દિવાળીના એક દિવસ પહેલાં કાળી ચૌદશનો તહેવાર ઊજવવામાં આવે છે, જેને નરક ચૌદશ અથવા નાની દિવાળી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે યમરાજને પ્રણામ કરીને દીવો પ્રગટાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ અને પાપમાંથી મુક્તિ મળી જાય છે. દિવાળી પહેલાં કાળી ચૌદશના દિવસે યમ માટે દીવો પ્રગટાવવામાં આવે છે. આ પર્વ નરકાસુર અને રાજા બલિ સાથે પણ જોડાયેલું છે. આ વખતે આ પર્વ 3 નવેમ્બર, બુધવારે સવારે 9.03 કલાક પછી શરૂ થઈ રહ્યું છે. પુરાણો પ્રમાણે, આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને ઉબટન, તેલ વગેરે લગાવીને સ્નાન કરવું જોઇએ.
ઉબટન અને ઔષધી સ્નાન
કાળી ચૌદશના દિવસે સૂર્યોદય પહેલાં જાગીને શરીર પર તલ કે સરસિયાના તેલની માલિશ કરવી જોઇએ. ઔષધીઓથી બનાવેલું ઉબટન લગાવવું જોઇએ. ત્યાર બાદ પાણીમાં બે ટીપાં ગંગાજળ અને અપામાર્ગનાં પાન રાખીને સ્નાન કરવું. પછી ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનાં દર્શન કરવા જોઇએ. આવું કરવાથી ઉંમર અને સૌંદર્ય વધે છે, પાપ દૂર થાય છે.
નરકાસુરનો વધ
વિષ્ણુપુરાણમાં નરકાસુરના વધની કથા છે. દ્વાપર યુગમાં ભૂમિ દેવીએ એક ક્રૂર પુત્રને જન્મ આપ્યો. અસુર હોવાથી તેનું નામ નરકાસુર પડ્યું. તે પ્રાગજ્યોતિષપુરનો રાજા બન્યો. તેણે દેવતાઓ અને મનુષ્યોને ખૂબ જ પરેશાન કર્યા. સોળ હજાર અપ્સરાઓને નરકાસુરે કેદ કરી લીધી. ત્યાર બાદ ઇન્દ્રની પ્રાર્થના સાંભળી ભગવાન કૃષ્ણએ અત્યાચારી નરકાસુરની નગરી પર આક્રમણ કર્યું. યુદ્ધમાં તેમણે મુર, હયગ્રીવ અને પંચજન જેવા રાક્ષસોને માર્યા ત્યારે નરકાસુરે હાથીનું સ્વરૂપ ધારણ કરીને આક્રમણ કર્યું. આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો. ત્યાર બાદ અપ્સરાઓ અને અન્ય લોકોને કેદમાંથી છોડાવ્યાં. એટલા માટે પણ આ તહેવાર ઊજવાય છે, એટલે આ તહેવારનું નામ નરક ચૌદશ પડ્યું છે.
વામન અવતાર અને રાજા બલિની કથા-
રાજા બલિ પરાક્રમી અને મહાદાની હતો. દેવરાજ ઇન્દ્ર તેનાથી ડરતા હતા. તેમને ભય હતો કે તેઓ તેમનું રાજ્ય છીનવી લે નહીં, એટલે તેમણે પોતાની રક્ષા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઇને રાજા બલિ પાસે ત્રણ પગ ધરતી માગી લીધી અને તેને પાતાળનો રાજા બનાવીને પાતાળ લોક મોકલી દીધો.
દક્ષિણ ભારતમાં માન્યતા છે કે ઓણમના દિવસે દર વર્ષે રાજા બલિ પોતાના પ્રાચીન રાજ્યને જોવા આવે છે. વિષ્ણુ ભગવાનની પૂજા સાથે-સાથે રાજા બલિની પણ પૂજા કરવામાં આવે છે. નરક ચૌદશના દિવસે દીવો પ્રગટાવવાથી વામન ભગવાન પ્રસન્ન થાય છે અને મનગમતું વરદાન આપે છે.
યમરાજની પ્રાર્થનાનો દિવસ-
આસો મહિનાના વદ પક્ષની ચૌદશના દિવસને નરક ચૌદશ એટલે કહેવામાં આવે છે, કેમ કે આ દિવસે અકાળ મૃત્યુથી બચવા અને સારા સ્વાસ્થ્ય માટે યમરાજની પ્રાર્થના કરવામાં આવે છે. યમ, ધર્મરાજ, મૃત્યુ, અન્તક, વૈનસ્વત, કાળ, સર્વભૂતક્ષય, ઔદુમ્બર, દગ્ધ, નીલ, પરમેષ્ઠી, વૃકોદર, ચિત્ર અને ચિત્રગુપ્ત નામથી પ્રણામ કરવું જોઇએ. આવું કરવાથી લાંબી ઉંમર પ્રાપ્ત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.