20 ડિસેમ્બરથી માગશર મહિનાનો વદ પક્ષ શરૂ થઈ ગયો છે. જે 2 જાન્યુઆરી સુધી રહેશે. તે પછી પોષ મહિનાની શરૂઆત થશે. 17 જાન્યુઆરીએ પોષ મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થશે. આ દિવસે પોષી પૂનમ ઉજવાશે. આ સમયગાળામાં સૂર્ય પૂજા કરવાનું વિધાન છે. સાથે જ આ સમયગાળા દરમિયાન તીર્થ સ્નાન અને દાન કરવાની પણ પરંપરા છે. એટલે આ મહિનાના તિથિ-તહેવારોમાં સૂર્ય પૂજા સાથે સ્નાન-દાન અને વ્રતનું મહત્ત્વ વધારે છે.
ઋતુ પરિવર્તન અને સૂર્ય પૂજા
આ સમયગાળા દરમિયાન ઠંડીની શરૂઆત થઈ જાય છે. એટલે આ મહિનામાં સૂર્ય પૂજાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. આ મહિને જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાં, તલ, ગોળ અને અનાજનું દાન પણ કરવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ નષ્ટ પામે છે અને પુણ્ય ફળ મળે છે.
20 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન આવતા તિથિ-તહેવાર
સંકટ ચોથ (22 ડિસેમ્બર, બુધવાર)- આ ગણેશ પૂજાનો દિવસ છે. આ તિથિએ આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને રાતે ચંદ્ર પૂજા કર્યા પછી અર્ઘ્ય આપવામાં આવે છે. માન્યતા છે કે આવું કરવાથી દરેક પ્રકારના સંકટ દૂર થાય છે.
ભાનૂ સાતમ (26 ડિસેમ્બર, રવિવાર)- આ દિવસે રવિવાર અને સાતમ તિથિ હોવાથી ભાનૂ સાતમ વ્રત કરવામાં આવશે. સૂર્યોદય પહેલાં તીર્થ સ્નાન કરીને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી દિવસ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી ઉંમર વધે છે.
સફલા એકાદશી (30 ડિસેમ્બર, ગુરુવાર)- સફલા એકાદશી આ વર્ષની છેલ્લી એકાદશી રહેશે. ગુરુવાર હોવાથી આ દિવસે કરવામાં આવતી વિષ્ણુ પૂજાનું ફળ અનેકગણું વધી જાય છે. આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
પ્રદોષ વ્રત (31 ડિસેમ્બર, શુક્રવાર)- વર્ષના છેલ્લાં દિવસે એટલે શુક્રવારે તેરસ તિથિ હોવાથી આ દિવસે શુક્ર પ્રદોષ વ્રત કરવામાં આવશે. આ તિથિએ ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ એને લગ્નસુખ વધે છે.
અમાસ (2 જાન્યુઆરી, રવિવાર)- આ દિવસે માગશર મહિનાનો વદ પક્ષ પૂર્ણ થઈ જશે. તેને પિતૃઓની તિથિ કહેવામાં આવે છે. એટલે આ દિવસે કરવામાં આવતું શ્રાદ્ધ પિતૃઓને સંતુષ્ટિ આપે છે. આ પર્વમાં કરવામાં આવેલ દાનનું પુણ્ય પણ પિતૃઓ મળે છે.
વિનાયક ચોથ (5 જાન્યુઆરી, બુધવાર)- આ તિથિએ ભગવાન ગણેશની પૂજા અને ચંદ્રને અર્ઘ્ય આપવામાં આવે છે. પોષ મહિનાની આ ચોથના દિવસે ભગવાન ગણેશના વિનાયક સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. તેમની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ભાનૂ સાતમ (9 જાન્યુઆરી, રવિવાર)- આ દિવસે પોષ મહિનાના સુદ પક્ષની સાતમ તિથિ અને રવિવાર હોવાથી ભાનૂ સાતમ વ્રત કરવામાં આવશે. સૂર્યોદય પહેલાં તીર્થ સ્નાન કરીને ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી દિવસ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી ઉંમર વધે છે.
પુત્રદા એકાદશી (13 જાન્યુઆરી, ગુરુવાર)- આ દિવસે પુત્રદા એકાદશી છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની પૂજા કરો. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાળ ગોપાલનો દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો.
મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી, શુક્રવાર)- આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં આવી જાય છે અને ઉત્તરી ગોળાર્ધમાં હોય છે. એટલે ઉત્તરાયણ પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે તીર્થ સ્નાન, દાન અને સૂર્ય પૂજા કરવાની પરંપરા છે.
પ્રદોષ વ્રત (15 જાન્યુઆરી, શનિવાર)- આ નવા વર્ષનું પહેલું પ્રદોષ વ્રત રહેશે. આ દિવસે શનિવાર અને તેરસ તિથિનો સંયોગ હોવાથી શનિ પ્રદોષ વ્રત કરવામાં આવશે. આ તિથિએ ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિ અને લગ્નસુખ વધે છે.
પોષી પૂનમ (17 જાન્યુઆરી, સોમવાર)- આ દિવસે પોષ મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિ એટલે પૂનમ રહેશે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.