સર્વત્ર સુખિન: સન્તુ, સર્વે સન્તુ નિરામયા: સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુ:ખમાપ્નુંયાતII અર્થાત્ અત્ર સ્થાને સૌ સુખી થાઓ, સર્વ નિરોગી રહો, સર્વ લોકોનું ભદ્ર થાઓ અને કોઈ પણ દુઃખી ન થાય
અંકશાસ્ત્રના અહીં આપેલાં લેખનો આશય પણ તમને નિરોગી અને સર્વ સુખ પ્રદાન કરવાનો છે. અંકનો જાદુ બૂંદિયાળને બાદશાહ બનાવી શકે છે અને નાદુરસ્ત ભવિષ્યને તંદુરસ્ત બનાવે છે. અંકશાસ્ત્રના આંકડા માનવ જીવન પર અદભૂત અસરો ધરાવે છે. સમગ્ર માનવ જીવન દિવસ રાત અંકના ઉપયોગથી ધબકે છે જાણે કે અંક એ માનવ શરીરનું હૃદય હોય. તમે વિચારો કે સમય જોવાનો હોય કે રૂપિયા ગણવાના હોય દરેક જગ્યાએ અંકશાસ્ત્રનો એકાદ આંકડો તો શાશ્વત બનીને ઊભો જ હશે. અંક એ દૈનિક જીવનનું અનિવાર્ય અંગ છે. તમે તમારા ભૂતકાળમાં ડોકિયું કરશો તો તમને ખ્યાલ આવશે કે અમુક ચોક્કસ અંકે તમારા જીવનમાં અસંખ્ય દુર્લભ કામ કર્યા હશે. જન્મથી મૃત્યુ સુધી અંક તમારી સાથે પડછાયાની જેમ રહે છે. જીવનકાળ દરમિયાન દરેક જીવ પોતાની શરૂઆત એકડ એકથી કરે છે. અને એકડ એકો એટલે અંક 1 અને અંક 1 એટલે અંકશાસ્ત્રમાં સૂર્ય. કારણ કે અંકશાસ્ત્રમાં અંક 1નું પ્રતિનિધત્વ અને માલિકીપણું ગ્રહોના રાજા સૂર્યનું છે. બ્રહ્માણ્ડમાં તમામ ગ્રહો સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. સૂર્ય એટલે સમગ્ર જગતનું તેજ-પ્રકાશ, સૂર્ય એટલે જગતની રાત અને દિવસ. સૂર્ય એટલે જગતનો તાત અને પિતા. સમગ્ર સૃષ્ટિનું સંચાલન સૂર્ય વડે થાય છે. જીવસૃષ્ટિનો પ્રાણ અને પ્રાણવાયુ માત્ર અને માત્ર સૂર્યને આભારી છે અને તમામે તમામ ગુણ અંક 1 ની અંદર ઠોંસી ઠોંસીને ભરેલા છે.
નંબર 1 તમામ અંકનો ઈશ્વર છે કારણ કે બાકીના તમામ અંકની શરૂઆત અંક 1થી થાય છે. અંક 1માં નવસર્જનની શક્તિ, શાસન-સિહાંસન અને નેતૃત્વની તાકાત છે. આવા જાતકોમાં અદભૂત એનર્જી અને કુશળ વહીવટી કાર્યક્ષમતા હોય છે. આવા વ્યક્તિઓ સફળ બિઝનેસમેન, તબીબ અગર મોટા બિલ્ડર્સ કે રાજકારણી હોય છે. બુદ્ધિચાતુર્ય, તેજ, તંદુરસ્તી, પ્રતિષ્ઠા, પ્રતિભા તેમના લોહીમાં હોય છે. અંક 1ની અસર હેઠળ આવતા જાતકો પબ્લિક ફિગર હોય છે. અંક 1ના જાતકો જો સૂર્ય ઉપાસના કરે તો તેમનું જીવન શ્રેષ્ઠ બની જાય છે. અંક માનવીના જીવનમાં જીવ પુરે છે અને અંક રૂઠે તો જીવન વન જેવુ બની જાય છે. અંક 1ની વાત કરી હવે અન્ય અંકની વાત કરીએ એવા કેટલાક અંક એવા હોય છે કે જે જીવનમાં વારંવાર ચડતી પડતીનો એહસાસ કરાવે છે.
( ડો.પંકજ નાગર અંકશાસ્ત્રમાં હિબ્રુ માસ્ટરની ડીગ્રી ધરાવે છે અને ડો.રોહન નાગર લંડન ખાતે આયુર્વેદમાં નાઈન જેવેલ ઓફ યુકેના અવોર્ડ વિનર છે)
વિશેષ રૂપે અંક 4 અને અંક 8 માનવીના જીવનમાં નકારાત્મક રોલ ભજવે છે તેનો મોટો પુરાવો ઈ.સ. 2020ની સાલ છે કે જ્યાં 2020 અર્થાત્ તેનો સરવાળો 4 થાય ફળ સ્વરૂપ કોરોનાના કાળ મુખા દાનવે રાહુના સહારે સમગ્ર પૃથ્વી પર હાહાકાર મચાવ્યો. અલબત્ત દરેકે દરેક કેસમાં આવું ના હોય તો પણ મોટા ભાગના કેસ અમારા અવલોકનમાં એવા આવ્યા છે કે જ્યાં અંક 4 અને 8નું પ્રાધાન્ય હોય તેવા જાતકો અન્ય લોકો કરતાં જીવનમાં વધુ સંઘર્ષ કરી સિદ્ધિનો સ્વાદ માણતા હોય છે તેનું મુળ કારણ અંકશાસ્ત્ર અનુસાર અંક 4 રાહુ અને અંક 8 શનિની અસર હેઠળ આવે છે. ઉદાહરણ સ્વરૂપે વિચારીએ તો એવરેસ્ટ સર કરનારા શેરપા તેનસિંગ અને ચંદ્ર પર પ્રથમ ચરણ સ્પર્શ કરનારા નીલ આર્મ સ્ટ્રોંગ અંકશાસ્ત્રની દૃષ્ટિએ અંક 4 ની અસર હેઠળ હતાં. અહીં રાહુનો અંક 4 આ બંનેને અમરત્વ બક્ષી ગયો. હવે અંક 3 અને 7 ની યશગાથા ગાઈએ તો ગત વર્ષોમાં રીલીઝ થયેલી અતિ સફળ ફિલ્મો સીમ્બા, બાહુબલી અંક 3 ની અસર હેઠળ બજરંગી ભાઇજાન અંક 7 ની અસર હેઠળ અને રૂસ્તમ, ઉરી જેવી ફિલ્મો અંક 3 ની અસર હેઠળ કરોડોની ક્લબમાં પ્રવેશી તે સત્યથી આપણે અજાણ નથી તો બીજી તરફ પંકજ ત્રિપાઠી ડાર્ક હોર્સની જેમ અંક 7 ની અસર હેઠળ ઉપરાઉપરી સફળ વેબ સીરીઝ અને ફિલ્મોની હારમાળા સર્જી સફળતાની વરમાળા પહેરી ગયો. કારણ કે અંક 3 પર ગુરુ ગ્રહની સીધી અસર છે અને ગુરુ ગ્રહ વિસ્તૃતિકરણ તેમજ ધનનો કારક ગ્રહ છે તે જ પ્રમાણે અંક 7 પર નેપચ્યૂન ગ્રહની અસર છે અને નેપચ્યૂન ગ્રહમાં તમારા સ્વપ્નોને સિદ્ધ કરવાની તાકાત છે.
કેટલાય કિસ્સા એવા ધ્યાનમાં આવ્યા છે કે જે લોકોએ પોતાના નામના સ્પેલિંગમાં અંગ્રેજી આલ્ફાબેટ "C" કે "S" મુક્યા હોય તેવા જાતકો નિષ્ફળતાથી સફળતા તરફ આગળ વધ્યા હોય છે. એક ભાઈની વાત કરીએ વ્યવસાયમાં સરયામ નિષ્ફળ હતાં પરંતુ તેઓએ તેમના નામના સ્પેલિંગમાં વધારાનો "S" મુક્યો અને આજે તેઓ પ્રસિદ્ધિના શિખરે બિરાજમાન છે. જો તમે હિબ્રુ સીસ્ટમ અનુસરો અને તમારા નામના સ્પેલિંગમાં ખાસ કરીને ગુરુના આલ્ફાબેટ C- G- L- S બુધના આલ્ફાબેટ E-H-N-X અગર શુક્રના આલ્ફાબેટ U-V-W કે નેપ્ચ્યુનના O-Z (આલ્ફાબેટ)નો ઉપયોગ કરો તો તમને અંકશાસ્ત્રની સફળતા માટે અકબંધ ખાતરી છે. અલબત્ત નામના સ્પેલિંગમાં ફેરફાર કરો ત્યારે તમારી પાસે અંકશાસ્ત્રની પદ્ધતિઓનું પૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. જો નામમાં ભૂલથી પણ ક્રૂર ગ્રહોના અંકનો સમાવેશ થાય તો જીવન પણ કઠીન બની જતું હોય છે. સફળતા માટે ક્યા અંક અને કયા આલ્ફાબેટની જરૂર છે તે બાબતનો આધાર જ્ઞાન અને વિદ્વતા પર છે. આજકાલ અંકનો પ્રભાવ ફિલ્મ ક્ષેત્રે, મોટા મોટા ઔધોકિક એકમો અને વ્યક્તિગત સફળતા મેળવવામાં જોવા મળે છે. અંક તમારા જીવન, વ્યવસાય અને ધંધામાં રંગ લાવે છે તે વાત સુનિશ્ચિત અને સટીક છે. પરંતુ તેનો ઉપયોગ અતિ વિવેકથી કરવો પણ જરૂરી છે.
એવા કેટલાય કિસ્સા છે કે જે અંકના દુરૂપયોગના કારણે આજીવન દુઃખ ભોગવતા હોય અને સમગ્ર જીવન ફરિયાદ કરતા હોય. જેટલું મહત્ત્વ ગ્રહોનું અને કુંડળીનું છે તેટલું જ મહત્ત્વ ગ્રહો સાથે જોડાયેલાં અંકોનું છે. કારણ કે અંક જો તમને રાજા બનાવે તો ક્યારેક દુરુપયોગ દ્વારા રંક પણ બનાવે છે.
વાચકમિત્રો, આંકડો ક્યારે ફાંકડો બની જાય તેનું નામ જ અંકશાસ્ત્રની બલિહારી. ક્યારેક અંકશાસ્ત્રને આપને બંક ગણી તેની હાંસી ઉડાવી તેનો અદભૂત સહારો લેવાનું ચૂકી જતા હોઈએ છીએ ત્યારે સાથે સાથે આપણે આપણાં ભાગ્યને પણ ચૂકી જતા હોઈએ છીએ. મિત્રો જીવનને જંક (કાટ)લાગી જાય એ પહેલા અંકનો સહારો એક વાર તો અવશ્ય લેવો જ જોઈએ. ક્યારેક ક્યારેક કુંડળીની સફળતાનું રહસ્ય અંકશાસ્ત્રમાં છુપાયેલું હોય છે તે વાતથી આપને અજાણ હોઈએ છીએ.
આજની ટીપ
{પ્લેઇંગ કાર્ડ અને અંક શાસ્ત્રનો સમન્વય કરો ત્યારે તેના પરિણામ અદભૂત હોય છે. અમારા અનુભવ પ્રમાણે જે જાતકો પોતાના શર્ટના ખિસ્સામાં ચટાઈનો બાદશાહ અને લાલનો એક્કો રાખે તેઓના અધૂરા કાર્ય 1૦૦ દિવસમાં પૂર્ણ થાય છે }
(બંને લેખકોએ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કરેલ છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.