રવિવાર, 13 ફેબ્રુઆરીના રોજ મહા મહિનાના સુદ પક્ષની બારસ તિથિ છે. આ દિવસે તલનું સેવન, દાન અને હવન કરવાની પરંપરા છે. પુરાણોમાં બારસ તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન ઉલ્લેખવામાં આવ્યું છે. નારદ અને સ્કંદ પુરાણ પ્રમાણે મહા મહિનાની બારસ તિથિએ તલનું દાન કરવાનું પણ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ વખતે બારસ અને સૂર્ય સંક્રાંતિ એક જ દિવસે હોવાથી ભગવાન વિષ્ણુ અને સૂર્ય પૂજા કરવાથી મળતું પુણ્ય વધી જશે.
બારસ તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ
જ્યોતિષ ગ્રંથ પ્રમાણે બારસ તિથિના સ્વામી ભગવાન વિષ્ણુ છે. આ દિવસે રવિવાર અને પુનર્વસુ નક્ષત્ર પણ રહેશે. રવિવારના દેવતા સૂર્ય અને નક્ષત્રના સ્વામી આદિતિ છે. જે ભગવાન વિષ્ણુ અને સૂર્ય સાથે સંબંધિત છે. એટલે આ દિવસે કરવામાં આવેલ વ્રત અને સ્નાન-દાનનું અનેક ગણું પુણ્ય ફળ મળે છે.
તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ બારસ તિથિએ સૂર્યોદય પહેલાં જાગવું અને તલ મિક્સ કરેલું પાણી પીવું જોઈએ. પછી તલનું ઉબટન લગાવો. તે પછી પાણીમાં ગંગાજળ સાથે તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે તલથી હવન કરો. પછી ભગવાન વિષ્ણુને તલનું નૈવેદ્ય ધરાવીને પ્રસાદમાં તલ ખાવા જોઈએ. આ તિથિએ તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ અને સોનાના દાન કરવા જેટલું પુણ્ય મળે છે.
ભગવાન વિષ્ણુને તલનું નૈવેદ્ય ધરાવો
બારસ તિથિએ સૂર્યોદય પહેલાં તલ મિક્સ કરેલાં પાણીથી સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજા કરતા પહેલાં વ્રત અને દાન કરવાનો સંકલ્પ લો. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીને પંચામૃત અને શુદ્ધ જળથી વિષ્ણુ ભગવાનની મૂર્તિનો અભિષેક કરો. તે પછી ફૂલ અને તુલસી પાન અને બધી પૂજા સામગ્રી ચઢાવો. પૂજા પછી તલનું નૈવેદ્ય ધરાવીને પ્રસાદ લો અને વહેંચો. આ પ્રકારે પૂજા કરવાથી અનેક ગણુ પુણ્ય ફળ મળે છે અને જાણ્યે-અજાણ્યે થયેલાં દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.