રાસાયણિક ખાતરો જમીન બગાડવાની સાથે સાથે ખેડૂતો માટે ખર્ચાળ સાબિત થઈ રહ્યાં છે. જેથી ખેડૂતો કેમિકલ યુક્ત રાસાણિક ખાતરની ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. આવી જ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના શિહોર ગામના ખેડૂત મહેન્દ્રભાઇ રાવલ નામા ખેડૂત છે. જેઓ લગભગ 70 વિઘા જમીનમાં કોઠાસૂઝથી ગૌશાળાના ગૌમૂત્ર અને ગોબરમાંથી ખાતર બનાવીને ખેતી કરી રહ્યાં છે. તેઓ પહેલા સામાન્ય ખેતી કરતા હતા પરંતુ રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીની અપીલ થકી તેઓએ પહેલ કરી આજે તેઓ તેમની બધી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાંથી માસિક 30 લાખથી વધુની આવક કમાય છે, સાથે જ પશુપાલન પણ કરે છે, જેમાંથી વાર્ષિક 20થી 22 લાખ રૂપિયાની આવક મેળવે છે. સાથે જ આ ગૌશાળામાં ગાયના છાણમાંથી બનેલા પ્રાકૃતિક ખાતર બનાવી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.
કયા કયા પાકોનું વાવેતર કરે છે?
મહેન્દ્રભાઈ પોતાના ખેતરમાં સામાન્ય રીતે દાડમ અને તુવેર તથા તેલીબિયાંની ખેતી કરે છે, જેના માટે જાતે ઘન જીવસમૃત ગોબર, ગૌમૂત્ર સહિતની વિવિધ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવે છે. આ ઘન જીવામૃતનો જ તેઓ ખાતર તરીકે ઉપયોગ કરે છે. આ સાથે ગૌશાળામાંથી દૂધનું પણ વેચાણ કરીને આવક મેળવે છે.
શિબિરમાં ભાગ લીધા બાદ વિચાર આવ્યો
મહેન્દ્રભાઈ પહેલા સામાન્ય ખેતી કરતા હતાં. જોકે કૃષિ શાસ્ત્રી સુભાષ પાલેકરની શિબિર ઓનલાઈન જોઈ પછી તેમની શિબિરમાં ભાગ લીધો હતો. જેમાંથી તેમને પણ પ્રાકૃતિક ખેતી કરવાનો વિચાર આવ્યો. તેઓ છેલ્લા પાંચ વર્ષોથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. એટલું જ નહીં પોતાના ગામમાં જ શિબિર યોજીને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફવાળી રહ્યા છે. આ માટે તેઓ ખાતર પણ જાતે જ બનાવે છે. પોતાની જ ગૌશાળામાંથી નીકળતા ગોબર અને ગૌમૂત્રમાંથી તેઓ ખાતર બનાવે છે અને તેનો ખેતરમાં ઉપયોગ કરે છે. આ ખાતરથી પાક ઉત્પાદન વધે છે. ફળ વધુ મોટું અને કલરફુલ આવતું હોવાનો તેમનો દાવો છે. આમ તેમણે પ્રાકૃતિક ખેતીથી જ પોતાની આવક બમણી કરી નાખી છે.
ગૌશાળામાંથી 22 લાખની આવક
તેઓ કહે છે, મારી પાસે કુલ 70 વીઘા જમીન છે. પણ પ્રાકૃતિક ખેતી 25 વીઘામાં કરું છું. બાકીની જમીનમાં એરંડા અને અન્ય તેલીબિયાં વાવીએ છીએ. કઠોળમાં ખાસ તુવેર છે. તુવેરદાળ ત્યાંથી જ સીધી લોકોને વેચીએ છીએ. તેઓ વધુમાં ઉમેરે છે, ખાલી ખેતીની મારી વાર્ષિક 25થી 30 લાખ રૂપિયા છે. જ્યારે ગૌશાળાની મારી રૂપિયા 20-22 લાખ આવક થાય છે. મારી પાસે અત્યારે ગીરની 40 ગાયો છે. જેમાંથી રોજનું 120-125 લિટર બે ટાઈમનું એવરેજ દૂધ નીકળે છે. જેને અમદાવાદમાં વહેંચીએ છીએ. અને આ દૂધમાંથી જ ઘી પણ બનાવીએ છીએ.
જીવામૃત પણ બનાવે છે
ગાયના છાણમાંથી તેઓ ઘન જીવસમૃત પણ બનાવે છે. મહેન્દ્રભાઈ કહે છે કે,‘પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત એ પાયો છે. ગાયના 100 કિલો ગ્રામ છાણ, 1 કિલો દેશી ગોળ,1 કિલો ચણાનો લોટનું મિશ્રણ કરી તેમાં 2 લિટર જીવામૃત ઉમેરીને આ મિશ્રણને 48 કલાક છાયામાં રાખ્યા બાદ દિવસમાં 3-4 વખત ઉપર નીચે કરાય છે. તે સુકાયા બાદ ગાંગડાનો ભૂકો કરી ઘન જીવામૃત બનાવ્યું છે. મહેન્દ્રભાઈ ગીર ગાયોને ખવડાવવા માટે પ્રાકૃતિક ઘાસ ઉગાડે છે. કપાસની પાંખડી, યુરિયા કે ખાતર વિનાનું ઘાસ અને જરૂરી મિનરલ્સ, વિટામિન પણ આપે છે. તો ઘન જીવામૃતના સથવારે પ્રાકૃતિક ખેતી કરીને કુદરતના સાંનિધ્ય સાથે ઊપજ અને આવક બમણી મેળવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.