિક્ષણ કેન્દ્રો)માં આ બાના આજે પણ પહેરવામાં આવે છે.
સવાલ: તમે શીખ ધર્મનું શિક્ષણ કઈ ટકસાલમાં લીધું અને કેટલાં વર્ષ સુધી તમે ધર્મ વિશે અભ્યાસ કર્યો?
જવાબ: હું કોઈ ટકસાલમાં પ્રશિક્ષિત નથી કે મેં કોઈ ધાર્મિક શિક્ષણ લીધું નથી. હું ઘરેથી ધર્મ શીખ્યો છું. ઉપદેશ આપવા માટે ધાર્મિક શિક્ષણની જરૂર નથી. શીખનો આવો કોઈ અભ્યાસક્રમ નથી, પરંતુ ટકસાલમાં રહેતા લોકોને જ્ઞાન મળે છે, આ સાચું છે.
સવાલ: તમે અલગ દેશની માગ કરી રહ્યા છો. જો બીજા કોઈએ કર્યું હોત તો અત્યારસુધીમાં UAPA, NSA અને રાજદ્રોહનો કાયદો લાદવામાં આવ્યો હોત. પોલીસ જ નહીં, CBI-NIA પણ પાછળ લાગી ગઈ હોત. તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, આવું કેમ?
જવાબઃ જો તપાસ એજન્સીઓએ હાર માની લીધી હોત તો પોલીસ મારી સામે ખોટો કેસ કેમ દાખલ કરત. લોકશાહી દેશમાં રાજદ્રોહ અને UAPA જેવા કાયદા કેમ છે, આ સૌથી મોટો છે એક સવાલ છે. આવતીકાલે કેન્દ્રીય એજન્સી મારી હત્યા કરી શકે છે, એ પણ થઈ શકે છે. હું જ્યાં પણ જાઉં છું ત્યાં મારો પ્રચાર રોકવાના પ્રયાસો થાય છે.
જ્યાં સુધી બધું શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે ત્યાં સુધી સરકારને પગલાં લેવાનો કોઈ અધિકાર નથી. અમે હિંસક રીતો અપનાવી નથી. અમારી ઓળખ, સાર્વભૌમત્વ, મુદ્દાઓ પર વાત કરવી એ ગુનો નથી. ખાલિસ્તાની લોકો સામે કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, ઘણા ખાલિસ્તાની સજા પૂરી કરવા છતાં જેલમાં છે.
સવાલ: મેં અમરનાથ અને વૈષ્ણોદેવીની યાત્રામાં ઘણા શીખ જોયા છે. એ જ રીતે હિન્દુઓ પણ ગુરુદ્વારા જાય છે. શું ધર્મના આધારે અલગ દેશની માગ કરવી યોગ્ય છે?
જવાબ: આપણા ગુરુએ કહ્યું છે કે આપણી સંસ્કૃતિ શું છે. તેમણે કહ્યું હતું કે અમે ન તો હિંદુ છીએ કે ન તો મુસ્લિમ. શીખ ધર્મમાં મૂર્તિપૂજા પ્રતિબંધિત છે, પરંતુ જો હિંદુઓ મૂર્તિની પૂજા કરે છે, તો અમને કોઈ સમસ્યા નથી. મહારાજા રણજિત સિંહે ઘણાં મંદિરો બનાવ્યા, પરંતુ તેમણે મંદિરમાં પૂજા નથી કરી.
હિન્દુઓમાં એવો કોઈ નિયમ નથી, જે તેમને ગુરુદ્વારા જવા માટે રોકે. શીખ ધર્મ તેના અનુયાયીઓને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપતો નથી. અમારી પાસે નશાની આદત છોડવા માટે હિન્દુ છોકરાઓ આવે છે, અમે તેમને ના પાડી પાછા ધકેલતા નથી.
સવાલ: પંજાબના સીએમ ભગવંત માને કહ્યું છે કે અજનાલામાં જે થયું એની પાછળ પાકિસ્તાનનો હાથ છે. અમૃતપાલની જે તાકાત દેખાઈ રહી છે તેની પાછળ કોણ છે?
જવાબ: પાકિસ્તાન ટુકડા થવાની કગાર પર છે, ત્યાં ઈકોનોમિક ક્રાઈસિસ ચાલી રહી છે. ભારત અને પાકિસ્તાન બંનેમાં આઈડેન્ટિટીની ક્રાઈસિસ છે. ભારતમાં તમિળ, મરાઠીની ઓળખનું સંકટ છે. વિવિધતામાં એકતા માત્ર બોલવાથી જ નથી થતી, જો તામિલનાડુ પર હિન્દી ઠોકી બેસાડવામાં આવી ન હોત તો ત્યાં વિરોધ શરૂ ન થયો હતો. પંજાબમાં પણ હિન્દીને ઠોકી બેસાડવી એ મુશ્કેલીભરી વાત છે. જો આપણે દૂર બેસીને પણ બલૂચિસ્તાનની મુશ્કેલીઓને સમજી શકીએ છીએ તો આપણા લોકોએ પણ સમજવું જોઈએ.
સવાલ: તમે કહ્યું કે તમારું લક્ષ્ય ખાલિસ્તાન બનાવવાનું છે. તમારો રોડમેપ શું છે. શું આ આંદોલન હિંસક બનશે? તમારી ચારેય તરફ ચાર લોકો આગળપાછળ રાઈફલ સાથે રહે છે.
જવાબ: જે લોકો સત્તાનો ભાગ હોતા નથી તે લોકો ક્યારેય પણ હિંસાનો રસ્તો પસંદ કરતા નથી. પિસ્તોલ અને તલવાર શીખ ધર્મના કોડ ઓફ કન્ડક્ટમાં છે. પિસ્તોલ અમારા સેલ્ફ ડિફેન્સ માટે છે અને ડ્રગ સિંડિકેટ સામે મોરચો માંડ્યો છે. તેઓ અમારી જાનના દુશ્મન છે, માટે સેલ્ફ ડિફેન્સ જરૂરી છે. ખાલિસ્તાનનો મામાલો તો હવે આવ્યો છે.
સવાલ: શું તમે ગુરપતવંત સિંહ પન્નુ જેવા ખાલિસ્તાની નેતાઓના સંપર્કમાં છો? શું તેઓ તમારાં કાર્યો સાથે સંકળાયેલા છે?
જવાબ: અમે દરેક ખાલિસ્તાની સાથે સહાનુભૂતિ રાખીએ છીએ. બસ, રીતો અલગ હોય છે. ખાલિસ્તાનના વિચાર ખોટા નથી હોતા. ભારત સરકારે દરબાર સાહિબ પર જે હુમલો કર્યો હતો એ ભૂલ્યા નથી,
શીખો માટે ટ્રોમા છે, તે પેઢી દર પેઢી લોકો સુધી પહોંચાડતા રહીશું. જો સરકાર વાતચીત કરે છે, તો કોઈ સમાધાન થઈ શકે છે. પંજાબમાં ઘણાં બધાં જૂથો છે, જેઓ ખાલિસ્તાનની સાથે ઊભા રહે છે, જેમ કે દલ ખાલસા, શિરોમણિ અકાળી દલ-અમૃતસર. અનેક જૂથ પોતપોતાની રીતે લડતાં રહે છે.
સવાલ: જો વાટાઘાટોના ટેબલ પર તમારી સાથે વાત કરવામાં આવે અને કહેવામાં આવે કે ખાલિસ્તાનની માગ છોડી દો, તો તમે શું માગ કરશો?
જવાબ: શીખોની સાથે જે અન્યાય થયો છે એને ભરપાઈ કરવો પડશે. અનેક શીખ જેલમાં બંધ છે, પાણી, ડ્રગ્સ, પલાયન...આ બધા મુદ્દાઓ છે. જે રીતે હિમાચલમાં કાયદો છે કે કોઈ જમીન ખરીદી શકતું નથી, એ રીતે પંજાબમાં પણ કાયદો બનવો જોઈએ.
પંજાબમાં જે પણ સરકારી નોકરીઓ છે એમાં 95% કોટા બનાવીને પંજાબીઓને નોકરી આપવામાં આવે છે. પલાયનને અટકાવવા માટે કડક નીતિઓ લાવવી જોઈએ. એ નક્કી કરવું પડશે કે જે વ્યક્તિ પંજાબમાંથી પલાયન કરી રહી છે, ક્યાંક એ સંસ્કૃતિ માટે જોખમી તો નથી.
સવાલ: પંજાબનું કલ્ચર સમગ્ર દેશમાં જાણીતું છે, ખાન-પાનથી લઈને ગીતો સુધી. એ તો એમ જ ખીલી રહ્યું છે, તો પછી વાંધો શું છે?
જવાબ: પંજાબના કલ્ચરને સ્ટીરિયોટાઇપ કરવામાં આવી રહ્યું છે. સરસોનું શાક અને મકાઈના રોટલા માત્ર પંજાબનું જ ભોજન નથી. પંજાબના દરેક ઘરમાં દારૂ પીવાય છે, બોલિવૂડે એને સ્ટીરિયોટાઇપ કરી દીધું છે. સરકારે સંસ્કૃતિને બચાવવા માટે જે પગલાં ભરવાં જોઈએ, એ સરકાર ભરી રહી નથી. અમે બેંકોમાં જઈએ છીએ તો ત્યાં હિન્દી બોલનારા ભરી દીધા છે. કહેવામાં આવે છે કે હિન્દીમાં વાત કરો.
પણ અહીંના લોકોને હિન્દી આવડતું નથી. પંજાબ જોવામાં તો શાંતિપૂર્ણ દેખાય છે, પણ એવું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.