સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવામાં આવે છે. આ વર્ષે આ સંયોગ 14 ડિસેમ્બરના રોજ બની રહ્યો છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે સોમવતી અમાસનો સંયોગ વર્ષમાં 2 અથવા 3 વાર પણ બની જાય છે. આ અમાસને હિંદુ ધર્મમાં પર્વ કહેવામાં આવે છે. આ દિવસે પરણિતા સ્ત્રીઓ દ્વારા તેમના પતિના લાંબા આયુષ્યની કામનાથી વ્રત કરવામાં આવે છે. આ દિવસે મૌન વ્રત રહીને હજારો ગાયોના દાન કરવાનું ફળ મળે છે. પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે સોમવતી અમાસના દિવસે તીર્થ સ્થાનોમાં જઇને પવિત્ર નદીઓના જળથી સ્નાન કરવાની પરંપરા છે. પરંતુ મહામારીના કારણે ઘરના જ પાણીમાં ગંગાજળ કે અન્ય પવિત્ર નદીઓનું પાણી મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. આવું કરવાથી પણ તીર્થ સ્નાન જેટલું પુણ્ય મળે છે.
આ વર્ષે 3 તો આવતાં વર્ષે માત્ર 2 જ સોમવતી અમાસ આવશેઃ-
14 ડિસેમ્બરના રોજ વર્ષની છેલ્લી અમાસ છે. આ દિવસે સોમવાર હોવાથી સોમવતી અમાસનો સંયોગ બની રહ્યો છે. 2020માં 3 સોમવતી અમાસ હતી. આ પહેલાં 20 જુલાઈ અને 23 માર્ચે સોમવતી અમાસનો સંયોગ બન્યો હતો. હવે આવતાં વર્ષે 12 એપ્રિલના રોજ આ સંયોગ બનશે. આ 2021ની પહેલી સોમવતી અમાસ રહેશે અને તે પછી 6 સપ્ટેમ્બરના રોજ વર્ષ 2021ની છેલ્લી સોમવતી અમાસ રહેશે.
મહાભારતમાં તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છેઃ-
પં. મિશ્રના જણાવ્યા પ્રમાણે મહાભારતમાં ભીષ્મએ યુધિષ્ઠિરને આ દિવસનું મહત્ત્વ સમજાવીને કહ્યું હતું કે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરનાર વ્યક્તિ સમૃદ્ધ, સ્વસ્થ અને બધા દુઃખોથી મુક્ત થઇ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે સ્નાન કરવાથી પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે.
સોમવતી અમાસના દિવસે પીપળાની પૂજાઃ-
પીપળાના વૃક્ષમાં પિતૃઓ અને બધા દેવતાઓનો વાસ હોય છે. એટલે સોમવતી અમાસના દિવસે જેઓ દૂધમાં પાણી અને કાળા તલ મિક્સ કરીને સવારે પીપળાને ચઢાવે છે. તેમને પિતૃદોષથી મુક્તિ મળી જાય છે. તે પછી પીપળાની પૂજા અને પરિક્રમા કરવાથી બધા દેવતાઓ પ્રસન્ન થાય છે. આવું કરવાથી દરેક પ્રકારના પાપ પણ દૂર થઇ જાય છે. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પીપળાની પરિક્રમા કરવાથી મહિલાઓનું સૌભાગ્ય વધે છે. એટલે શાસ્ત્રોમાં તેને અશ્વત્થ પ્રદક્ષિણા વ્રત પણ કહેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.