મહા મહિનાની પૂનમ 16 ફેબ્રુઆરી, બુધવારના રોજ છે. ધર્મ ગ્રંથોમાં આ દિવસને સ્નાન-દાનનો મહાપર્વ કહેવામાં આવ્યો છે. સાથે જ આખા વર્ષની પૂર્ણિમા સ્નાનમાં મહા પૂનમને સૌથી ઉત્તમ પણ કહેવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે મહા મહિનાની પૂનમના દિવસે તીર્થના જળમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. સાથે જ, આ દિવસે તલ દાન કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય ફળ મળે છે.
આખા મહિનામાં તીર્થ સ્નાનનું ફળ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સત્તાઇસ નક્ષત્રોમાં મઘા નક્ષત્રના નામથી મહા પૂનમ ઓળખાય છે. આ તિથિનું ધાર્મિક અને અધ્યાત્મિક દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વ છે. આખા મહિનામાં તીર્થ સ્નાન કરી શકો નહીં તો મહા પૂનમના દિવસે ગંગા કે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ. તેનાથી આખા મહા મહિનામાં તીર્થ સ્નાન કરવાનું પુણ્ય ફળ મળી જાય છે. સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મજીની કૃપા પણ બની રહે છે.
સ્નાન કર્યા પછી સૂર્યને અર્ઘ્ય આપવું
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે પૂનમ તિથિ 15 ફેબ્રુઆરીએ રાતે લગભગ 9.45 થી શરૂ થઈ ગઈ છે અને બુધવારે એટલે આજે રાતે 11.22 કલાક સુધી રહેશે. આ મુહૂર્તમાં ગંગા સ્નાન કરી પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. જેઓ ગંગા તીર્થ જઈ શકે નહીં તેઓ ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકે છે. આ પર્વમાં સ્નાન કર્યા પછી ૐ ધૃણિ સૂર્યાય નમઃ મંત્ર બોલીને ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. આ દિવસે ગંગા સ્નાન અને ગોદાન, તલ, ગોળ અને ધાબળાનું ખાસ મહત્ત્વ છે.
બ્રહ્મવૈવર્ત પુરાણમાં માઘ પૂર્ણિમા
માઘી પૂનમના દિવસે સ્નાન અને દાનને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે માઘ પૂર્ણિમાએ સ્વયં ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે. આ દિવસે જે પણ શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરે છે. તે પછી જાપ અને દાન કરે છે તેમને સાંસારિક બંધનોથી મુક્તિ મળે છે. ગ્રંથોમાં માઘને ભગવાન ભાસ્કર અને શ્રીહરિ વિષ્ણુનો મહિનો જણાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.