આજના પોઝિટિવ સમાચારમાં વાત ચંડીગઢની રહેવાસી વૃત્તિ નરુલા અને તેના ભાઈ પાર્થ નરૂલાની. બંને મળીને ચાર એકર જમીન પર સ્ટ્રોબેરીની ખેતી કરે છે. સાથે જ તેની પ્રોસેસિંગ પછી જેલી, જામ, જેવી પ્રોડક્ટ તૈયાર કરીને માર્કેટમાં સપ્લાઈ પણ કરે છે. એક વર્ષની અંદર 1100થી વધુ ગ્રાહક તેમની સાથે જોડાઈ ગયા છે. દરરોજ 100 જેટલા તેમની પાસે ઓર્ડર આવે છે. તેનાથી પ્રતિ એકર 3 લાખ રૂપિયાથી વધુ તેમની કમાણી થઈ રહી છે.
26 વર્ષની વૃત્તિ ફેશન ડિઝાઈનર છે જ્યારે 21 વર્ષનો પાર્થ અત્યારે ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. વૃત્તિ કહે છે કે અમને સ્ટ્રોબેરી ખૂબ પસંદ છે. બહારથી ખરીદવા પર સારી અને તાજી સ્ટ્રોબેરી મળતી નહોતી. તેથી અમે નક્કી કર્યુ કે અમે ખુદ જ તે ઉગાડીશું. અમારી પાસે થોડી ઘણી જમી હતી, તો અમે ગત વર્ષની શરૂઆતમાં થોડી જમીન પર સ્ટ્રોબેરી વાવી. માર્ચ સુધીમાં સ્ટ્રોબેરી તૈયાર થઈ ગઈ. વૃત્તિ કહે છે કે ઉપજ સારી થઈ હતી, અમે વિચાર્યુ કે ખુદની સાથે સાથે તેને પોતાના પરિચિતો અને સંબંધીઓને પણ ખવડાવીશું પણ એ દરમિયાન જ કોરોનાના કારણે લોકડાઉન લાગ્યું અને અમે પ્રોડક્ટ ક્યાંય મોકલી ન શકયા.
લોકડાઉનના કારણે થોડા દિવસ પછી અમારી સ્ટ્રોબેરી ખરાબ થવા લાગી. ઉપજ વધારે હતી અને વપરાશ ઓછો. હવે અમારી સામે સવાલ હતો કે આખરે આનું શું કરવું? વૃત્તિ કહે છે કે ત્યારે મેં પાર્થની સાથે મળીને નક્કી કર્યુ કે અમે લોકો તેને ચંડીગઢમાં જ લોકોના ઘર સુધી પહોંચાડીશું. કેમકે લોકડાઉનના કારણે લોકો માર્કેટમાંથી પ્રોડક્ટ ખરીદી શકતા નહોતા. તેના પછી અમે વ્હોટ્સએપ ગ્રૂપ બનાવ્યું અને તેમાં સ્ટ્રોબેરીના ફોટો મૂકવા લાગ્યા. થોડા સમય પછી જ કેટલાક લોકો તરફથી ઓર્ડર મળવાનું શરૂ થઈ ગયું. તેના પછી હું મારા ભાઈ સાથે મળીને લોકો સુધી ઓર્ડર ડિલિવર કરવા લાગી.
અમારે સ્ટ્રોબેરી એકદમ ફ્રેશ અને તાજી હતી,અમે ખેતરમાંથી કાઢ્યા પછી સીધા જ ગ્રાહકો સુધી પહોંચાડતા હોવાથી લોકો અમારી પ્રોડક્ટની ડિમાંડ કરવા લાગ્યા. આ રીતે અમારા કસ્ટમર્સની સંખ્યા વધવા લાગી. અમે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુદની ઉપસ્થિતિ પણ નોંધાવી. તેનાથી પણ કસ્ટમર્સની સંખ્યામાં વધારો થયો. અત્યારે અમારી પાસે 1100થી વધુ કસ્ટમર્સ છે. વૃત્તિ અત્યારે ચાર એકર જમીન પર કુલ 6 પ્રકારની સ્ટ્રોબેરીની ખેતી કરી રહી છે. તેઓ હિમાચલ પ્રદેશથી તેના બીજ લાવે છે.
વૃત્તિ કહે છે કે અગાઉ ભાઈની સાથે મળીને હું તમામ ઓર્ડર ડિલિવર કરતી હતી પણ જ્યારે કસ્ટમર્સ વધી ગયા તો અમે એક કંપની સાથે ટાઈઅપ કરી લીધું, જે અમારા માટે પ્રોડક્ટ ડિલિવરીનું કામ કરે છે. અમારી પૂરેપૂરી કોશિશ રહે છે કે લોકો સુધી એકદમ ફ્રેશ ફ્રૂટ પહોંચે. આથી અમે ખેતરમાંથી હાર્વેસ્ટિંગ પછી 12 કલાકની અંદર કસ્ટમર્સ સુધી પ્રોડક્ટ પહોંચાડી દઈએ છીએ. તે કહે છે કે હાલ તો અમે લોકો ચંડીગઢમાં પોતાની પ્રોડક્ટની ડિલિવરી કરીએ છીએ પણ આગળ અમારી કોશિશ છે કે દેશના અન્ય શહેરોમાં પણ અમે અમારી પ્રોડક્ટ મોકલીએ. તેને લઈને અમે તૈયારી કરી રહ્યા છીએ.
જ્યારે ઉપજ વધવા લાગી તો પ્રોસેસિંગ કરવાનું શરૂ કર્યુ
વૃત્તિ કહે થે કે ઉપજ એટલી સારી થઈ હતી કે ચંડીગઢમાં અનેક લોકોનાં ઘર સુધી પહોંચાડ્યા પછી પણ સ્ટ્રોબેરી વધતી હતી. એ પછી અમે થોડું ઘણું રિસર્ચ કર્યુ કે આગળ શું કરી શકીએ. તેના પછી અમે તેનું પ્રોસેસિંગ કરવાનો નિર્ણય લીધો. તેમાં મારી માતાએ ખૂબ મદદ કરી. તેમણે તેનું પ્રોસેસિંગ કરીને જેલી, જામ, ક્રશ જેવી પ્રોડક્ટ બનાવવાનું શરૂ કર્યુ. અત્યારે લગભગ અડધો ડઝન પ્રોડક્ટ અમે તૈયાર કરીએ છીએ અને તેને માર્કેટમાં સપ્લાઈ કરીએ છીએ. અમે ફ્રેશવિલ નામથી તેનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે.
સ્ટ્રોબેરીની ખેતી કેવી રીતે કરશો?
સ્ટ્રોબેરીની ખેતી વધુ મુશ્કેલ નથી. તેના માટે ક્લાઈમેટ જરૂર મહત્વ ધરાવે છે. પરંતુ જો તૈયારી સાથે તેની ખેતી કરવામાં આવે તો સારી ઉપજ થશે. ચોમાસુ સમાપ્ત થવાથી ફેબ્રુઆરી સુધી તેની ખેતી થાય છે. તેની ખેતી માટે સૌથી જરૂરી વાત એ છે કે દરરોજ નિયમિત રીતે પ્લાન્ટ્સને સાફ કરવા પડે છે. સૂકા પાંદડા હટાવવા પડે છે. જેથી હાર્વેસ્ટિંગ સમયે કોઈ પરેશાની ન થાય. છોડમાં ભેજ જળવાઈ રહે એ માટે ડ્રિપ ઈરિગેશનથી સિંચાઈ લાભદાયી નીવડે છે. જો કે પાણીથી પાકને બચાવવાનો હોય છે. વધુ પાણી તેના માટે નુકસાનકારક બની શકે છે.
ઓછા ખર્ચમાં વધુ નફો
આજકાલ મોટા શહેરોમાં સ્ટ્રોબેરીની ઘણી સારી ડિમાંડ છે. મોટા મોટા ફૂડ માર્કેટમાં મોટી માત્રામાં સ્ટ્રોબેરીનો વપરાશ થાય છે. ખાસ કરીને ફ્રેશ સ્ટ્રોબેરીને ફ્રૂટ ડિલિવરી કરનારી કંપનીઓ સીધી જ ખરીદી લે છે. અનેક લોકો તેના પ્રોસેસિંગ પછી અલગ-અલગ રીતની પ્રોડક્ટ તૈયાર કરીને માર્કેટમાં સપ્લાઈ કરે છે. વૃત્તિ કહે છે કે જો સારી રીતે તેની ખેતી કરવામાં આવે તો પ્રતિ એકર ઓછામાં ઓછા ત્રણ લાખ રૂપિયાની કમાણી આસાનીથી થઈ શકે છે.
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીમાં અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે. તેમાં વિટામીન C, વિટામીન A અને વિટામીન K મળે છે. જે સૌંદર્યમાં નિખાર લાવે છે અને ચહેરા પરથી ખીલ દૂર હટાવે તેમજ આંખની દૃષ્ટિ વધારવાની સાથે દાંતની ચમક વધારવામાં ફાયદાકારક હોય છે. આ સાથે જ જેલી, આઈસક્રિમ અને અનેક મિઠાઈ બનાવવામાં પણ સ્ટ્રોબેરીનો ઉપયોગ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.