કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પાર્લામેન્ટ ચેમ્બરમાં બુધવારે 16 વિપક્ષી પાર્ટીના નેતાઓની બેઠક હતી. અહીંયા નક્કી થયું કે, અદાણી મામલે એક ચિઠ્ઠી લખીશું, જેમાં તમામ વિપક્ષ સાંસદોના હસ્તાક્ષર હશે. તેને EDને સોંપવામાં આવશે અને તપાસની માગ કરવામાં આવશે.
જ્યારે વિપક્ષીદળોના નેતા કૂચ કરીને ED ઓફિસ તરફ નીકળ્યા, તો તેમને ED ઓફિસ પહેલા જ રોકી લેવામાં આવ્યા. ખડગેએ કહ્યું, 'અમે તો માત્ર EDની ઓફિસમાં અદાણી મામલે ચિઠ્ઠી આપવા ઈચ્છતા હતા. અમને રોકવાં એ કેવું લોકતંત્ર છે.'
ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે વિપક્ષી નેતાઓ અદાણી કેસની તપાસ ઇડી દ્વારા કેમ કરાવવા માગે છે? EDની સત્તા શું છે અને વિપક્ષી નેતાઓ EDને લઈને આટલા નર્વસ કેમ છે?
ED પાસે CBI અને NIA કરતાં વધુ સત્તા છે
તમને 2020નો કિસ્સો યાદ હશે, જ્યારે એક પછી એક 8 રાજ્યોએ CBIને પોતાના રાજ્યમાં મંજૂરી વગર ઘુસવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમાં પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ અને મિઝોરમ જેવા રાજ્યો સામેલ હતા.
અર્થ સ્પષ્ટ છે કે દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 અંતર્ગત બનેલી CBIને કોઈ પણ રાજ્યમાં ઘુસવા માટે રાજ્ય સરકારની પરવાનગી જરૂરી છે. જોકે તપાસ કોર્ટના આદેશથી થઈ રહી હોય, ત્યારે CBI ગમે ત્યાં જઈ શકે છે. પૂછપરછ અને ધરપકડ પણ કરી શકે છે. ભ્રષ્ટાચારના કેસમાં અધિકારીઓ પર કેસ ચલાવવા માટે CBIએ તેમના ડિપાર્ટમેન્ટ પાસેથી પણ મંજૂરી મેળવવાની હોય છે.
આવી જ રીતે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAને બનાવવાની કાયદાકીય તાકાત NIA Act 2008ખથી મળે છે. NIA સમગ્ર દેશમાં કામ કરી શકે છે, પરંતુ તેમની સીમા આતંક સાથે જોડાયેલા કેસ સુધી મર્યાદિત છે.
EDએ 18 વર્ષમાં 147 અગ્રણી નેતાઓની ધરપકડ કરી છે, જેમાંથી 85% વિપક્ષી નેતાઓ છે
ગયા વર્ષે ઇન્ડિયન એક્સપ્રેસે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે EDએ છેલ્લા 18 વર્ષમાં 147 અગ્રણી રાજકારણીઓની તપાસ કરી છે. તેમાંથી 85% વિપક્ષી નેતાઓ હતા.
બીજી તરફ, 2014 પછી, NDA શાસનના 8 વર્ષમાં, રાજકારણીઓ વિરુદ્ધ EDના ઉપયોગમાં 4 ગણો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, 121 રાજકારણીઓ કાર્યક્ષેત્રમાં આવ્યા હતા, જેમાંથી 115 વિપક્ષી નેતાઓ છે. એટલે કે આ સમયગાળા દરમિયાન 95% વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
2004 અને 2014 વચ્ચે, યુપીએ શાસન, EDએ માત્ર 26 રાજકારણીઓની તપાસ કરી. તેમાંથી 14 એટલે કે લગભગ 54% વિપક્ષના નેતાઓ સામેલ હતા.
આ બેથી વિપરીત, EDએ કેન્દ્ર સરકારની એકમાત્ર તપાસ એજન્સી છે, જેને મની લોન્ડરિંગના કેસમાં રાજકારણીઓ અને અધિકારીઓને સમન્સ મોકલવા અથવા તેમની સામે કાર્યવાહી કરવા માટે સરકારની પરવાનગીની જરૂર નથી. ઇડી દરોડા પાડીને પ્રોપર્ટી પણ જપ્ત કરી શકે છે. જો કે, જો મિલકત વપરાશમાં હોય, જેમ કે ઘર અથવા હોટલ, તો તેને ખાલી કરી શકાતી નથી.
મની લોન્ડરિંગ કેસમાં ED જેની ધરપકડ કરે છે, તેને જામીન મળવા ખૂબ મુશ્કેલ છે. આ કાયદા હેઠળ તપાસ કરનાર અધિકારી સામે આપેલા નિવેદનને કોર્ટ પુરાવો માને છે, જ્યારે બાકી કાયદા હેઠળ આવા નિવેદનનું કોઈ મૂલ્ય નથી હોતું.
હવે જાણો વિપક્ષના તે મોટા નેતાઓ જેમની સામે ED તપાસ કરી રહી છે.
નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા અને રાહુલ ગાંધી
BJP નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં દિલ્હીના પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસના જ મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, સેમ પિત્રોડા અને સુમન દુબે પર નુકસાનમાં ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ અખબારના નાણાંની છેતરપિંડી અને ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો.
આ બાબતની સુઓમોટો સંજ્ઞાન લેતા, ઇડીએ ઓગસ્ટ 2014માં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ડિસેમ્બર 2015માં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સોનિયા, રાહુલ સહિત તમામ આરોપીઓને જામીન આપ્યા હતા. આ મામલે EDએ સોનિયા અને રાહુલની અનેકવાર પૂછપરછ કરી છે.
દિલ્હી લીકર પોલિસી: મનીષ સિસોદિયા
22 જુલાઈ 2022ના રોજ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીના તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી, જેમાં નવી દારૂની નીતિમાં નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સીબીઆઈએ 19 ઓગસ્ટે દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાના ઘર સહિત 21 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
સિસોદિયા સહિત 15ને આરોપી બનાવાયા હતા. 14 ઓક્ટોબર 2022ના રોજ EDએ 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈએ સિસોદિયાની 8 કલાક પૂછપરછ કરી. આ પછી સીબીઆઈએ સાંજે સિસોદિયાની ધરપકડ કરી.
9 માર્ચ, 2023ના રોજ, EDએ મની લોન્ડરિંગ કેસમાં લગભગ 8 કલાકની પૂછપરછ પછી સિસોદિયાની ધરપકડ કરી.
જમીનની હેરફેર: સંજય રાઉત
EDએ મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેના ખાસ અને શિવસેના નેતા સંજય રાઉતની 1 ઓગસ્ટ 2022એ ધરપકડ કરી હતી. રાઉત પર મુંબઈના ગોરેગાંવમાં સિદ્ધાર્થ નગરની એક ચાલમાં 672 ફ્લેટના પુન:નિર્માણ મામલે જમીનની હેરફેરનો આરોપ છે.
ત્રણ મહિના પછી 10 નવેમ્બર 2022ના રોજ શરતી જામીન મળ્યા. તે સમયે સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પડાવા તપાસ એજન્સીઓ તેમને હેરાન કરી રહી છે.
INX મીડિયા: પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમ
INX મીડિયા કેસ પણ તેનું ઉદાહરણ છે. પી. ચિદમ્બરમ પર વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ એટલે કે FIPB પાસેથી વિદેશી રોકાણ માટે INX મીડિયાની મંજૂરી મેળવવા માટે લાંચ લેવાનો માત્ર આરોપ જ નહોતો પણ CBI દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી.
EDએ ચિદમ્બરમની પણ પૂછપરછ કરી હતી. આ જ કેસમાં ચિદમ્બરમના પુત્ર કાર્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.
આવક કરતા વધુ સંપત્તિ: ડીકે શિવકુમાર
3 સપ્ટેમ્બર 2019ના રોજ, EDએ કોંગ્રેસના નેતા અને કર્ણાટકના પૂર્વ મંત્રી ડીકે શિવકુમારની કરચોરી અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં ધરપકડ કરી હતી. અગાઉ તેની 2 દિવસ પૂછપરછ કરવામાં આવી હતી.
MSC બેંકઃ શરદ પવાર
EDએ NCP પ્રમુખ શરદ પવારને મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક એટલે કે MSCમાં 2,500 કરોડની લોન ફ્રોડના સંબંધમાં સમન્સ આપ્યું હતું અને કૌભાંડના પ્રમુખ ખેલાડી ગણાવ્યા હતા.
મની લોન્ડરિંગ: પ્રફુલ પટેલ
એનસીપીના અન્ય એક નેતા પ્રફુલ પટેલની અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી ઈકબાલ મિર્ચીની ગેરકાયદેસર સંપત્તિ સાથે જોડાયેલી મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં પૂછપરછ કરવામાં આવી હતી.
દલિત સ્મારક કૌભાંડ: માયાવતી
2017માં, યુપી વિધાનસભા ચૂંટણીના ત્રણ મહિના પહેલા, EDએ BSP સાથે જોડાયેલા ખાતામાં 104 કરોડ રૂપિયા અને પાર્ટીના વડા માયાવતીના ભાઈ આનંદ કુમારના ખાતામાં લગભગ 1.5 કરોડ રૂપિયા શોધી કાઢ્યા હતા.
નવેમ્બર 2019માં, EDએ 1400 કરોડ રૂપિયાના દલિત સ્મારક કૌભાંડના સંબંધમાં યુપીમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ મામલો માયાવતીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી સંબંધિત છે.
ગેરકાયદે ખનન કેસઃ અખિલેશ યાદવ
2019માં EDએ ગેરકાયદે ખનન કેસમાં UPના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યો હતો.
હવે જાણો કેવી રીતે મની લોન્ડરિંગ કાયદો એટલે કે PMLA વિપક્ષી નેતાઓ માટે ફાંસીનો ફંદો બની ગયો
પહેલા, ચાલો આપણે મની લોન્ડરિંગ સામે બનેલા પીએમએલએનો અર્થ સમજીએ. સામાન્ય માણસની ભાષામાં, તેનો અર્થ નંબર બે નંબરના પૈસાની હેરાફેરી કરીને નાણાંનો સંગ્રહ કરનારાઓ સામે કાયદો છે.
મજાની વાત એ છે કે અટલ સરકારે આ કાયદો 2002માં બનાવ્યો હતો, પરંતુ મનમોહન સિંહ સરકારના નાણામંત્રી પી. ચિદમ્બરમે 2005માં તેનો અમલ કર્યો હતો. હવે આ કાયદો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી નેતાઓ માટે ફાંસીનો ફંદો બની ગયો છે.
વિપક્ષી પાર્ટીઓના આક્ષેપ બાદ EDએ ડેટા જાહેર કર્યો
વિરોધ પક્ષોએ પ્રશ્નો ઉઠાવ્યા બાદ EDએ બુધવારે 31 જાન્યુઆરી, 2023 સુધી નોંધાયેલા કેસો અંગેનો ડેટા જાહેર કર્યો હતો. ED અનુસાર, PMLA કાયદો અમલમાં આવ્યો ત્યારથી 31 જાન્યુઆરી, 2023 સુધીમાં 5,906 કેસ નોંધાયા છે. તેમાંથી માત્ર 2.98% એટલે કે 176 કેસ ધારાસભ્યો, ભૂતપૂર્વ ધારાસભ્યો, એમએલસી, સાંસદો, ભૂતપૂર્વ સાંસદો વિરુદ્ધ નોંધાયા હતા.
આમાંથી 1,142 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જ્યારે 513 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી 25 કેસમાં ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. આરોપીઓને 24 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે એક કેસમાં નિર્દોષ છુટ્યા છે. ED અનુસાર, મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ 24 કેસોમાં 45 આરોપીઓ દોષિત ઠર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.