એપ્રિલ 2022માં પહેલું સૂર્યગ્રહણ થશે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના કારણે અહીં ગ્રહણને લગતી ધાર્મિક માન્યતા રહેશે નહીં, કોઈ સૂતક લાગશે નહીં. 30 એપ્રિલ અને 1 મેની મધ્ય રાતે ગ્રહણ થશે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, દક્ષિણ પ્રશાંત મહાસાગર વગેરે જગ્યાએ જોવા મળશે. ભારતના કોઈપણ ક્ષેત્રમાં આ ગ્રહણ જોવા મળશે નહીં.
શનિવાર, 30 એપ્રિલના રોજ શનિશ્વરી અમાસ પણ રહેશે. આ દિવસે અમાસને લગતા શુભ કામ કરવામાં આવશે. અમાસના દિવસે પવિત્ર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાનું ખાસ મહત્ત્વ છે. 30 એપ્રિલની રાતે ભારતીય સમય પ્રમાણે ગ્રહણ રાતે 12.15 કલાકે શરૂ થશે. આ ગ્રહણનો મોક્ષ 1 મેના રોજ સવારે 4.08 કલાકે થશે.
શનિશ્વરી અમાસ કોને કહેવાય છે?
30 એપ્રિલના રોજ સ્નાન, દાન અને શ્રાદ્ધની અમાસ રહેશે. શનિવારે અમાસ હોવાથી તેને શનિશ્વરી અમાસ કહેવામાં આવે છે. શનિવારે અમાસ હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે. અમાવસ્યામાં અમાનો અર્થ નજીક અને વસ્યાનો અર્થ રહેવું થાય છે. જેનો શાબ્દિક અર્થ નજીક રહેવું થાય છે. આ દિવસે ચંદ્ર જોવા મળતો નથી. આ તિથિના સ્વામી પિતૃઓ હોય છે. એટલે અમાસના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે શુભ કામ કરવામાં આવે છે. માન્યતા છે કે પિતૃઓનો નિવાસ ચંદ્ર ગ્રહ ઉપર હોય છે. આ દિવસે પિતૃઓનું નામ લઈને પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે.
સમુદ્ર મંથન સાથે ગ્રહણની ધાર્મિક માન્યતા જોડાયેલી છે
દેવતાઓ અને દાનવોએ મળીને સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી અમૃત બહાર આવ્યું હતું. ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને દેવતાઓને અમૃત પીવડાવી રહ્યા હતાં. તે સમયે રાહુ નામનો અસુર સ્વરૂપ બદલી દેવતાઓની વચ્ચે જતો રહ્યો અને તેણે પણ અમૃત પી લીધું. સૂર્ય અને ચંદ્ર રાહુને ઓળખી ગયાં. તેમણે વિષ્ણુજીને રાહુ અંગે જણાવ્યું. વિષ્ણુજીએ પોતાના ચક્રથી રાહુનું ધડ માથાથી અલગ કરી દીધું હતું, પરંતુ તેણે અમૃત પી લીધું હોવાથી તેનું મૃત્યુ થઈ શક્યું નહીં. સૂર્ય અને ચંદ્રએ રાહુનો ભેદ વિષ્ણુજીને જણાવ્યો હતો, આ કારણે રાહુ સૂર્ય અને ચંદ્રને પોતાના દુશ્મન માને છે અને સમયે-સમયે તેમને પીડા આપે છે, જેને ગ્રહણ કહેવામાં આવે છે. રાહુનું માથું રાહુ અને તેનું ધડ કેતુ તરીકે ઓળખાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.