રવિવારે જ્યોતિર્મઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીનું નિધન થઈ ગયું. તેમને સોમવારે સાંજે 5 વાગ્યે મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના ઝોતેશ્વરમાં પરમહંસી ગંગા આશ્રમમાં ભૂ-સમાધિ આપવામાં આવશે. ભૂ-સમાધિ એટલે પૃથ્વી તત્વની અંદર વિલીન કરવામાં આવે છે.
હિંદુ ધર્મમાં સામાન્ય લોકોનો અંતિમ સંસ્કાર બાળીને કરવામાં આવે છે, પરંતુ સાધુ-સંતો માટે અંતિમ સંસ્કારના નિયમ અલગ છે. સંન્યાસીઓને સમાધિ આપવામાં આવે છે.
સાધુ-સંતોના અંતિમ સંસ્કારની પરંપરા અલગ કેમ છે, તે જાણવા માટે અમે સ્વાસ્તિક ધામના પીઠાધીશ્વર ડો. અવધેશપુરી મહારાજ (પૂર્વ મહામંત્રી, ઉજ્જૈન અખાડા પરિષદ) સાથે વાત કરી.
ડો. અવધેશપુરીના જણાવ્યા પ્રમાણે, સામાન્ય લોકોને મૃત્યુ પછી બાળવામાં આવે છે, પરંતુ સાધુ-સંતોને સમાધિ આપવામાં આવે છે, કેમ કે તેમનું આખું જીવન પરોપકાર માટે છે. ત્યાં સુધી કે મૃત્યુ પછી પણ સંત પોતાના શરીર દ્વારા પરોપકાર કરે છે. બાળીને અંતિમ ક્રિયા કરવાથી શરીરમાંથી કોઈને લાભ મળતો નથી, પરંતુ પર્યાવરણને હાનિ થાય છે, એટલે સાધુ-સંતોનો અંતિમ સંસ્કાર જમીન કે જળમાં સમાધિ આપીને કરવામાં આવે છે. આ બંને રીતમાં નાના-નાના કરોડો જીવને શરીરમાંથી આહાર મળી જાય છે. સાધુ-સંતો માટે અગ્નિને સ્પર્શ કરવાની મનાઈ હોય છે. એટલે મૃત્યુ પછી પૃથ્વી તત્વમાં કે જળ તત્વમાં વિલીન કરવાની પરંપરા છે. સમાધિના કારણે શિષ્યોને પોતાના ગુરુનું સાનિધ્ય હંમેશાં મળતું રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.