મકર સંક્રાંતિનો તહેવાર આ વખતે 15 જાન્યુઆરીએ ઊજવવામાં આવશે. 14 જાન્યુઆરીએ રાતે 8.46 કલાકે મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થશે. પરંતુ જ્યોતિષ જાણકારો પ્રમાણે બીજા દિવસે એટલે રવિવારે મકર સંક્રાંતિ પર્વ ઊજવવો શુભ રહેશે. આ દિવસે સ્નાન-દાન અને પૂજા-પાઠ માટે પુણ્ય કાળ સવારે 7 વાગ્યાથી શરૂ થશે જે સાંજે 6 વાગ્યા સુધી રહેશે.
તહેવારોની તિથિ નક્કી કરનાર ગ્રંથ ધર્મસિંધુ અને નિર્ણય સિંધુમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે સૂર્યાસ્ત પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેથી બીજા દિવસે એટલે રવિવારે ઉત્તરાયણ પર્વ સાથે જ સ્નાન-દાન અને સૂર્ય પૂજા કરવી જોઈએ. આ વર્ષે આવી જ સ્થિતિ બની રહી છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે સૂર્યદેવ 14 જાન્યુઆરીએ સાંજ સુધી ધન રાશિમાં રહેશે એટલે ત્યાં સુધી ધનુર્માસ રહેશે. તે પછી 8.46 કલાક બાદ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે અને ધનુર્માસ પૂર્ણ થશે. એટલે 15 જાન્યુઆરીથી માંગલિક કાર્યોની શરૂઆત થઈ જશે. આ તારીખે ચિત્રા નક્ષત્ર અને આઠમ તિથિ હોવાથી વાહન ખરીદવા માટે સાંજે લગભગ સાડા 7 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે.
સૂર્ય પૂજા અને ખેડૂતોનું પર્વ
આ તહેવારમાં સૂર્યદેવની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે, ત્યારે આ તહેવાર ઊજવવામાં આવે છે. મકર સંક્રાંતિ ખેડુતોનું મુખ્ય પર્વ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન સૂર્યને નવા પાક અને નવા અનાજથી બનેલી સામગ્રીનો ભોગ ધરાવવામાં આવે છે. વાતાવરણમાં ફેરફારના કારણે આ દિવસે ખેતી સાથે જોડાયેલાં કામ અને ખેડૂતોના રૂટીનમાં ફેરફાર થવા લાગે છે.
સ્નાન-દાન કરવાથી પુણ્ય મળે છે
મકર સંક્રાંતિના શુભ મુહૂર્તમાં તીર્થ સ્નાન પછી સૂર્ય પૂજા કરવી જોઈએ. તે પછી જરૂરિયાતમંદ લોકોને ભોજનની સામગ્રી અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ. ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે તલનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે. એટલે મકર સંક્રાંતિએ તલ અને ગોળનો પ્રસાદ આપવામાં આવે છે. આ દિવસે અનેક જગ્યાએ ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે. પિતૃઓની પૂજા માટે આ દિવસ પુણ્ય ફળદાયી માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.