આજથી જેઠ માસ શરૂ:31મીએ વર્ષની સૌથી મોટી નિર્જલા એકાદશી; 4 જૂને કબીર જયંતી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજથી જેઠ મહિનાથી શરૂઆત થઇ છે. આ મહિનો આપણને પાણી બચાવવાનો સંદેશ આપે છે, કારણ કે આ દિવસોમાં ગરમી ખૂબ જ હોય છે. પાણીના મોટાભાગના સ્રોતો (નદીઓ, તળાવ, કૂવા વગેરે) સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે પાણીના દરેક ટીપાંને બચાવવા જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર જેઠ માસ આપણને પાણીનું મહત્ત્વ સમજાવે છે. ગંગા દશેરા અને નિર્જલા એકાદશી પણ આ માસમાં જ આવે છે.

જેઠ સુદ ત્રીજ 22 મેના રોજ છે, તેને 'રંભાતીજ' કહેવામાં આવે છે. આ તિથિ પર મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે. તેઓ શિવ-પાર્વતીની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે અપ્સરા રંભાએ પણ આ વ્રત રાખ્યું હતું. આથી આ તિથિને રંભાતીજ કહેવામાં આવે છે.

અંગારક વિનાયકી ચતુર્થી 23 મેના રોજ છે. જ્યારે ચતુર્થી મંગળવારે આવે છે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. આ તિથિએ મહિલાઓ ભગવાન ગણેશનું વ્રત કરે છે.

25મી મેથી નવતપ શરૂ થઈ રહ્યો છે, જે 3જી જૂન સુધી ચાલશે. નવતપમાં સૂર્ય તેની પૂર્ણ અસરમાં છે, ગરમી વધુ રહે છે. આવી સ્થિતિમાં આપણે આપણા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ખાવા-પીવામાં એવી વસ્તુઓનું સેવન કરો, જેનાથી શરીરને ઠંડક મળે. એવા કપડાં પહેરો કે જેનાથી તમને વધારે ગરમી ન લાગે. સીધા સૂર્યપ્રકાશમાં લાંબા સમય સુધી ઊભા ન રહો.

ગંગા દશેરા 30 મેના રોજ છે. આ દિવસે ગંગાનદીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ભક્તો ગંગા નદીમાં સ્નાન કરે છે અને સ્નાન કર્યા પછી નદીના કિનારે દાન કરે છે.

વર્ષની સૌથી મોટી એકાદશી 31મી મેના રોજ 'નિર્જલા એકાદશી' છે. આ એકાદશીનું મહત્ત્વ સૌથી વધુ છે. એવું માનવામાં આવે છે કે આ એક દિવસનું વ્રત રાખવાથી વ્યક્તિને વર્ષની તમામ એકાદશીઓ પર ઉપવાસ કરવાથી જે પુણ્ય મળે છે તેટલું જ પુણ્ય મળે છે. નિર્જલા એકાદશી પાણી વિના કરવામાં આવે છે. ઉપવાસ કરનારા લોકો આખો દિવસ પાણી પીતા નથી. ઉનાળામાં આવા વ્રતનું પાલન કરવું એ તપસ્યા સમાન છે.

નવતપ 3 જૂને પૂર્ણ થશે. આ દિવસે પૂર્ણિમાના વ્રત રાખવામાં આવશે. આ મહિને પૂર્ણિમા બે દિવસ રહેશે. 4 જૂને પૂર્ણિમા હોવાથી આ દિવસે નદીસ્નાન અને દાન કરવામાં આવશે. સંત કબીરની જન્મજયંતિ 4 જૂને ઉજવવામાં આવશે.