કારતક મહિનામાં છઠ્ઠ પૂજા કરતી મહિલાઓ માગશર અને વૈશાખ મહિનામાં પણ ભગવાન સૂર્યની પૂજા કરે છે. માગશર મહિનાની સાતમ તિથિ અને રવિવારે ઉગતા સૂર્યને જળ ચઢાવવામાં આવે છે અને આખો દિવસ વ્રત રાખીને શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન આપે છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું કે માગશર મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ છે અને સૂર્ય તેમનું જ એક સ્વરૂપ છે. એટલે તેમને સૂર્ય નારાયણ કહેવામાં આવે છે. આજે સાતમ તિથિ છે હવે 4 ડિસેમ્બરે રવિવાર હોવાથી આ દિવસે સૂર્ય પૂજાનું મહત્ત્વ રહેશે.
માગશર મહિનામાં સૂર્યના મિત્ર સ્વરૂપની પૂજા
માગશર મહિનામાં સાતમ અને રવિવારે સૂર્ય પૂજાનું તેટલું જ ફળ મળે છે જેટલું કારતક મહિનાની છઠ્ઠ પૂજા કરવાથી મળે છે. માગશર મહિનામાં પવિત્ર નદી કે કોઈ તીર્થમાં સ્નાન કરીને ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઈએ. જળ ચઢાવતી સમયે સૂર્યના મિત્ર સ્વરૂપની પૂજા કરવી જોઈએ. ૐ મિત્રાય નમઃ મંત્ર બોલીને અર્ઘ્ય આપવું જોઈએ.
ગરમ કપડાનું દાન
માગશર મહિનામાં અનાજનો નવો પાક આવી જવાથી ખેડૂતો નવો પાક અને અનાજ સૂર્યદેવતાને ચઢાવે છે. માગશરના રવિવારે સૂર્ય પૂજા કર્યા પછી આખો દિવસ જરૂરિયાતમંદ લોકોને શ્રદ્ધા પ્રમાણે ગરમ કપડા અનાજ, ગોળ, તાંબાના વાસણ, ધાબળો, પલંગ અને અન્ય જરૂરી સામગ્રીનું દાન આપવામાં આવે છે. સાથે જ, આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવામાં આવે છે. માગશર મહિનામાં રવિવારે પૂનમ તિથિ હોવાથી આ દિવસે સૂર્ય પૂજા કરવાનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
અદિતિના ગર્ભમાંથી મિત્ર સ્વરૂપમાં સૂર્યદેવ પ્રગટ થયા
નારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે કશ્યપ ઋષિના તેજ અને અદિતિના ગર્ભમાંથી મિત્ર નામના સૂર્ય પ્રગટ થયાં. જે હકીકતમાં ભગવાન વિષ્ણુની જમણી આંખની શક્તિ જ હતી. એટલે આ તિથિએ શાસ્ત્રોક્ત વિધિ સાથે તેમનું પૂજન કરવું જોઈએ. સૂર્યના મિત્ર સ્વરૂપની પૂજા કરીને સાત બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. પછી તેમને શ્રદ્ધા પ્રમાણે દક્ષિણા આપવી જોઈએ. તે પછી જ ભોજન કરવું. આ પ્રકારે વ્રત કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.