16 ડિસેમ્બરથી કમૂરતાં શરૂ થઇ જશે. હવે 1 મહિના સુધી એટલે કે 14 જાન્યુઆરી 2023 સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીં. જ્યારે સૂર્યદેવ ગુરુની રાશિ ધન કે મીનમાં વિરાજિત થાય છે ત્યારે ધનુર્માસ, ખરમાસ એટલે કે કમૂરતાં શરૂ થાય છે. આ મહિનામાં કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય, લગ્ન વગેરે જેવાં કાર્યો અથવા સંસ્કાર કરવામાં આવતાં નથી.
ગ્રહ મંડળમાં સૂર્યદેવ જગતનો આત્મા છે. સૂર્યના પ્રકાશ વડે જ જગતને આધાર મળી રહે છે. સૂર્યનાં ખૂબ મહત્ત્વને કારણે આપણે તેને દેવ ભગવાન તરીકે પૂજીએ છીએ. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય સંક્રાંતિ પ્રવેશ કુંડળી અને સૂર્ય સાથે યુતિ કરતાં ગ્રહોના શુભ અશુભ યોગોનો અભ્યાસ કરી તે દ્વારા ભવિષ્યમાં આવનાર સંકેતની વિચારણા કરી શકાય. તા. 16.12.22 સૂર્ય (અગ્નિ તત્ત્વની) ધનુ રાશિમાં પ્રવેશ કરે છે. જે ગુરુની રાશિ છે. અને તા. 13.01.23 સુધી આ રાશિમાં રહેશે. 14/01/2023થી કમુરતાં ઊતરી જાય છે.
આ મહિનામાં માંગલિક કામ કેમ કરવામાં આવતાં નથી?
વર્ષમાં સૂર્યની 12 સંક્રાંતિઓ હોય છે. આ બાર રાશિ પર સૂર્યની સ્થિતિ રહે છે. દરેક એક મહિના સુધી એક રાશિમાં રહ્યા પછી સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તેમાં બે સંક્રાંતિઓમાં સૂર્ય ગુરુની રાશિમાં રહે છે. ધન અને મીન ગુરુની રાશિઓ છે. જ્યારે સૂર્યની સ્થિતિ ગુરુની રાશિમાં હોય છે ત્યારે ગુરુનું તેજ પૂર્ણ થઇ જાય છે. માંગલિક કાર્યો માટે ત્રણ ગ્રહોના બળની જરૂરિયાત હોય છે. જેમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુનો સમાવેશ થાય છે. તેમાં કોઇપણ ગ્રહના બળમાં ન્યનતા હોવાથી માંગલિક કાર્ય અટકી જાય છે. આ મહિનામાં ગુરુના બળહીન હોવાથી બધાં જ શુભ કાર્ય વર્જિત રહે છે.
આ કામ કરવાં નહીં
ગૃહ પ્રવેશ, લગ્ન જેવાં બધા જ કાર્યો તથા મુંડન, જનોઈ સંસ્કાર, દીક્ષાગ્રહણ, કર્ણવેધ સંસ્કાર (કાન વીંધવા), પહેલીવાર તીર્થયાત્રાએ જવું, દેવ સ્થાપન, દેવાલય શરૂ કરવું, મૂર્તિ સ્થાપના, કોઇ વિશિષ્ટ યંત્રની શરૂઆત વગેરે જેવાં કાર્યો ધનારક કમુરતાંમાં કરવામાં આવતાં નથી.
આ મહિનામાં ભગવાન સૂર્ય તથા શ્રીકૃષ્ણની પૂજા
ધનુર્માસમાં સૂર્યની ગતિ મંદ થવા લાગે છે. એટલે આ મહિનામાં સૂર્યદેવ અને શ્રીકૃષ્ણની ઉપાસનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ધનુર્માસમાં પવિત્ર નદીઓમાં સ્નાનથી અનેક રોગ દૂર થાય છે. આ મહિનામાં આવતી એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે. તેનાથી વિશેષ નોમ તિથિએ કન્યાઓને ભોજન કરાવીને ભેટ આપવાથી બધાં જ વિઘ્નો દૂર થાય છે.
ધનુર્માસમાં આ કામ જરૂર કરો
કમૂરતાં વિશે અધ્યયન
કમૂરતાં ત્યારે ગણાય છે જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં હોય(ધન રાશિમાં ધનારક તેમજ મીન રાશિમાં મીનાર્ક કમુરતાં) અને ગુરુ સૂર્યની રાશિમાં હોય (જેને આપણે સિંહસ્થ ગુરુ કહીએ છીએ).
સૂર્ય અને ગુરુ બંને મિત્ર છે તો પછી કમૂરતાં કેમ?
તો આપણે જાણ્યું કે ગુરુ એટલે અધ્યાત્મ, જ્ઞાન અને સૂર્ય તે આત્માનો કારક છે. તો આ સમય સામાજિક કાર્યોથી થોડું દૂર રહી આત્માની સદગતિ માટે છે. આત્મચિંતન, ભક્તિ, જ્ઞાન તેમજ જીવનનું સત્ય જાણવા માટે આ સમય ઉત્તમ છે. માટે આ સમયમાં ભાગવત કથા, પારાયણ, સવારે ભજન કીર્તન માટે સભા, વગેરે કરવામાં આવે છે. આ સમય ખૂબ જ સાત્ત્વિક હોય છે. માટે તેનો ઉપયોગ આધ્યાત્મિક ઉન્નતિ માટે કરવો જોઈએ. આજ સમયમાં માગશર મહિનો આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા પણ આ જ ગાળામાં કહી હતી.
ધનુર્માસની પૌરાણિક કથા
પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઇને બ્રહ્માંડની પરિક્રમા કરે છે. તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે, તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે. એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાના કારણે ભૂખ્યા-તરસ્યા થાકી ગયા. તેમની આ દશા જોઇને સૂર્યદેવ દુઃખી થઇ ગયા. ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઇ ગયા, પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે. પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા. એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે છોડી દીધા અને ગધેડાને રથમાં જોડી દઇ બ્રહ્માંડની પરિક્રમા કરવા લાગ્યા. ઘોડાની ગતિ ઝડપી અને ગધેડાની ધીમી હોય છે એટલે રથની ગતિ ધીમી થઇ જાય છે. જેવો એક મહિનો પૂર્ણ થયો, સૂર્યદેવ ફરી તેમના ઘોડાઓને રથ સાથે જોડી દીધા અને ફરી રથની ગતિ ઝડપી થઈ ગઈ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.