આસો મહિનાના વદ પક્ષની એકાદશીએ રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. દિવાળીના ચાર દિવસ પહેલાં આવતી આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીના રમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એટલે તેને રમા એકાદશી કહેવામાં આવે છે. પદ્મ પુરાણમાં આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. અનેક જગ્યાએ આ દિવસથી જ લક્ષ્મીપૂજાની શરૂઆત થઇ જાય છે અને દિવાળીએ મહાપૂજા કરવામાં આવે છે. આ એકાદશી વ્રતથી બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઇ જાય છે. આ વર્ષે આ એકાદશી 11 નવેમ્બર, બુધવારે છે. આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઇ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્ય આપનારું માનવામાં આવે છે.
વ્રત અને પૂજા વિધિઃ-
સવારે જલ્દી જાગીને સ્નાન કરો અને પૂજા સાથે વ્રતનો સંકલ્પ લો.
આ દિવસે નિરાહાર અથવા એક સમયે ફળાહાર કરીને વ્રત કરી શકાય છે.
ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો
ભગવાનને ભોગ ધરાવો અને પ્રસાદ વહેંચો
બ્રાહ્મણ ભોજન કરાવો.
વ્રતની કથા શ્રી પદ્મ પુરાણ પ્રમાણેઃ-
મુચુકુંદ નામના એક રાજા હતાં. તેમની ચંદ્રભાગા નામની દીકરી હતી. જેના લગ્ન રાજા ચંદ્રસેનના દીકરા શોભન સાથે થયાં હતાં.
એક દિવસ શોભન પોતાના સસરા રાજા મુચુકુંદના ઘરે આવ્યાં. તે દિવસે એકાદશી હતી. શોભને એકાદશીના વ્રતનો સંકલ્પ લીધો.
ચંદ્રભાગાને ચિંતા થઇ કે પતિ ભૂખ્યો કેવી રીતે રહેશે. રાજ્યમાં બધા એકાદશીનું વ્રત રાખતાં હતાં અને કોઇ અનાજ ખાતું નહોતું.
શોભને વ્રત રાખ્યું. પરંતુ તે ભૂખ્યા રહેવું સહન કરી શક્યો નહીં અને તેનું મૃત્યુ થઇ ગયું. જેથી ચંદ્રભાગા ખૂબ જ દુઃખી થઇ.
શોભનને રમા એકાદશી વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં તે શરીર સાથે મંદરાચલ પર્વતના શિખર ઉપર ઉત્તમ દેવનગર મળ્યું. ગંધર્વ તેની સ્તૃતિ કરતાં હતા અને અપ્સરાઓ સેવામાં જોડાયેલી હતી.
એક દિવસ જ્યારે રાજા મુચુકુંદ મંદરાચલ પર્વત પર આવ્યાં ત્યારે તેમણે પોતાના જમાઈનું વૈભવ જોયું. પાછા જઇને તેમણે ચંદ્રભાગાને બધું જણાવ્યું તો તે ખૂબ જ પ્રસન્ન થઇ.
ત્યાર બાદ તે પોતાના પતિ પાસે જતી રહી અને પોતાની ભક્તિ અને રમા એકાદશીના પ્રભાવથી શોભન સાથે સુખપૂર્વક રહેવા લાગી.
આ એકાદશીનું મહત્ત્વઃ-
પુરાણો પ્રમાણે રમા એકાદશી વ્રતથી કામધેનુ અને ચિંતામણિ સમાન ફળ મળે છે. આ વ્રતને કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. આ વ્રતથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પદ્મ પુરાણ પ્રમાણે રમા એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. મૃત્યુ પછી વિષ્ણુ લોક મળે છે.
આ પણ વાંચોઃ-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.