રવિવાર, 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય ગ્રહ જ્યારે એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય લગભગ એક મહિના સુધી એક રાશિમાં રહે છે. રવિવારે સૂર્ય કુંભ રાશિમાં જશે, એટલે કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ધર્મ-કર્મ માટે સંક્રાંતિનું મહત્ત્વ ઘણું વધારે છે. રવિવારે સંક્રાંતિ હોવાથી સૂર્ય પૂજાનો ખાસ યોગ બની રહ્યો છે. સંક્રાંતિ અને રવિવાર બંને જ સૂર્યદેવને સંબંધિત છે. સંક્રાંતિએ પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને તીર્થ દર્શન કરવા જોઈએ.
જો કોઈ નદીમાં સ્નાન કરવા જઈ શકો નહીં તો ઘરના પાણીમાં જ થોડું ગંગાજળ મિક્સ કરો અને નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરો. સ્નાન કર્યા પછી સૂર્યદેવને તાંબાના લોટાથી જળ ચઢાવો. તેના માટે લોટામાં જળ સાથે જ ફૂલ અને ચોખા પણ રાખો. સૂર્યને જળ ચઢાવતી સમયે સૂર્યદેવના નરી આંખે દર્શન કરવા નહીં. લોટામાંથી જળની વહેતી ધારામાંથી દર્શન કરવા જોઈએ. અર્ઘ્ય આપતી સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો કે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.
સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી ઘરના મંદિરમાં વિધિવત પૂજા કરો. પૂજા કર્યા પછી ઘરની આસપાસ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. શક્ય હોય તો બૂટ-ચપ્પલ અને કપડાનું દાન પણ કરો. કોઈ મંદિરમાં પૂજા સામગ્રી ભેટ કરો. ગૌશાળામાં લીલું ઘાસ અને ગાયની દેખરેખ માટે આર્થિક મદદ કરો. પોતાના શહેર કે આસપાસના શહેરના પૌરાણિક મહત્ત્વ ધરાવતા મંદિરમાં દર્શન અને પૂજા કરો.
આ દિવસ સૂર્યગ્રહ સાથે સંબંધ ધરાવે છે. આ દિવસે સૂર્ય ગ્રહને લગતી વસ્તુઓ જેમ કે, ગોળ અને તાંબાના વાસણનું દાન પણ કરો. આવું કરવાથી કુંડળીના સૂર્ય સાથે જોડાયેલાં દોષ શાંત થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.