માગશર મહિનાને પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં જ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પુરાણોમાં આ મહિનાની પૂનમને મહત્ત્વપૂર્ણ અને ફળદાયી માનવામાં આવે છે. આ પૂર્ણિમાએ સ્નાન, દાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન છે. આજે પૂનમ તિથિ એટલે માગશર મહિનાના સુદ પક્ષનો છેલ્લો દિવસ. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આજે ભગવાન વિષ્ણુની પૂજા, સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય મળે છે.
માગશર પૂર્ણિમાનું મહત્ત્વ
આ મહિનામાં પૂજાપાઠ અને વ્રત કરનાર લોકો માટે પૂનમનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે તીર્થ કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી પાપનો નાશ થાય છે. આ દિવસે વ્રત રાખીને ભગવાન વિષ્ણુની પૂજા અને કથા કરવાથી પણ મનોકામનાઓ પૂર્ણ થાય છે. માગશર પૂર્ણિમાએ ગીતાનો પાઠ કરવાનું પણ મહત્ત્વ છે. આ દિવસે ગીતા પાઠ કરવાથી પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત થાય છે.
તુલસીની માટીથી નાહવાનું વિધાન
પુરાણો પ્રમાણે આ પૂર્ણિમાએ તુલસીના છોડની માટીથી પવિત્ર સરોવરમાં સ્નાન કરવાનું વિધાન છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે. સ્નાન કરતી સમયે ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ આ દિવસે વ્રત અને શ્રદ્ધા પ્રમાણે દાન કરવાની પણ પરંપરા છે. તેમાં જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ અને અન્ય દોષ દૂર થાય છે.
માગશર પૂર્ણિમાની પૂજા વિધિ
1. આ દિવસે સવારે જાગીને સ્નાન કર્યા પછી આખા ઘરમાં ગૌમૂત્ર છાંટવું
2. ઘરની બહાર રંગોળી અને મુખ્ય દ્વાર ઉપર તોરણ બાંધવું
3. પૂજા સ્થાન ઉપર ગાયના ગોબરથી લીપવું અને ગંગાજળ છાંટવું
4. તુલસીના છોડમાં જળ ચઢાવો અને પ્રણામ કરીને તુલસી પાન તોડવાં
5. તાજા કાચા દૂધમાં ગંગાજળ મિક્સ કરીને ભગવાન વિષ્ણુ-લક્ષ્મી અને શ્રીકૃષ્ણ તથા શાલિગ્રામનો અભિષેક કરવો
6. અબીર, ગુલાલ, ચોખા, ચંદન, ફૂલ, જનોઈ, નાડાછડી અને અન્ય સુગંધિત પૂજા સામગ્રી સાથે ભગવાનની પૂજા કરો અને તુલસી પાન ચઢાવો
7. તે પછી સત્યનારાયણ ભગવાનની કથા કરીને નૈવેદ્ય ધરાવો અને આરતી કર્યા પછી પ્રસાદ વહેંચો.
આ દિવસે શું કરવું
1. પૂર્ણિમાએ સૂર્યોદય પહેલાં જાગવું અને સ્નાન કરવું
2. સવારે વ્રતનો સંકલ્પ લઈને આખો દિવસ વ્રત રાખવું અને વસ્ત્ર તથા ભોજનની સામગ્રીનું દાન કરો
3. આ દિવસે તામસિક વસ્તુઓ જેમ કે લસણ, ડુંગળી, માસાહાર, માદક વસ્તુઓ અને દારૂથી દૂર રહો
4. દિવસમાં સૂવું નહીં અને ખોટું બોલવું નહીં
5. માગશર પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની પૂજા અને કથા કરવામાં આવે છે
6. પૂજામાં ભગવાનને ચૂરમાનો ભોગ ધરાવો
7. શ્રદ્ધા પ્રમાણે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરો
8. આવું કરવાથી ભક્તોના બધા જ સંકટ દૂર થઈ જાય છે અને તેમને માનસિક શાંતિ પણ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.