બુધવાર, 16 ફેબ્રુઆરીએ મહા મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિ પૂનમ છે. આ તિથિએ સંત રવિદાસનો જન્મ થયો હતો. મહા મહિનાની પૂનમ તિથિએ પવિત્ર નદીમાં સ્નાન માટે લાખો ભક્ત પહોંચે છે. આ દિવસે તીર્થ સ્નાન અને દર્શન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મહા મહિનાની પૂનમ તિથિએ ખાસ કરીને ગંગા નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જે લોકો ગંગા નદીમાં સ્નાન કરી શકતા નથી, તેઓ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકે છે. સ્નાન કરતી સમયે ગંગા નદીનું અને અન્ય નદીઓનું ધ્યાન કરવું જોઈએ.
મહા પૂર્ણિમાએ સંત રવિદાસની જયંતિ છે. સંત રવિદાસ કહેતા હતાં, મન ચંગા તો કઠૌતી મેં ગંગા. જેનો અર્થ એવો થાય છે કે મન સારું હશે તો કથરોટ (એક પ્રકારનું વાસણ)માં જ ગંગા અવતરિત થઈ શકે છે. તેમણે અન્ય લોકોની ભલાઈનું કામ કરતા રહેવું જોઈએ તેવો બોધપાઠ આપ્યો.
મહા મહિનાની પૂનમના દિવસે ક્યાં-ક્યાં તીર્થ સ્નાન કરી શકાય છે
મહા પૂર્ણિમાએ પ્રયાગરાજમાં સ્નાન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી રહી છે. મહા મહિનામાં અહીં લાખો ભક્ત પહોંચે છે. જો પ્રયાગરાજ જઈ શકીએ નહીં તો પોત-પોતાના ક્ષેત્રના પૌરાણિક તીર્થમાં સ્નાન કરી શકાય છે. જેમ કે, નર્મદા નદીમાં સ્નાન કરવા ઇચ્છો તો ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ જઈ શકાય છે, શિપ્રા નદીમાં સ્નાન માટે ઉજ્જૈન જઈ શકાય છે. ઉત્તરાખંડમાં ભાગીરથી, યમુના, મંદાકિની, અલકનંદા વગેરે નદીમાં સ્નાન કરી શકાય છે. નાસિકમાં ગોદાવરી નદીમાં સ્નાન કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.