5 માર્ચ, 1966, આઈઝોલ, જે હવે મિઝોરમની રાજધાની છે. સવારે સાડા અગિયાર વાગ્યે 4 ફાઈટર વિમાનોએ શહેરને ચારે બાજુથી ઘેરી લીધું અને બોમ્બમારો શરૂ કરી દીધો. આ કોઈ દુશ્મન દેશનાં વિમાન ન હતાં, પરંતુ ભારતીય વાયુસેનાનાં હતાં. તે સમયે મિઝોરમ આસામનો ભાગ હતો અને તેને મિઝો હિલ્સ કહેવામાં આવતું હતું.
આ બોમ્બમારો 13 માર્ચ 1966 સુધી ચાલે છે. આજે આ બોમ્બ ધડાકાને 57 વર્ષ થઈ ગયાં છે. આજે અમે જણાવીશું કે ઈન્દિરા ગાંધીના આદેશ પર ભારતીય વાયુસેનાએ બોમ્બમારો કેમ કર્યો?
આ કહાની વર્ષ 1960માં શરૂ થાય છે. ત્યારે મિઝો હિલ્સ આસામ રાજ્યનો એક ભાગ હતો. તે જ વર્ષે, આસામ સરકારે આસામી ભાષાને સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી. એટલે કે જેઓ આસામી ભાષા નથી જાણતા તેઓને સરકારી નોકરી મળી શકે તેમ નહોતી.
મિઝો લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો. આ કારણોસર, 28 ફેબ્રુઆરી 1961ના રોજ, મિઝો નેશનલ ફ્રન્ટ એટલે કે MNFની રચના કરવામાં આવી, તેના નેતા લાલડેંગા હતા. શરૂઆતમાં, MNFએ ધરણાં દ્વારા શાંતિપૂર્ણ રીતે વાત કરી.
1964માં, આસામી ભાષાના અમલને કારણે, આસામ રેજિમેન્ટે તેની બીજી બટાલિયનને બરતરફ કરી. તેમાંથી મોટાભાગના મિઝો લોકો હતા.
આનાથી મિઝો હિલ્સના લોકો ગુસ્સે થયા અને શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા MNFએ હિંસાનો આશરો લીધો.
દરમિયાન, બટાલિયનમાંથી હાંકી કાઢવામાં આવેલા મિઝો MNFમાં જોડાયા. આ જ લોકોએ સાથે મળીને મિઝો નેશનલ આર્મીની રચના કરી.
પાકિસ્તાન અને ચીન મિઝો આતંકવાદીઓને ઉશ્કેર્યા
સરહદને કારણે મિઝો નેશનલ આર્મીને તત્કાલીન પૂર્વ પાકિસ્તાન અને આજના બાંગ્લાદેશથી પણ હથિયારોના રૂપમાં મદદ મળવા લાગી.
ચીન પણ આ ષડ્યંત્રમાં સામેલ હતું અને MNFને ગુપ્ત રીતે સમર્થન આપી રહ્યું હતું. જ્યારે સુરક્ષા દળોએ કડકાઈ બતાવી ત્યારે મિઝો આતંકવાદીઓ મ્યાનમાર અને પૂર્વ પાકિસ્તાનમાં છુપાઈ ગયા હતા.
સુરક્ષા દળોએ વર્ષ 1963માં રાજદ્રોહના આરોપમાં લાલડેંગાની ધરપકડ કરી હતી. લાલડેંગા પર કેસ ચલાવવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યા હતા. વર્ષ 1965માં પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો.
આ પ્રસંગે દબાણ લાવવા માટે MNFએ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને એક મેમોરેન્ડમ મોકલ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, 'મિઝો દેશ ભારત સાથે લાંબા ગાળાના અને શાંતિપૂર્ણ સંબંધો રાખશે કે પછી દુશ્મની રાખશે, તેનો નિર્ણય હવે ભારતના હાથમાં છે.'
ભારતીય સુરક્ષા દળોને મિઝોરમમાંથી બહાર કાઢવા 'ઓપરેશન જેરીકો' શરૂ
11 જાન્યુઆરી, 1966ના રોજ દેશના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું તાશ્કંદમાં અવસાન થયું હતું. શાસ્ત્રીના મૃત્યુને 11 દિવસ પણ નહોતા થયા કે 21 જાન્યુઆરીએ મિઝો નેશનલ ફ્રન્ટ એટલે કે MNF નેતા લાલડેંગાએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણોને પત્ર લખ્યો.
તેઓએ લખ્યું, 'અંગ્રેજોના સમયમાં પણ અમે આઝાદીની સ્થિતિમાં હતા. અહીં રાજકીય જાગૃતિમાંથી જન્મેલો રાષ્ટ્રવાદ હવે પરિપક્વ થયો છે. હવે અમારા લોકોની એક જ ઈચ્છા છે કે પોતાનો એક અલગ દેશ હોય.’
પત્ર લખ્યાના ત્રીજા દિવસે એટલે કે 24 જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધી દેશના વડાંપ્રધાન બન્યાં. ઇન્દિરા સામે એક અલગ પ્રકારનો પડકાર આવવાનો હતો.
ચાર દિવસ પછી જ, 28 ફેબ્રુઆરી 1966ના રોજ, મિઝો નેશનલ ફ્રન્ટના આતંકવાદીઓએ ભારતીય સુરક્ષા દળોને મિઝોરમમાંથી બહાર કાઢવા માટે 'ઓપરેશન જેરીકો' શરૂ કર્યું.
પહેલાં આઈઝોલ અને લુંગ્લાઈ ખાતે આસામ રાઈફલ્સ કેન્ટોનમેન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો.
સૈન્ય મથકો પર MNFનો કબજો, ભારતથી સ્વતંત્ર થવાની ઘોષણા કરી
બીજા દિવસે એટલે કે 29 ફેબ્રુઆરીએ, MNF એ ભારતથી સ્વતંત્રતા જાહેર કરી. મિઝો હિલ્સમાં તૈનાત સુરક્ષા દળો અચાનક ઓપરેશન જેરીકો માટે તૈયાર ન હતા.
થોડા સમયમાં, આતંકવાદીઓએ આઈઝોલમાં સરકારી તિજોરી સહિત અગત્યનાં પ્રતિષ્ઠાનો અને ચંફઈ અને લુંગલાઈ જિલ્લામાં આર્મી બેઝ પર કબજો કરી લીધો.
'મિઝોરમઃ ધ ડેગર બ્રિગેડ' પુસ્તકમાં નિર્મલ નિબેદન લખે છે કે MNF આતંકવાદીઓનું મુખ્ય જૂથ આસામ રાઈફલ્સના સ્થાન પર સતત ગોળીબાર કરી રહ્યું હતું, જેથી કોઈ બહાર ન નીકળી શકે. બીજી તરફ એક જૂથે સરકારી તિજોરીમાં તોડફોડ કરીને 18 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.
સરહદી શહેર ચંફઈમાં વન આસામ રાઈફલ્સની સ્થિતિ પર મધ્યરાત્રિએ થયેલો હુમલો એટલો ઝડપી હતો કે સૈનિકો પાસે તેમનાં શસ્ત્રો લોડ કરવાનો અને લુંગ્લાઈ અને આઈઝોલને જાણ કરવાનો સમય નહોતો.
આતંકવાદીઓએ તમામ હથિયારો લૂંટી લીધાં હતાં. જેમાં 6 લાઇટ મશીનગન, 70 રાઇફલ્સ, 16 સ્ટેન ગન અને 6 ગ્રેનેડ ફાયરિંગ રાઇફલ્સ સામેલ હતાં. જુનિયર કમિશન્ડ ઓફિસર સાથે 85 જવાનોને બંધક બનાવવામાં આવ્યા હતા.
કોઈક રીતે બે સૈનિકો અહીંથી ભાગવામાં સફળ થયા. આ 2 જવાનોએ હુમલાની જાણકારી આપી હતી. દરમિયાન, ટેલિફોન એક્સચેન્જને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું જેથી આઈઝોલથી ભારત સાથેનાં તમામ જોડાણો તોડી શકાય.
ભારતીય સેના હેલિકોપ્ટર દ્વારા સૈનિકો અને હથિયારોને ત્યાં પહોંચાડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ MNF તરફથી ફાયરિંગને કારણે તેઓ મદદ કરી શક્યા નહીં.
ઈન્દિરા ગાંધીએ એરફોર્સને જવાબી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો
આ પછી, MNF આસામ રાઇફલ્સના મુખ્યાલય પરથી તિરંગો ઉતારીને પોતાનો ધ્વજ ફરકાવે છે. બીજી તરફ દિલ્હીમાં થોડા દિવસ પહેલાં વડાંપ્રધાન બનેલાં ઈન્દિરા ગાંધી પણ આ ઘટનાથી હચમચી ગયાં અને સેનાને જવાબી કાર્યવાહી કરવાનો આદેશ આપે છે.
5 માર્ચ 1966ના રોજ એરફોર્સના 4 ફાઈટર પ્લેનને આઈઝોલમાં MNF આતંકવાદીઓ પર બોમ્બ વિસ્ફોટ કરવાની જવાબદારી આપવામાં આવી હતી. જેમાં ફ્રાન્સમાં બનેલાં 2 ફાઈટર એરક્રાફ્ટ, દૈસે ઓરેગોન અને 2 બ્રિટિશ હન્ટર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ દૈસે ઓરેગોન ભારતમાં તુફાની તરીકે ઓળખાય છે.
આસામના તેજપુર, કુમ્બીગ્રામ અને જોરહાટથી ઉડાન ભર્યા બાદ આ ફાઈટર જેટ્સે પહેલા આતંકવાદીઓ પર મશીનગનથી ફાયરિંગ કર્યું હતું. બીજા દિવસે આ લડાયક વિમાનોએ આગ લગાવતા બોમ્બનો વરસાદ કર્યો.
વાયુસેનાના લડાકુ વિમાનોએ આઈઝોલ અને અન્ય વિસ્તારોમાં 13 માર્ચ સુધી બોમ્બમારો કર્યો હતો. આ એરક્રાફ્ટના પાઇલટ્સમાં, બે વ્યક્તિઓ હતી જેમણે પાછળથી ભારતીય રાજકારણમાં નામના મેળવી હતી. એકનું નામ હતું રાજેશ પાઇલટ અને બીજાનું નામ સુરેશ કલમાડી.
બોમ્બમારોથી ગભરાઈને સ્થાનિક લોકોએ પહાડીઓમાં આશરો લીધો હતો. જ્યારે MNF આતંકવાદીઓ મ્યાનમાર અને પૂર્વ પાકિસ્તાનનાં જંગલોમાં છુપાયા હતા. બળવાખોરોને વિખેર્યા બાદ સેનાએ મિઝોરમ પર કબજો જમાવ્યો હતો.
વાયુસેનાના બોમ્બમારાથી ભારે વિનાશ સર્જાયો
આ ઘટનાને યાદ કરતાં થંગસાંગા, જેઓ મિઝો નેશનલ ફ્રન્ટના સભ્ય કહે છે - બોમ્બમારાથી અમે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અમારું નાનું શહેર અચાનક 4 ફાઈટર જેટથી ઘેરાઈ ગયું. અચાનક ગોળીઓનો વરસાદ શરૂ થયો અને બોમ્બ ફેંકવામાં આવ્યા. સળગતી ઇમારતો પડી ભાંગી અને સર્વત્ર ધૂળ અને અરાજકતા હતી.
કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આઈઝોલ શહેરમાં આગ લાગી હતી, પરંતુ સદનસીબે આ ઘટનામાં માત્ર 13 નાગરિકોનાં મોત થયાં હતાં. સરકાર અને સેનાએ એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે આઇઝોલમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો.
બોમ્બ ફેંકવા બદલ ઈન્દિરા ગાંધી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા
9 માર્ચ 1966ના રોજ, કોલકાતાના અખબાર હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડના એક અહેવાલમાં વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે લડવૈયાઓને એરડ્રોપ કરવા અને પુરવઠો પૂરો પાડવા માટે મોકલવામાં આવ્યા હતા, બોમ્બ ફેંકવા માટે નહીં, પરંતુ પ્રશ્ન એ હતો કે શું રાશન ફેંકવા માટે કોઈ ફાઈટર જેટ શા માટે મોકલે?
એરફોર્સ દ્વારા બોમ્બ ફેંકવાને લઈને ઈન્દિરા ગાંધી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પત્રકાર અને 'ધ પ્રિન્ટ'ના સંપાદક શેખર ગુપ્તાએ તેમના લેખ 'વોઝ ઈન્દિરા ગાંધી રાઈટ ટુ યુઝ એર પાવર અગેઈન્સ્ટ હર ઓન કન્ટ્રીમેન?'માં તેમને સંપૂર્ણ ક્લીનચીટ આપી હતી.
શેખર ગુપ્તાએ પોતાના લેખમાં લખ્યું છે કે તમારે તમારી જાતને ઈન્દિરા ગાંધીની જગ્યાએ મૂકવી જોઈએ. લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી તેમને સત્તામાં આવ્યાને માત્ર 6 અઠવાડિયા થયાં હતાં.
પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ કોઈ ચોક્કસ પરિણામ વિના સમાપ્ત થયાને થોડા મહિના જ થયા હતા.
દક્ષિણમાં દ્રવિડ ચળવળ વેગ પકડી રહી હતી, ચીન અને પાકિસ્તાનના ખુલ્લા સમર્થનથી નાગાલેન્ડમાં અલગતાવાદી દળોએ માથું ઊંચક્યું હતું. આવા સમયે લાલડેંગાએ પણ બળવાનો ઝંડો લહેરાવ્યો હતો.
મિઝોરમમાં બે દાયકાથી અશાંતિ હતી
દરમિયાન, કેન્દ્ર સરકારે બળવાને ડામવા માટે વધુ એક પગલું ભર્યું. જનરલ સામ માણેકશૉના નેતૃત્વમાં નવી યોજના બનાવવામાં આવી હતી. 1967માં, બોમ્બ ધડાકાના એક વર્ષ પછી, સરકાર દ્વારા એક યોજના અમલમાં મૂકવામાં આવી હતી, જેના હેઠળ ગામડાઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત પહાડોમાં રહેતા હજારો મિઝો લોકોને તેમનાં ગામડાઓમાંથી હટાવીને મુખ્ય માર્ગની બંને બાજુએ વસાવવામાં આવ્યા હતા, જેથી ભારતીય વહીવટીતંત્ર તેમના પર નજર રાખી શકે. મિઝોરમના કુલ 764 ગામોમાંથી 516 ગામોના રહેવાસીઓને તેમના સ્થાનેથી હટાવવામાં આવ્યા હતા.
માત્ર 138 ગામોનું રૂપાંતર થયું નહીં. બોમ્બ ધડાકાઓએ તે સમયે મિઝો વિદ્રોહને કચડી નાખ્યો હશે, પરંતુ મિઝોરમ આગામી બે દાયકા સુધી અશાંતિમાં રહ્યું.
રાજીવ ગાંધી સરકારે મિઝોરમને નવું રાજ્ય બનાવ્યું
30 જૂન 1986ના રોજ કેન્દ્ર સરકાર અને MNF વચ્ચે ઐતિહાસિક મિઝો પીસ એકોર્ડ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેને રાજીવ ગાંધી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિઓમાંની એક ગણવામાં આવે છે. મિઝોરમ 1987માં અલગ રાજ્ય બન્યું. તે જ વર્ષે મિઝોરમમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ અને લાલડેંગા મિઝોરમના પ્રથમ મુખ્યમંત્રી બન્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.