મોટે ભાગે હળદરની ખેતી ગુજરાતમાં સૌરાષ્ટ્ર, વડોદરા, આણંદ, દાહોદ જેવા વિસ્તારમાં થાય છે. તેમજ દેશમાં મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યોમાં થાય છે. આમ તો મોટેભાગે હળદરનો પાક દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કોઈ કરતું નથી. કેમકે, જમીન પાકને અનુરૂપ નથી અને પાક ખૂબ મહેનત માંગી લે છે. ત્યારે શેરડી, ડાંગર અને કેટલાક શાકભાજી સિવાય ખેડૂત ભાગ્યે જ કોઈ અન્ય પાક લેવાનું વિચારે છે. એવા ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં આવેલ અણીતા ગામના સાહસિક અને પ્રગતિશીલ ખેડૂતે બે વીઘા જમીનમાં પડકારરૂપ હળદરનો મબલખ પાક તૈયાર કર્યો છે.જેથી વાર્ષિક 3 લાખની કમાણીની આશા છે.
સેલમ જાતની હળદર પકાવી
સતત ભેજ અને સામાન્ય પાણીની જરૂર સાથે જમીન ગોરાટ, પોચી હોય તો હળદરનો પાક તૈયાર થાય છે. અણીતાના ખેડૂત કર્મવીરસિંહના જણાવ્યા પ્રમાણે અંદામાન નિકોબાર અને કર્ણાટકના ખેડૂતોને જોઈ હળદર ખેતીની પ્રેરણા થઈ હતી. વાંસદાના ખેડૂત પાસેથી 45 મણ હળદરની સેલમ જાતનું બિયારણ લીધું હતુ. રસાયણિક દવાનો ઉપયોગ કર્યા સંપૂર્ણ ખેતર છાણિયું ખાતર અને અન્ય જૈવિક પદ્ધતિથી જમીન તૈયાર કરી હાલ ઓર્ગેનિક હળદરનો પાક તૈયાર થઈ ચૂકયો છે.
1 લાખનો ખર્ચ થયો
ખેડૂતે 2 વિઘામાં 800 મણ હળદરનું ઉત્પાદન લઈ સફળ થયા છે. હાલ ઓર્ગેનિક હળદરનો બજાર ભાવ 350 રૂપિયા હોવાનું કહેવાય છે. ત્યારે બે વીઘામાં બિયારણથી લઈ હળદર પાવડર બનાવવા સાથેનો અંદાજે 1 લાખ ખર્ચ થવા પામ્યો છે. જેની સામે અંદાજે 3 લાખની આવક હળદરના પાકથી થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું.
પાવડર ફોમ બનાવી જાતે જ વેચાણ કરાશે
કર્મવીરસિંહ સોલંકીએ કહ્યું કે, ઘણા સ્થાનિક વેપારીઓએ મને હળદરની ખેતી કરવા કહ્યું હતું.પણ હળદરના પાકને જમીન અનુકૂળ ન હતી. તેથી પ્રથમ જમીન તૈયાર કરી હતી.રસાયણિક દવાના ઉપયોગ વિના સંપૂર્ણ જૈવિક પદ્ધતિથી જમીન તૈયાર કરવામાં આવી હતી.7 મહિનામાં પાક તૈયાર થઈ ગયો છે. 800 મણ હળદરનું લીલું ઉત્પાદન આવશે. પણ એને બોઇલ કરી, સૂકવી, પોલીશ કરી પાવડર ફોમ બનાવી જાતે વેચવાનું નક્કી કર્યું છે.જેથી હજારથી બારસો કિલો પાવડર પડશે.7 મહિનાનો પાક છે.દસ મહિનામાં પૈસા મળે છે.પૈસાનું રોટેશન ઝડપથી થાય છે અને બીજા ઘણા ફાયદા છે. સ્થાનિક વેપારીઓ પાક જોઈ ગયા છે અને દૂરથી હળદર મંગાવવી એના કરતાં વિસ્તારમાં જ તેનું ઉત્પાદન કરવા વિચારે છે.
પાક નજીક ભૂંડ કે જીવાત ફરકતા પણ નથી
હળદરનો પાક તૈયાર થતા ખેડૂતને લગભગ 10 મહિના જેટલો સમય લાગ્યો હતો.આ પાકમાં રોગ પ્રતિકારક શક્તિ વધુ હોવાથી કોઈપણ પ્રકારની જીવાત કઈ બગાડી શકતી નથી અને માવઠું થાય કે, પછી વાતાવરણમાં ફેરફાર થાય છતાં હળદરના પાકને કઈ ફરક પડતો નથી. મહત્વની અને મોટી વાત તો એ કે, જિલ્લાના ખેડૂતો માટે જે ભૂંડ માથાનો દુઃખાવો બન્યા છે. આ પાકની સુગંધની લીધે ભૂંડ પાક નજીક ફરકતા પણ નથી જેથી પાકને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી અને ખર્ચ પણ ઓછો થાય છે .જેથી ખેડૂતે અન્ય ખેડૂતો પણ હળદરની ખેતી તરફ વળે એવી અપીલ કરી હતી.
સંજોગો સારા રહેશે તો હળદર યુએસએ જશે
હળદર બનાવવાનો પ્રથમ પ્રયાસ છે.જેમાં સફળતા મળી છે.ઓર્ગેનિક હળદરની માંગ વધુ છે. સ્વાસ્થ્ય માટે હળદર ખૂબ જ ઉપયોગી છે. અનેક રોગોમાં રામબાણ છે. ત્યારે દવામાં પણ મહદઅંશે ઉપયોગી છે. ત્યારે યુએસએની એક દવા કંપનીના અધિકારી સાથે વાત ચાલી રહી છે. જો બધું આયોજન સુપેરે સરખું રહેશે તો હળદર યુએસએમાં પહોંચશે તેમ ખેડૂતે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.