આજે વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. જેને મોહિની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા અને વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. ધર્મ ગ્રંથો પ્રમાણે દેવતા અને રાક્ષસોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. જ્યારે આ મંથનમાંથી અમૃત બહાર આવ્યું ત્યારે તેને મેળવવા માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ આ તિથિએ મોહિની રૂપમાં અવતાર લીધો અને દેવતાઓને અમૃત આપ્યું હતું.
પુરીના જ્યોતિષાચાર્ય અને ધર્મગ્રંથોના જાણકાર ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ દિવસે કરવામાં આવેલ પૂજાપાઠથી બધી જ પરેશાનીઓ દૂર થઈ શકે છે. બધા જ પ્રકારના મોહ દૂર થાય છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિએ સવારે જલ્દી જાગવું જોઈએ અને સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું જોઈએ. ભગવાન વિષ્ણુ સામે વ્રતનો સંકલ્પ લો, પછી આખો દિવસ કશું જ ખાધા વિના રહેવું જોઈએ. એવુ ન કરી શકો તો ફળાહાર કરી શકો છો.
પૂજા અને વ્રત સાથે દાન કરવાની પરંપરાઃ-
આ વ્રત દરમિયાન સવાર-સાંજ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઈએ. આ એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા, વ્રત અને દાન કરવાની પરંપરા છે. આવું કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે. આ દિવસે નિયમ અને સંયમથી રહેવું જોઈએ. આ વ્રતનું પૂર્ણ ફળ મેળવવા માટે થોડી ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
એકાદશીના દિવસે શું કરવું નહીંઃ-
એકાદશી વ્રત રાખનાર વ્યક્તિએ ગુસ્સો કરવો જોઈએ નહીં. ઘરમાં કે બહાર કોઈપણ પ્રકારના ઝઘડા અને ક્લેશ કરવાથી બચવું જોઈએ. નહીંતર વ્રતનું ફળ મળી શકતું નથી. સવારે મોડે સુધી સૂવું જોઈએ નહીં. કોઈપણ પ્રકારનો નશો ન કરો. વ્રત કરનાર વ્યક્તિએ ખોટું બોલવું અને ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ.
આ એકાદશીના દિવસે શું કરવું જોઈએઃ-
એકાદશીએ સવારે તુલસીને જળ ચઢાવવું અને સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવી તુલસી માતાની પરિક્રમા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર અને તુલસીની માળા ચઢાવો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.