છ એક મહિના પહેલાનો આ કિસ્સો સત્ય ઘટના પર આધારિત છે.....બીકોઝ.....કારણ કે....
એક દાયકાની સરયામ નિષ્ફળતા અને નિરાશા બાદ જ્યારે એક બિઝનેસમેન હારી-થાકી અને કંટાળી પોતાનું વીલું મોઢું લઈ મારી પાસે આવ્યા ત્યારે લાગ્યું કે હવે જો આ ભાઈ અહીંથી નિરાશ થશે તો જ્યોતિષશાસ્ત્ર બુઠું શસ્ત્ર અને અધુરું શાસ્ત્ર છે તેવી માન્યતા તેમના મનમાં કાયમી ઘર કરી જશે. આ ભાઈ ગમે એટલા સારા મુહૂર્ત કઢાવી કામ કરે પણ કુદરત તો દરેક કામમાંથી તેમનું નસીબનું પાનું કાઢી કચરા પેટીમાં નાખી દે. આવેલા આંગતુક વેપારી ભાઈની કુંડળીના અભ્યાસ દ્વારા મેં અમારા નવા સંશોધનનો અમલ કર્યો. મેં તેમના જન્માંક અને મુલાંકના આધારે નક્ષત્ર નક્કી કર્યા અને આવનારા છ મહિના દરમિયાન આપેલા નક્ષત્રો કઈ કઈ તારીખે આવે છે તેનું લિસ્ટ આપ્યું. મારા આપેલા નક્ષત્રો અને તારીખ મુજબ નિષ્ફળ બિઝનેસમેને પોતાની નવી ઇનિંગ શરૂ કરી અને આજે સફળતાની ટીમના તેઓ ઓપનિંગ બેટ્સમેન છે. આવો આજે આપણે સમજીએ કે આ વેપારી બંધુ નિષ્ફળતાથી સફળતા તરફ કેવી રીતે આગળ વધ્યા?
(ડો.પંકજ નાગર જ્યોતિષ નક્ષત્ર પદ્ધતિ માં કાશી બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય દ્વારા PhD ની ડીગ્રી પ્રાપ્ત કરેલી છે અને અંકશાસ્ત્ર ક્ષેત્રે હિબ્રુ સીસ્ટમમાં માસ્ટર ઇન ન્યુમેરોની ડીગ્રી ધરાવે છે.)
સર્વ પ્રથમ અમે તેમની તારીખનું અંકશાસ્ત્ર મુજબ મૂલ્યાંકન કર્યું. તેમનો જન્મ 03-૦4-1975ના રોજ થયેલો. તેમની જન્મ તારીખ 3નો અંક અંકશાસ્ત્ર મુજબ ગુરુની અસર હેઠળ આવે અને જો આખી તારીખનો સરવાળો કરવામાં આવે તો તેનું ટોટલ 29 થાય 29 એટલે 2+9=11=2 થાય. અંક 2 અંકશાસ્ત્ર મુજબ ચંદ્ર ગ્રહની અસર હેઠળ આવે. આમ અંકશાસ્ત્રની સહાયથી નક્કી થઈ ગયું કે આ વેપારી ભાઈને કાંતો 3(ગુરુ) અગર 2(ચંદ્ર)ના અંકના સ્વામી ગ્રહોના નક્ષત્ર તેમનાજીવનમાં નવો રંગ લાવી શકે. જ્યોતિષશાસ્ત્ર મુજબ પુનર્વસુ-વિશાખા અને પૂ.ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી ગ્રહ ગુરુ છે અને રોહિણી-હસ્ત અને શ્રવણ નક્ષત્રનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. અહી જણાવેલા 6 નક્ષત્ર આવનારા છ મહિના દરમિયાન ક્યારે ક્યારે આવે છે તેની સચોટ તારીખ અમે તેમને આપી દીધી અને તે તારીખઅનુસાર તેઓ આગળ વધ્યા અને આશ્ચર્યની વાત એ છે કે આપણાં આ બિઝનેસમેન બસ હવે આગળ જ વધતા જાય છે. સફળતા તો હવે તેમના કોઠે એવીપડી ગઈ છે કે પાછળ જોવાનો હવે તેમની પાસે સમય જ નથી. અંક અને નક્ષત્રના સમન્વયથી તેઓ આજે સફળતાના શિખરે છે.
ધારો કે તમારી જન્મ તારીખનું ટોટલ 3 થતું હોય જેમ કે તમારો જન્મ કોઈ પણ મહિનાની 3-12-21 અગર 30 તારીખે થયો હોય તો તમે આપોઆપ અંક 3 અર્થાત ગુરુ નામના ગ્રહની અસર હેઠળ આવો છો. જો તમારી પૂર્ણ જન્મ તારીખનું ટોટલ 3 થતું હોય તો પણ તમે ગુરુ ગ્રહની અસર હેઠળ આવો છો તે વાતનક્કી છે. ગુરુ ગ્રહ વિદ્ધવતા, વિસ્તૃતિકરણ, તંદુરસ્તી, અભ્યાસ, ધન, ધર્મ, જ્ઞાન, શિક્ષણ, સમાજ-સમજ, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલો ગ્રહ છે. ગુરુ ઉપર જણાવ્યા મુજબ પુનર્વસુ, વિશાખા અને પૂ.ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી છે. હવે અહીં આપણે એક સરસ વાત કરીએ કે જ્યાં સફળતાનું આસમાન અને અવકાશ છે. ધારો કે તમારું સંતાન અભ્યાસમાં નબળું છે અને તેનો જન્મ અંક 3 છે તો તમે તમારા સંતાનને પુનર્વસુ નક્ષત્રમાં અભ્યાસ શરૂ કરાવો પછી જુઓ સફળતાનો કમાલ. આ ઉપરાંત તમારા કુટુંબમાં જો કોઈ સતત બીમાર રહેતું હોય અને તેનો જન્માંક કે જન્મ તારીખ અંક 3 ની અસર હેઠળ હોય તો તમે તેની વૈદકીયસારવાર પુનર્વસુ નક્ષત્રમાં શરૂ કરો. દર્દી પુન: દુરસ્ત-તંદુરસ્ત થઈ જશે. કારણ કે ગુરુના પુનર્વસુ નક્ષત્રમાં નવ સર્જનની ગજબની તાકાત છે. હવે અંક 3 અને વિશાખા તેમજ પૂ.ભાદ્રપદ નક્ષત્રની વાત કરીએ.
જો તમે યુવાન હોવ અને નાટક કે ફિલ્મ સાથે જોડાયેલા હોવ ઉપરાંત તમે અંક 3 ની અસર હેઠળ આવતા હોવ તો તમે વિશાખા નક્ષત્રનો ઉપયોગ કરો કારણ કે નક્ષત્રનો સ્વામી ગુરુ છે અને વિશાખા નક્ષત્ર તુલા રાશિમાં આવે એટલે કે શુક્રની રાશિમાં આવે. શુક્ર એટલે જ ટીવી-નાટક અને ફિલ્મની સફળતા. તમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે પ્રસિદ્ધ ફિલ્મ પ્રોડૂસર સ્વ.યશ ચોપરા પોતાની દરેક ફિલ્મનો મુહૂર્ત શૉટ વિશાખા નક્ષત્રમાં લેતા હતા અને પોતે અંકશાસ્ત્ર મુજબ અંક 3ની અસર હેઠળ હતા. સ્વ. યશ ચોપરાની યશસ્વી સફળતાથી તો ભાગ્યે જ કોઈ અજાણ હોય? દરેક નક્ષત્રનો એક આગવો પ્રભાવ અને અસર હોય છે. તમારી મુશ્કેલીઓના સાવે કાટ ખાઈ ગયેલા અને કદી પણ નહીં ખોલનારા તાળા પણ નક્ષત્ર અને અંકના સમન્વયની ચાવીથી સફળતાપૂર્વક ખૂલે છે.
અમે જોયું છે કે તુલા રાશિ હોય અને વિશાખા નક્ષત્ર હોય તેવા જાતકોને સફળતા સાક્ષાત હોય છે. જેમ કે રાજકપુર, રાજકુમાર, રાજીવ ગાંધી, રાજેશ ખન્ના અને આવા તો અસંખ્ય જાતકો કે સફળતા તેમના ચરણ અને શરણમાં હોય. આ બધા જાતકો ક્યાંક ને ક્યાંક અંક 3 ની અસર હેઠળ તો હતા જ ઉપરાંત વિશાખા નક્ષત્રમાં જન્મ હોય હોય એટલે ગુરુ ગ્રહના શુભત્વનો લાભ મળે અને પાછી તુલા રાશિ એટલે “સફલતાકા ડબલ ધમાકા”
આથી જ અમે કહીએ છીએ કે નક્ષત્ર એટલે સફળતાનું છત્ર અને ભાગ્યનો પત્ર અને જ્યારે તેમાં અંકનો રંગ ભળે એટલે સફળતા આપોઆપ મળે.
(અંક અને નક્ષત્રના સમન્વયનો આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.