સોમવાર, 1 નવેમ્બરના રોજ આસો મહિનાના વદ પક્ષની એકાદશી છે, જેને રમા એકાદશી કહેવામાં આવે છે. દિવાળી પહેલાં આવતી આ એકાદશીનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. આ તિથિએથી અનેક લોકો પોત-પોતાના ઘરની બહાર દીવા પ્રગટાવવાનું શરૂ કરી દે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ તિથિએ વિષ્ણુજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. સોમવારે એકાદશી હોવાથી આ દિવસે વિષ્ણુજી અને લક્ષ્મીજી સાથે જ શિવજીની પણ ખાસ પૂજા કરવી જોઈએ.
એકાદશીએ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી અર્ઘ્ય આપવું. આ દરમિયાન સૂર્યના મંત્રનો જાપ કરવો જોઈએ. સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી ઘરના મંદિરમાં ભગવાન સામે એકાદશીએ વ્રત કરવાનો સંકલ્પ લેવો જોઈએ. વ્રત કરનાર ભક્તોએ ફળાહાર અને દૂધનું સેવન કરવું જોઈએ, પરંતુ અનાજનો ત્યાગ કરવો જોઈએ. એકાદશીમાં વ્રત સાથે જ વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરો.
દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરીને દૂધ અર્પણ કરો. તે પછી શુદ્ધ જળ ચઢાવો. હાર-ફૂલ અને વસ્ત્ર ચઢાવો. મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ લો.
એકાદશી અને સોમવારના યોગમાં શિવજીની ખાસ પૂજા કરો. શિવલિંગ ઉપર જળ ચઢાવો અને ચાંદીના લોટાથી દૂધ અર્પણ કરો. તે પછી ફરીથી જળ ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. શિવલિંગ ઉપર ધતૂરો, બીલીપાન, આંકડાના ફૂલ ચઢાવો. ચંદનનું તિલક કરો. મીઠાઈનો ભોગ ધરાવો અને ધૂપ-દીપ પ્રગટાવો. શિવલિંગ સામે બેસીને શિવજીના મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. પૂજા પૂર્ણ થયા પછી માફી માગો. પૂજા પછી પ્રસાદ વહેંચો અને તમે પણ લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.